Saturday, January 12, 2008

શક્તીદાયી વીચાર - 2

શક્તીદાયી વીચાર - 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે - અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો 'જડપદાર્થ' શક્તીમાન છે, તો 'વીચાર' સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે 'અભીઃ', 'અભય'. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

No comments: