Sunday, September 07, 2008

નવું સરનામુ

અમને નવા સ્થળે મળો: http://rutmandal.info/

Wednesday, August 20, 2008

પંક્તીઓ

પંક્તીઓ - ચીરાગ પટેલ

1)
મેઘને કહો આંસુડાં વહેવડાવી ભલે દરીઓ ભરે;
પ્રીયાના વીરહ છતાં ઝીંદાદીલ જ રોજ ચઢે!

2)
બેઉ કાંઠે છલબલે છે આ ભવોભવની નદી;
એમાં વહેતી મુકી છે મેં શબ્દોની હોડી પ્રીયે.

3)
જીવનની પ્રભાતે પુછ્યું ઈશ્વરે, શું જોઈએ તારે?
તમારી શક્તી જોઈએ પ્રીયા રુપે હંમેશાં મારે.

4)
સમયની સરવાણી 'ને ઝાકળની અમૃતવાણી;
જોઉં તને, અનુભવુ તને, તો લાગે મને ઉજાણી.

5)
હોય જો પાંખો મને તો ઉડીને આવી પહોંચુ;
તુ ભલેને હો દુર, કહુ 'ઈલુ' સાચેસાચુ.

6)
Think of colors. They are seven.
Think of shades. They are millions.
Think of my love. It's beyond your imagination.

Tuesday, August 19, 2008

કલ્કી અવતરણ

કલ્કી અવતરણ - ચીરાગ પટેલ ઑગસ્ટ 19, 2008

ૐકારના 'અ' ધ્વનીનો રણકાર.
પ્રાણના નીશ્ચેટ સમુદ્રમાં એક તરંગનો ઉદભવ.
એ તરંગનું એકાએક ઘનીભવન.
ઘનીભુત તરંગમાંથી એક દેદીપ્યમાન જ્યોતીનું પ્રગટીકરણ.
એ જ્યોતીનું એક પરપોટા સમાન ભાસતાં એક બ્રહ્માંડને કરાતું ભેદન.
જ્યોતી વડે કરાતું બ્રહ્માંડનું પરીભ્રમણ.
એક નીશ્ચીત લક્ષને પકડીને જ્યોતીની શરુ થતી સફર.
મહતતત્વનાં અણદીઠાં વાદળોમાં ચમકતી આકાશગંગાઓ.
મન્દાકીની આકાશગંગાના તારલાંપુંજોથી બનેલી શાખા તરફ જ્યોતીનું પ્રયાણ.
નવલખાં ગ્રહોની બનેલી અનુપમ હારમાળા વચ્ચે શોભતો સુર્ય.
સુર્યમણીની નજીકમાં જ સોહાતી મા પૃથ્વી તરફ ખેંચાતી જ્યોતી.
ભરતખંડના દક્ષીણભાગે રમણીય સમ્ભલ ગામ.
ગામનાં મધ્યે આવેલાં નાના-શા ઘર પર જામતી ચાન્દનીનો પ્રકાશ.
દશે દીશાઓમાં આનન્દોર્મીની ચઢતી ભરતી.
સમગ્ર વાતાવરણને આચ્છાદીત સુખડમય સુગન્ધી.
નર-નારીનું પારમ્પરીક નવસર્જન પ્રેરતું મીલન.
સત્વ અને રજથી રચાતો અણુ-બ્રહ્માંડ સરીખો કોષ.
જ્યોતીનો એ કોષમાં પ્રવેશ.
અચાનક કોષની જડતાનો અંત અને ચેતનની શરુઆત.
મંગળવાદ્યોનું દ્યોતક એવું કલ્કીનું અવતરણ!

-------------------------------------------
સાથે જ મારા અગાઉના સર્જનને પણ જોવા વીનંતી: http://parimiti.wordpress.com/2007/11/02/

Friday, August 08, 2008

વહાલપની પ્યાલી

વહાલપની પ્યાલી - ચીરાગ પટેલ માર્ચ 23, 2000

નયણોનાં ભર્યાં-ભાદર્યાં આરણ્યક ઉપવન,
નીરખે છે મન ઝરુખેથી ભરી વહાલપની પ્યાલી.

અધરોની કુમાશ આકર્ષી રહી છે અંતરની મીઠાશ,
જન્મે છે, પ્રસરે છે, આખી ભરી વહાલપની પ્યાલી.

કમળ સમ નવપલ્લવીત મુખારવીન્દ ઝગમગે છે,
અંતરની સુવાસ પ્રસરાવે ભરી વહાલપની પ્યાલી.

લતીકા સમ ભાસતાં હસ્ત-પાદ, પ્રકાશીત છે,
આલીંગન પામવા આતુર ભરી વહાલપની પ્યાલી.

કેન્દ્રબીન્દુ સમ સન્દીગ્ધ પયોધર છે યૌવન ઉત્કટ,
ઝ્ંખતા સ્તનાગ્રસ્પર્શ ભરી વહાલપની પ્યાલી.

સુરેખ સુરાહી, ભરી જગ-અમૃત, સરીખી કાયા છે,
ઝંખે છે અનંત મીલનને ભરી વહાલપની પ્યાલી.

ઉજ્જ્વળ સ્વયંસ્ફુરીત ડોલતું પોતીકું મન,
પ્રતીબીમ્બીત કરતું આત્માને ભરી વહાલપની પ્યાલી.

ઉપવન

ઉપવન - ચીરાગ પટેલ ઑગસ્ટ 01, 1998

જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.

પેલું પતંગીયું રસપાન કરી રહ્યું છે, ઓષ્ઠોનું તારા,
ઈર્ષાળું હું, તેને ઉડાડી, માણી રહ્યો છું તારા નયનતારા.

હવાની લહેરખી મસળી રહી છે, તારા બદનને,
રોકવા મથામણ કરી રહ્યો છું, નીષ્ઠુર એવા પવનને.

મારું પુષ્પ કેવું હીલોળા લઈ રહ્યું છે યૌવનમાં,
આસવ માણી રહ્યો છું તારા આ પુષ્ટ સ્તનાગ્રોમાં.

સ્પર્શ કરતાં પણ ડરું છું, છે તું ખુબ કોમળ,
અનુભવું છું તારો પ્રેમ, જે છે ખુબ નીર્મળ.

વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.

ભારત - 3

ભારત - 3 - સ્વામી વિવેકાનન્દ ઑગસ્ટ 08, 2008

21. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.

22. તમારી દ્રષ્ટી સામે આ મુદ્રાલેખ રાખો: 'જનતાની ધર્મભાવનાને અક્ષત રાખીને એમની ઉન્નતી.'

23. કેળવણી! કેળવણી! કેળવણી! બીજું કશું જ નહીં. યુરોપના નગરોનો પ્રવાસ કરીને અને ત્યાંનાં ગરીબ લોકોને પણ પ્રાપ્ત થતી સગવડો તથા કેળવણીનું નીરીક્ષણ કરીને, મને આપણા પોતાના ગરીબ લોકોની હાલતનો વીચાર આવતો અને પરીણામે હું આંસુ સારતો. આ ભેદનું કારણ શું? અને મને ઉત્તર મળ્યો કે તેનું કારણ છે 'કેળવણી.' કેળવણીથી મનુષ્યમાં આત્મશ્રધ્ધા જન્મે છે અને આ આત્મશ્રધ્ધા જ એ લોકોમાં મનુષ્ય-પ્રકૃતીને સહજ એવા બ્રહ્મભાવને જગાડી રહી છે, જ્યારે આપણા લોકોનો બ્રહ્મભાવ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

24. મારા જીવનની એકમાત્ર મહત્ત્વાકાન્ક્ષા એ છે કે એવું તંત્ર ગતીમાન કરવું કે જે ઉમદા વીચારોને દરેક માણસના ઘર સુધી પહોંચાડે, પછી ભલે સૌ સ્ત્રીપુરુષો પોતાના ભાગ્યનો નીર્ણય પોતે કરે. જીવનના સૌથી વીશેષ મહત્ત્વના પ્રશ્નો અંગે આપણા પુર્વજોએ તથા બીજા રાષ્ટ્રોએ શું વીચાર્યું છે એ બધું તેઓ ભલે જાણે, ખાસ કરીને બીજા લોકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે એનું જ્ઞાન તેઓ ભલે મેળવે અને પછી પોતાની મેળે કોઈ નીર્ણય ઉપર આવે.

25. હું ભવીષ્યમાં દૃષ્ટીપાત કરતો નથી અને મને એની પરવા પણ નથી. પરંતુ મારી દૃષ્ટી સામે પસાર થતાં જીવનની જેમ એક દૃશ્ય એ છે કે મારી આ પ્રાચીન માતૃભુમી પુનઃજાગ્રત થઈ છે અને પહેલાંના કરતાં વધુ ભવ્ય બનીને, નવશક્તી પ્રાપ્ત કરીને સીંહાસનને વીરાજી રહી છે. શાંતી અને આશીર્વાદના ધ્વની ગજાવીને તેના ગૌરવની સમગ્ર વીશ્વને જાણ કરો.

26. મારા જીવનની સમગ્ર નીષ્ઠાનું એકમાત્ર લક્ષ્ય છે, મારી આ માતૃભુમી; હે મારા દેશબંધુઓ! મીત્રો! જો હું હજારવાર જન્મ ધારણ કરું તો એ સારીએ શ્રેણીની પળેપળને તમારી સેવામાં અર્પણ કરું.


--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Saturday, August 02, 2008

ભરમ

ભરમ - બંસીધર પટેલ સપ્ટેમ્બર 04, 1995

અરીસો તુટી ગયો, પ્રતીબીમ્બ બન્યું ધુંધળું.
વીચારોના વૃન્દાવનમાં મન ખોવાઈ ગયું.
વાગોળી-વાગોળી ભુતકાળને, કર્યું મનોમંથન.
ના નીકળ્યું માખણ કે ફોદા, રહ્યું જેમનું તેમ.

જીવન એ શું નથી વલોણું મનોમંથનનું?
કર્મ, ધર્મ, સંસારીના, ભેદભરમ વળી સ્વારથના.
નથી ઉકેલવા ભેદ જન્મોજન્મના ઉથાપી.
આ જન્મની કથની શું ઓછી ડહોળાયેલી છે?

સગા-વહાલા-દૌલા, ભલા-બુરા દીઠા સહુ.
ન મળ્યું કોઈ નીઃસ્વાર્થી, નથી કોઈ દીલાર વળી.
હશે કોઈક વીરલો, કર્મઠ જે મળવો બાકી હજી.
વીસ્તારનો વ્યાપ છે સહુ, માયાજાળ કુદરતની.

જીંદગીમાં સુરજ ઉગ્યો, આથમ્યો, વળી ઉગ્યો અનેકવાર.
પ્રકાશ, અન્ધકાર, પાછો પ્રકાશ, એ ઘટમાળ ક્રમબધ્ધ બધી.
તડકો, છાંયો નીહાળ્યો ઘણો, માનવ મહેરામણ મહીં.
જીન્દગીના રણમાં, મીઠી વીરડીનું અમૃતપાન કદીક.

આનન્દ, શોક, ઉતાપ, જેમાં જીન્દગીનો રાઝ છે.
જનમ જનમના ફેરા ફરી, મળ્યો માનવદેહ અહીં.
લખ ચોર્યાસી ફરતાં ફરતાં, કરી સલામ જીન્દગી તને.
હવે પુનઃ પ્રતીબીમ્બ નીરખવાની કરવી નહી ભુલ કદી.

વ્યથા

વ્યથા - ચીરાગ પટેલ જુલાઈ 01, 1998

પ્રીયે, દેખાયું પેલી વાદળીમાં તારું મુખડું મને;
અરે, પેલા ઈર્ષાળુ સુરજે આવીને દઝાડી તને.

લુચ્ચુ મન, ફરી-ફરીને કહેવા મથતું આ દીલને;
પણ, કેમ રે માને, આ સારું દીલ તો તલસેને.

હૈયાને તપાવી રહ્યો, છો, ગરમ આ વીરહાગ્ની;
લાગી છે બસ, એક જે તારી યાદ, તેની લગની.

આવી રણઝણતી વર્ષારાણી ધરણી ફરીને વળી;
ખીલવતી તારી યાદ બધી આ મોગરાની કળી.

પાંખો ફફડાવી ઉડી ગયા સાત સમન્દર પાર તમે;
મુકીને ગયાને અમને? ભલેને વલખાં મારતાં અમે!

આ જ તો મારી જીવનકથા, પછી ભલે હોય વ્યથા;
એ જ દુનીયાને દેખાડે છે, હંસ-હંસલીની પ્રેમકથા.

ઉપર બેઠેલાને એક અંગત નાની એવી અભ્યર્થના;
રાખજે સુખી મારી મયુરીને, એવી એક પ્રાર્થના.

પંક્તીઓ

પંક્તીઓ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1998

1)
યાદ તમારી, દીમાગ તમારું, દીલ તમારું,
સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.

2)
વીરહની વેદના, 'ને પ્રેમની તડપ;
શમા જલે છે, પરવાનાની તડપ ઠારવા.

PARUL

PARUL - Chirag Patel Jul 11, 1998

Partition is physical darling; our
Amorphous life really heading faster.
Roaming here and there - search for
Ubiquitous and unparallel - true diamond
Love. Isn't it a God gift? Feel it intimately.

Tuesday, July 29, 2008

દ્વીઅંકી ગણીત - 2

દ્વીઅંકી ગણીત - 2 ચીરાગ પટેલ જુલાઈ 29, 2008

આજે આપણે થોડીક તાર્કીક ગણતરીઓ (logical operations) જોઈશું. શરુઆત કરીએ ઉદાહરણથી. નીચેનું વાક્ય વાંચો અને એમાં જોડાતાં પ્રત્યયની એની સત્યતા પર શું અસર થાય એ વીચારો.

"ક્લાર્ક કેંટ સુપરમૅન છે અથવા પીટર પાર્કર સુપરમૅન છે."

આ વાક્ય એક સંકુલ વાક્ય છે જે "અથવા" પ્રત્યતથી જોડાય છે. જો "ક્લાર્ક કેંટ સુપરમૅન છે" એ સાચું હોય તો પણ આખું વાક્ય સાચું અને "પીટર પાર્કર સુપરમૅન છે" એ સાચું હોય તો પણ આખું વાક્ય સાચું ઠરે. બન્ને ઉપવાક્યો ખોટાં હોય તો જ આખું વાક્ય ખોટું ઠરે. ગાણીતીક રીતે આ બાબત દર્શાવવા માટે સાતત્યતા કોષ્ટક (Truth Table) વપરાય છે. જેમ કે, ઉપરના ઉદાહરણમાં:

A: ક્લાર્ક કેંટ સુપરમૅન છે.
B: પીટર પાર્કર સુપરમૅન છે.
=> A OR B એ ઉદાહરણ સંકુલ વાક્ય થયું. સાચું દર્શાવવા T અને ખોટું દર્શાવવા F વાપરીએ અને શક્યતાઓનો કોષ્ટક બનાવીએ.

. A . B . A OR B
. T . T . . T
. T . F . . T
. F . T . . T
. F . F . . F

એ જ રીતે "અથવા" ને બદલે "અને" પ્રત્યય વાપરીએ તો બન્ને ઉપવાક્યો સાચા હોય તો અને તો જ આખું વાક્ય સાચું ઠરે (પત્ની કે પ્રેમીકા જો "અથવા" શબ્દ વાપરીને વીકલ્પ આપે તો પણ તે શેને પ્રાધાન્ય આપે છે એ જાણી લેવું. નહીંતર બન્ને વીકલ્પો ખોટાં ઠરશે!). એ માટે કોષ્ટક બનાવીએ.

. A . B . A AND B
. T . T .. T
. T . F .. F
. F . T .. F
. F . F .. F

ઈલેક્ટ્રૉનીક્સમાં ઈલેક્ટ્રૉનનાં પ્રવાહને આવાં કોષ્ટક મુજબ નીયંત્રીત કરવા માટે લૉજીક ગેટ (Logic Gate) તરીકે ઓળખાતાં કમ્પોનંટ વપરાય છે. આપણે જ્યાં T વાપર્યાં ત્યાં 1 અને જ્યાં F વાપર્યાં ત્યાં 0 ગણીને સમજીએ (1 એટલે પ્રવાહ વહેવો, અને 0 એટલે પ્રવાહ બન્ધ થવો). નીચેની આકૃતી જુઓ.

input A --->---|-----------|___ output
input B --->---|-- gate -|

જો ઉપરોક્ત આકૃતીમાં ઑર ગેટ (OR gate) કે ઍંડ ગેટ (AND gate) વાપરીએ તો,
. in A . in B . out (OR) out (AND)
. 1 ..... 1 ...... 1 ............. 1
. 1 ..... 0 ...... 1 ............. 0
. 0 ..... 1 ...... 1 ............. 0
. 0 ..... 0 ...... 0 ............. 0

અહીં માત્ર એક બીટનો જ ઈનપુટ અને આઉટપુટ આપણે જોયો. કમ્પ્યુટર જો 32બીટનું હોય તો એકસાથે 32 બીટ પર લૉજીકલ ઑપરેશન થાય, અને એ મુજબ આઉટપુટા આવે. ઘણીવાર ઑર માટે '+' અથવા '|' નું ચીહ્ન વપરાય છે. ઍંડ માટે '.' અથવા '&'નું ચીહ્ન વપરાય છે. 8 બીટનું એક લૉજીકલ ઑપરેશન જોઈએ.

0x75 & 0xF0 = ? (8-4-2-1 પ્રમાણે આ સંખ્યા કેવી રીતે દર્શાવવી એ યાદ છે ને?)

0x75 = 0 1 1 1 0 1 0 1
0xF0 = 1 1 1 1 0 0 0 0
=================
& -----> 0 1 1 1 0 0 0 0 => 0x70

આ પ્રમાણે 8 બીટનાં થોડાં લૉજીકલ ઑપરેશન કરો: 1) 0xBE | 0x91 = ? 2) 0x39 & 0x15 = ?

Friday, July 25, 2008

વૈદીક સંસ્કૃતી

વૈદીક સંસ્કૃતી - ચીરાગ પટેલ જુલાઈ 25, 2008

વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ પહેલાં મધ્ય-એશીયામાંથી આવીને સપ્તસીન્ધુના (શતુદ્રી કે સુતુદ્રી - સતલુજ, પરુષ્ણી કે ઈરાવતી - રાવી, અશ્કીની કે ઈસ્કમતી - ચનાબ, વીતસ્તા - ઝેલમ, વીપાસ - બીયાસ, સીન્ધુ, સરસ્વતી) (Indus Valley Civilization) પ્રદેશમાં વસ્યા હતાં. આર્યોએ આ પ્રદેશમાં વસતાં હડપ્પન સંસ્કૃતીના (Harappan Culture) દ્રવીડીય લોકોને મારી હઠાવ્યાં અને પોતાની સત્તા સ્થાપી! આ આર્યોએ વીશ્વનાં સહુથી પૌરાણીક ગ્રંથ - ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ આપ્યાં (અથર્વવેદને વીદ્વાનો વૈદીક કાળનો ગ્રંથ નથી માનતાં).

આજ સુધી તો આપણે આવું જ ભણતાં-સાંભળતાં-વીચારતાં આવ્યાં છીએ. હવે, હું થોડીક બાબતો પર ધ્યાન દોરવા માંગું છું જે મને ગળે ઉતરી છે.

1. હડપ્પન સંસ્કૃતી પર હુમલો કરનાર આર્યપ્રજા લડાયક હતી અને ઘોડાથી ખેંચાતા રથ પર બેસીને આવી હતી. સુસંસ્કૃત હડપ્પન પ્રજા પાસે એવા કોઈ સાધનો ના હોવાથી હારી ગઈ. આપણે આવો ખ્યાલ ધરાવીએ છીએ. હવે, 7000-8000 વર્ષ પુરાણી હડપ્પન સંસ્કૃતીમાં પણ ઘોડા જોવા મળ્યાં છે, અને એમની મુદ્રા ઉપર ચક્ર કે રથનાં પૈડાંની આકૃતી જોવા મળી છે.

2. આર્યો જો મધ્યએશીયાથી આવ્યાં હોય તો તેઓ ઘોડાં જોતરેલાં રથ વડે પહાડો કેવી રીતે પાર કરી શક્યાં? શું તેઓ જાતે રથ ખેંચીને લડવા આવ્યાં હતાં? વળી, હાથી તેમનાં પ્રદેશોમાં જોવા નથી મળ્યાં, તો રથ ખેંચે કોણ?

3. ઋગ્વેદમાં દેવ કે રાજાને "શહેરોનો ધ્વંસ કરનાર" એવું બીરુદ આપવામાં આવ્યું છે. આવું બીરુદ લડાયક અને અસંસ્કારી પ્રજા વાપરતી હોવી જોઈએ એમ માનીને આર્યોને લડાયક-જન્ગલી પ્રજા ગણી લેવામાં આવી છે. પર્ંતુ, આવું જ વીશેષણ ઈજીપ્ત કે મેસોપોટેમીયાના રાજાઓ વાપરતાં જોવા મળે છે અને તેમને કોઈ જંગલી નથી ગણતું!

4. હડપ્પન સંસ્કૃતીનો વીનાશ થવાં માટે ભયાનક પુર આવ્યું હોવાની ઘણી બધી સાબીતીઓ નજરે ચઢે એવી છે. જેમ કે, સરસ્વતી નદી સુકાઈ જવી, બીજી નદીઓનાં વહેણમાં ફેરફાર, શહેરો પર પુરનાં નીશાન, વગેરે.

5. લોથલ, ધોળાવીરા વગેરે સ્થળોએ અગ્નીની વેદીનાં અવશેષો મળી આવ્યાં છે, જે ઋગ્વેદનાં હોમના વર્ણન સાથે મળતાં આવે છે.

6. નૃવંશશાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે કે આજનાં ગુજરાતી લોકો 8000 વર્ષ પહેલાંનાં લોથલ-ધોળાવીરા સંસ્કૃતીના લોકોને મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે. એ જ પ્રમાણે, પંજાબના લોકો હડપ્પા કે રોપરની 6000 વર્ષ જુની સંસ્કૃતી સાથે મળતી આવતી રહેણી-કરણી ધરાવે છે.

7. ઋગ્વેદમાં સરસ્વતી નદીને મુખ્ય નદી ગણી છે. ઋષી મનુએ 12000 વર્ષ પહેલાં આવેલાં વીશ્વવ્યાપી પુર બાદ સરસ્વતી અને દૃષદ્વતી નદીની વચ્ચેનાં પ્રદેશમાં પ્રાણીસૃષ્ટીનું પુનર્વસન કર્યું હતું. હવે, આ નદી 4000 વર્ષ પહેલાંથી સુકાઈ ગઈ છે. તો પછી આર્યો 3500 વર્ષ પહેલાં ભારતમાં કેવી રીતે આવ્યાં?

8. યજુર્વેદમાં વસંત વીષુવકાળ (vernal equinox) કૃત્તીકા (Pleiades) નક્ષત્રમાં અને ઉનાળાનો અયનાંત (summer solstice) મઘા નક્ષત્રમાં હોવાનો ઉલ્લેખ છે. એ મુજબ યજુર્વેદમાં ઉલ્લેખેલ સમય 4400 વર્ષ પહેલાંનો હોવો જોઈએ.
http://www.harappa.com/script/maha9.html

9. કૃષ્ણનું મૃત્યુ થયું ત્યારે સાત મુખ્ય ગ્રહો રેવતી (Zeta Piscium) નક્ષત્રમાં હતાં. આ લીંક પર ક્લીક કરો: http://www.fourmilab.ch/cgi-bin/Solar . અને, એમાં જ્યાં UTC લખ્યું છે ત્યાં "-3102-02-18 12:00" નાંખો અને Update પર ક્લીક કરો. હવે, જે ગ્રહોનાં સ્થાન આવશે એમાં જુઓ કે લગભગ 3 કલાકનાં ગાળામાં 6 ગ્રહો આવી જાય છે. આનો અર્થ શું? એ જ કે, કૃષ્ણનું મૃત્યુ ઠીક ફેબ્રુઆરી 18, 3102 સન પુર્વ થયું હતું! આજથી 5210 વર્ષ પહેલાં!

10. ઋગ્વેદમાં ઠેકઠેકાણે 'સમુદ્ર'નો ઉલ્લેખ છે. સમુદ્ર એટલે સાગર કે મહાસાગર. મધ્ય એશીયામાં વસતાં આર્યો સમુદ્રને આટલું મહત્વ શા માટે આપે છે?

11. મધ્ય-પુર્વ એશીયામાં 3400 વર્ષ પહેલાં સુર્ય, મરુત, વરુણ, હીમાલય વગેરેની પુજા થતી હોવાનાં ઉલ્લેખ મળ્યાં છે. શું આર્યપ્રજાનો અમુક ભાગ ભારતને છોડીને મધ્ય-પુર્વ એશીયા (ઈરાન, મેસોપોટેમીયા) જઈ વસ્યો હતો?

12. પ્રાચીન ઈજીપ્તની ભાષામાં સુર્યને 'રા' કહે છે, અને એની પુજા કરવામાં આવી છે. સંસ્કૃતમાં પણ 'રા' એટલે સુર્ય.

13. મેહરગઢ અને ધોળાવીરામાંથી જે અવશેષ મળ્યાં છે એ 8000 વર્ષ જુનાં હોવાનું પુરવાર થયું છે.

14. બ્રાહ્મી લીપી અને હડપ્પન સંસ્કૃતીની મુદ્રાઓ પરની લીપી મળતી આવે છે.

15. ઋગ્વેદમાં વસંત વીષુવકાળ મૃગશીર્ષ (Orion) નક્ષત્રમાં થવાનો ઉલ્લેખ છે. તે મુજબ, ઋગ્વેદનો સમયગાળો 4300BCE (6300 વર્ષ પુર્વ) ગણીતજ્ઞોએ માન્યો છે.

16. દ્રવીડીય સંસ્કૃતીના સ્થાપક અગત્સ્ય ઋષી હતાં. તમીલ અને સંસ્કૃત ભાષાઓ વચ્ચે સામ્યતા વધુ છે, નહીં કે ભેદ.

આપણે પુરાતન મહાનતા પર રાચવું યોગ્ય નથી, પરંતું પુરાતન સંસ્કૃતીને સંતુલીતપણે સમજવાનો પ્રયત્ન તો કરીએ! આ લેખ એ દીશામાં એક નાનકડો પ્રયાસ છે. અહીં મારો એ કહેવાનો પ્રયાસ છે કે સીન્ધુખીણની સંસ્કૃતી કે દ્રવીડ લોકો અને આર્યજાતી એક જ છે, અને આર્યો ભારતમાં 8000 વર્ષથી તો વસવાટ કરતાં જ હતાં.


સન્દર્ભ:
1. Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization - David Frawley
2. http://www.harappa.com/indus/indus1.html
3. http://parimiti.wordpress.com/2007/08/16/krushna-ane-itihaas/

Saturday, July 19, 2008

અપ્રતીમ રચના

અપ્રતીમ રચના - ચીરાગ પટેલ ઑગસ્ટ 09, 1998

તારાં વાળ જાણે આકાશમાં લહેરાતાં રેશમી તાંતણાં.
તારું કપાળ જાણે મધ આકાશે ઝગારા મારતો સુરજ.
તારી આંખો જાણે કાજળઘેરી રાતે ટમટમતાં તારલાં.
તારું નાક જાણે અભીમાનથી ખેંચેલી ધનુષની પણછ.
તારાં કાન જાણે રતુમડાં-ખીલેલાં જાસુદનાં ફુલ.
તારાં હોઠ જાણે ગુલાબની અર્ધબીડાયેલી કળી.
તારાં ગાલ જાણે ખીલેલા કમળની કુમાશ.
તારી ગરદન જાણે શરબત ભરેલી સુરાહી.
તારાં હાથ જાણે આકાશે ઉડતાં ગરુડની પાંખો.
તારી આંગળી જાણે સુવાસીત ચંદનની ડાળખી.
તારાં સ્તન જાણે ઉત્તુંગ હીમાલયની ટોચ.
તારી કમર જાણે રેત-ઘડીયાળનું પાત્ર.
તારાં સાથળ જાણે આસોપાલવનાં થડ.
તારાં પગ જાણે કોમળ એવો કુમળો વાંસ.
તારો દેહ જાણે પુર્ણવીકસીત વનલતા.
તુ પોતે જાણે પ્રભુએ બનાવેલી અપ્રતીમ રચના.

હાઈકુ

હાઈકુ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1999

1)
પલક ઝપકી,
દેખાયું સપનું;
રચાયું ઘર.

2)
પામ્યો પ્રેમ,
આપ્યો પ્રેમ;
થયું આ પલકવારમાં.

3)
મોતી ટપક્યું,
એ નશીલી આંખોથી,
ભીંજાયું દીલ.

4)
લાગણી ઓસબુંદ શી,
સુકાયું;
નીશાન હંમેશાં.

Tuesday, July 08, 2008

મૃત્યુની પાર

મૃત્યુની પાર - ચીરાગ પટેલ જુલ. 08, 2008

મહાભારતના એક પ્રસંગમાં આવે છે એ મુજબ, જ્યારે યક્ષ ધર્મરાજ યુધીષ્ઠીરને પ્રશ્ન કરે છે કે, "સંસારનું સહુથી મોટું આશ્ચર્ય શું છે?" ત્યારે ધર્મરાજ જવાબ આપે છે કે, "મનુષ્ય જાણે છે કે એક દીવસ મૃત્યુ આવવાનું છે, છતાં પોતે અમર હોવાનો ડોળ કરે છે. આથી વધુ મોટું આશ્ચર્ય કયું હોઈ શકે?" જો કે, આજનું વીજ્ઞાન મૃત્યુ તો ઠીક, જીવનને પણ અટકાવવા પ્રયત્નશીલ છે! આપણે મૃત્યુની પેલે પારના જીવન વીશે પણ ઘણી બધી દંતકથાઓ અને વાર્તાઓ અને વીચારો કરીએ છીએ. ઘણીવાર, મૃત્યુ પછીના અસ્તીત્વની કલ્પનાએ આ જીવનને સારા ગુણોથી ભરવામાં મદદ કરી છે. આજે, હું મૃત્યુ પછીના અસ્તીત્વને મારી દૃષ્ટીએ સમજાવવા પ્રયત્ન કરીશ. હું પણ કેમ બાકી રહું? :))

છેક પુરાતન કાળથી આપણે પુનર્જન્મ અને જીવનથી અલગ આત્માના અસ્તીત્વને સ્વીકારતાં આવ્યાં છીએ. આપણે આપણા હાલના જીવનમાં ઘટતી બીનાઓને પુર્વજ્ન્મનાં કર્મોનું ફળ માનીએ છીએ, અને હાલના જીવનના કર્મોનું ફળ આ જન્મમાં ના મળે તો નવા જન્મમાં મળે છે એવું માનીએ છીએ! આ છે કર્મનો સીધ્ધાંત, જેનું પ્રતીપાદન શ્રીકૃષ્ણએ ગીતામાં બહુ સચોટ રીતે કર્યું છે. આપણે જેમ રોજેરોજ કપડાં બદલીએ છીએ એ જ રીતે આત્મા પણ જુદાં - જુદાં શરીર બદલે છે અને પોતાનાં પ્રગતી-પથ પર ગતી કરતો અંતે પરબ્રહ્મમાં લીન થઈ જાય છે! આ બધી વીગતોની વ્યાપક ચર્ચા ફરી ક્યારેક કરીશું. આ લેખમાં માત્ર અને માત્ર મૃત્યુ અને નવા જન્મ વચ્ચેની સ્થીતીનો વીચાર કરીશું.

દરેક ધર્મમાં વત્તે-ઓછે અંશે મૃત્યુ પછી સ્વર્ગ કે નર્કની કલ્પના કરવામાં આવી છે. સમગ્ર સૃષ્ટીને માટે સારાં ગણવામાં આવેલાં કર્મો કરવાથી સ્વર્ગ મળે અને ખરાબ કર્મો કરવાથી નર્ક મળે! સ્વર્ગ કે નર્કમાં પણ અમુક સમય સુધી રહીને કર્મોનો ક્ષય થતાં ફરી પાછાં આ મઝાની પૃથ્વી ભેગાં!!! સ્વર્ગની અપેક્ષાએ તો સમાજનો મોટો ભાગ દુષ્કૃત્યો કરવાથી દુર રહે છે. (જો કે, ઓસામા બીન લાદેન જુદાં રસ્તે સ્વર્ગ મેળવવાની લાલચ આપે છે!)

હવે, જેનું મૃત્યુ થયું છે એ કદી પાછા આવીને કશું કહી શકતા નથી, અને અજાણ્યા આપણે તો માત્ર કલ્પના જ કરવી રહી.

પરંતુ, તાજેતરનાં ઈતીહાસમાં અમુક એવાં ઉદાહરણ જાણવા મળે છે કે, જેમણે મૃત્યુ પછી શું થાય છે એને હકીકતરુપે વર્ણવી છે. પરમહંસ યોગાનન્દનાં ગુરુ શ્રીયુક્તેશ્વર દેહત્યાગ પછી યોગાનન્દને મળે છે અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન કરે છે. જુઓ: http://www.crystalclarity.com/yogananda/chap43.html

હીન્દુ શાસ્ત્રો મુજબ, આપણાં ત્રણ પ્રકારનાં શરીર હોય છે: ભૌતીક શરીર (physical body), મનોમય શરીર (astral body), અને કારણ શરીર (causal body). અને, આ સર્વેથી પર હોય છે આત્મા - શુધ્ધ, સચ્ચીદાનન્દનો અંશ, પવીત્ર, શાશ્વત.

આપણાં માટે ભૌતીક શરીરનો નાશ એ મૃત્યુ છે. પણ મનોમય શરીર ભૌતીક શરીરના નાશ બાદ 12 દીવસ સુધી રહે છે (એટલે જ મૃત્યુ પછી બારમું-તેરમું વગેરે વીધી હોય છે). ત્યારબાદ, આત્મા મનોમય શરીરનો પણ ત્યાગ કરે છે, અને માત્ર કારણ શરીર રહે છે. મનોમય શરીર છોડતાં આત્માને કષ્ટ પડતું હોવાનું કહેવાય છે. માટે, જો કોઈ વ્યક્તી મૃત્યુ પામે તો એના સગાંવ્હાલાંઓએ માત્ર રડવાં કરતાં ભજન-પ્રાર્થના પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેની શાંતી માટે પ્રાર્થના કરવી જોઈએ. આ વખતે આત્માનાં એ જન્મનાં સંબંધો નાશ પામે છે. જો તેને આ સંબંધોનું ખેંચાણ રહે તો મનોમય શરીર સહેલાઈથી નહીં છોડી શકે!

(નોંધ: હું આવી બધી બાબતોમાં માનતો નહીં. પણ, પપ્પાના મૃત્યુ પછી જે અનુભવો થયા એ પરથી હું એ સ્વીકારતો થયો છું.)

કારણ શરીર આત્માને પાછલાં જન્મોનું જ્ઞાન કરાવે છે અને છેલ્લા જન્મનું સરવૈયું તૈયાર કરે છે. ત્યાર બાદ, તે આત્મા પછી નવો જન્મ કેવી રીતે લેવો, ક્યાં લેવો અને કેવો અનુભવ પ્રાપ્ત કરવો એ નક્કી કરે છે. અને, નવો જન્મ ધારણ કરે છે! અહીં ક્યાંય યમદુતો કે સ્વર્ગ-નર્ક કે ચઢતી-ઉતરતી યોનીનો કોઈ સવાલ જ નથી આવતો.

જે વ્યક્તી પોતાનાં દૈહીક જન્મમાં કર્મોનો ત્યાગ કરવામાં સફળ થઈ હોય, તેનું કારણ શરીર પણ નાશ પામતું હોય છે. માત્ર અને માત્ર આત્મા રહી જાય છે અને એ પરબ્રહ્મની જ્યોતીમાં વીલીન થઈ જાય છે.

શ્રીઅરવિન્દે "પુર્ણયોગની સમીક્ષા" પુસ્તીકામાં આ વાત લખી છે.

ઘણાં બધાં સાયકાયાટ્રીસ્ટે ડીપ-ટ્રાંસના પ્રયોગો કર્યાં છે અને પોતાનાં અનુભવોની નોંધ પણ પ્રગટ કરી છે. આવાં એક વૈજ્ઞાનીક - ડૉક્ટર છે, જોએલ વ્હીટન (Dr Joel Whitton). નેટ પર એમની ઘણીબધી નોંધ મળી આવશે. તેમણે દેશ-જાતી-ધર્મ-આયુષ્ય-પુનર્જન્મમાં માનતા/ના માનતા વેગેરે વીવીધતાં ધરાવતાં ઘણાં લોકો પર પ્રયોગો કર્યાં હતાં. તેમની અભ્યાસનોંધમાંથી કેટલાંક અવતરણો:

- જન્મ પહેલાંની અને મૃત્યુ પછીની સ્થીતીનું વર્ણન એકસરખું મળતું આવે છે.
- આત્મા એક ઘણી જ પ્રકાશીત જગ્યાએ પહોંચે છે. આ પ્રકાશ આંજી દેતો પણ સહેજે કષ્ટદાયક લાગતો નથી.
- એ જગ્યાએ તે આત્મા પોતાના પુર્વજન્મનાં ઘણાં સ્નેહીઓને ઓળખી પાડે છે. પછી, એ પુર્વજ્ન્મ કોઈ પ્રાણી કે વનસ્પતીનો ભલે હોય!
- આત્મા નવા જન્મનાં પૃથક્કરણ વખતે સ્ત્રી કે પુરુષ તરીકે અવતરવું એ નક્કી કરે છે. વળી, ક્યાં અને કેવો અનુભવ લેવો એ પણ નક્કી કરી લે છે. એક કીસ્સામાં એક સ્ત્રીએ વ્હીટનને એવું કહ્યું હતું કે, પોતાના પર 34 વર્ષની ઉમ્મરે બળાત્કાર થાય એ તેણે પહેલાંના જન્મોમાં બાકી રહી ગયેલા એક કર્મ સંબંધે નક્કી કર્યું હતું!
- જો આત્મા નક્કી કરેલી યોજના મુજબ અનુભવ મેળવી ના શકે તો નવા જન્મમાં એ માટેના સંજોગો ઉભાં કરે છે.
- આત્મા પૃથક્કરણ કરતી વખતે જાણે કોઈ અજાણી શક્તીના દોરીસંચારથી, પોતાની જાતે જ દુઃખ કે સુખનાં અનુભવો નક્કી કરે છે. દરેક ઘટનાનું સમ્પુર્ણ તટસ્થભાવે અવલોકન કરે છે.

હું પોતે માનું છું કે પ્રાણના મહાસાગરનાં એક નાના-શાં તરંગ આપણે, દરેક ઘટનાની પાછળ એક ચોક્કસ કારણને જાણવું જોઈએ. પોતાની જાતને કદી દુઃખી કે દુર્બળ માનવી ના જોઈએ. હમ્મેશાં સારાં કર્મો કરવાં અને બને ત્યાં સુધી કર્મફળનો ત્યાગ કરવો. જેમ, ખોટાં કર્મો આપણને બાન્ધે છે, એ જ રીતે સારાં કર્મો પણ આપણને બાન્ધે છે. શ્રીકૃષ્ણના કહ્યાં મુજબ આપણે દરેક પ્રકારનાં કર્મોના ફળને શ્રીના ચરણોમાં અર્પણ કરવાં જોઈએ. પછી, આ ચક્રમાં કેવી રીતે રહેવું અને એમાંથી ક્યારે બહાર આવવું એ બધી એની જવાબદારી થઈ પડે છે! મોરારીબાપુએ કહ્યું છે ને કે, જો ગમતું થાય તો હરીકૃપા, ગમતું ના થાય તો હરીઈચ્છા! કર્મ કર્યાં વગર તો આપણે રહી શકીએ એમ નથી, એટલે એનાં ફળનો ત્યાગ કરીએ.

જે ઘણાં ધાર્મીક લોકો બીવડાવે છે કે, ખોટાં કામ કરવાથી પશુયોનીમાં જન્મવું પડશે, એ લોકો કંઈક અંશે સાચું કહે છે. પણ, સાથે એ પણ સાચું છે કે, આ આત્મા પરબ્રહ્મનો અંશ છે અને તેની પોતાની પાસે જ પ્રગતીની ચાવી છે. જે અનુભવો આત્મા લેવા માંગે છે, એ તટસ્થભાવે અનુભવો અને આત્માને એટલો ઉચ્ચ આવૃત્તી પર લઈ જાઓ કે જેથી તે આ ચક્રનું આવરણ ભેદી શકે. એના માટે શુધ્ધ ભક્તી જેટલો સહેલો અને સચોટ ઉપાય નથી.

Monday, July 07, 2008

સાથ

સાથ - ચીરાગ પટેલ ડીસ. 03, 1998

અજાણ્યો એવો સાથી આવ્યો, મળ્યો; છું તમારો.
ચાતક સમ વર્ષાબુન્દો ઝીલવા મથતો; છું તમારો.

ઉંચા-ઉંચા ગગનને ચુમવા મથતો; છું તમારો.
થાકીને આવી પટકાતો ધરણી પર; છું તમારો.

સાગરના પેટાળમાં ડુબકી મારતો; છું તમારો.
શ્વાસ લેવા ગુંગળાતો, અટવાતો; છું તમારો.

મુક્ત બની સ્વૈરવીહાર કરવા માંગતો; છું તમારો.
સપડાઈ જતો દુન્યવી માયાજાળમાં; છું તમારો.

લીલુડી વનરાજીમાં ભટકતો જતો; છું તમારો.
રસ્તો ભુલી અવળો ચઢી જતો; છું તમારો.

હવાની નાની-શી લહેરખીમાં ઉડતો; છું તમારો.
છતાંય વાતો કરતો વાવાઝોડાની; છું તમારો.

જાણવા છતાંય દુઃખી કરતો તમને; છું તમારો.
પ્રેમ પામવા તમારો, તલસતો હું; છું તમારો.

જાણું છું, છે થોડી મારા માટે પણ જગા; છું તમારો.
અપનાવશો પ્રેમે તમારા હ્રદયકમળમાં; છું તમારો.

ગાંધી ઉદ્યાન

ગાંધી ઉદ્યાન - બંસીધર પટેલ

રાષ્ટ્રનો ઉદ્યાન બનાવ્યો રક્ત સીંચન કરી બાપુએ;
અવનવા પૌધા ઉછેરી નયનરમ્ય બનાવ્યો ગાંધીએ.
ખીલખીલાટ વેરતી હાસ્ય, ખડખડ હસતી કળીઓ;
વયોવૃધ્ધ શા ઝાડવાં હસતાં, મલકાતી સહુ લતાઓ.

અમીઝરણાં વરસાવો પ્રભુજી, ઉદ્યાન ભર્યો ભાદર્યો કરવા સ્મરુ;
મહેંક અનેરી પ્રસરાવો વીભુજી, મઘમઘતી ફોરમ કરવા સારુ.
સ્વચ્છ, સુઘડ, મનભાવન વેલ, લતાઓ મદમસ્ત હસતી અતી;
કરતી ભાવભર્યું સ્વાગત ઉલ્લાસે, મન પુલકીત, સોહાયે હ્રદયી.

વાગતાં પડઘમ ચોદીશાઓથી, શુભમંગલનાં એંધાણ સરીખાં;
ઉદ્યાન ખીલ્યો પુરબહારે, પહેર્યાં સર્વે ડીલે નવાં અંગરખાં.

મા

મા - બંસીધર પટેલ

શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

Friday, July 04, 2008

ભારત - 2

ભારત - 2 - સ્વામી વિવેકાનન્દ

11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની જેમ અજ્ઞાન આ દેશ ઉપર છાઈ રહ્યું છે તેનો તમને કંઈ વસવસો છે ખરો? શું એથી તમને અજંપો થાય છે? શું એથી તમારી ઉંઘ હરામ થઈ ગઈ છે ખરી? શું એ હકીકત તમારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળવીને અને તમારી નસોમાં ભ્રમણ કરીને, તમારા રક્તમાં પ્રવેશી ચુકી છે? શું એનાથી તમે લગભગ પાગલ જેવા બની ગયા છો? શું પાયમાલીના દુઃખના એકમાત્ર ખ્યાલે તમારો કબજો લઈ લીધો છે ખરો? શું આને માટે તમે તમારું નામ, તમારી કીર્તી, તમારાં સ્ત્રીછોકરાં, તમારી સંપત્તી - અને તમારો દેહ સુધ્ધાં- વીસરી બેઠા છો ખરા? શું તમે આવું બધું અનુભવ્યું છે ખરું? દેશભક્ત થવાનું એ પ્રથમ સોપાન છે - સૌથી પ્રથમ સોપાન.

12. આવો, મનુષ્ય બનો. તમારી કુપમંડુક્તામાંથી બહાર આવો અને બહારની દુનીયાને નીહાળો, બીજા દેશો કેવી રીતે આગેકુચ કરી રહ્યા છે તે જુઓ. શું તમે મનુષ્યને ચાહો છો? શું તમારામાં દેશપ્રેમ છે? તો પછી આવો આપણે વધુ ઉચ્ચ અને સારી વસ્તુઓ માટે પુરુષાર્થ કરીએ. પાછળ નજર નહીં કરો, ના, તમારાં પ્રીયજનો અને સ્વજનોને રડતાં જુઓ તો પણ નહીં. પાછળ નહીં, આગળ નજર કરો.

13. ભારત પ્રતી પુર્ણ પ્રેમ અને દેશભક્તી હોવા છતાં, આપણા પુર્વજો પ્રતી આદરભાવ હોવા છતાં હું એવું માન્યા વગર રહી શકતો નથી કે આપણે અન્ય દેશો પાસેથી પણ ઘણું ઘણું શીખવાનું છે. ભારત બહારના જગત વગર આપણે ચલાવી શકીએ; આપણે એવું માની લીધું એ આપણી મુર્ખાઈ હતી અને છેલ્લાં હજારેક વર્ષોની ગુલામી ભોગવીને આપણે એનો દંડ ચુકવ્યો છે. બીજા દેશો સાથે આપણા દેશની વસ્તુસ્થીતીની તુલના કરવા માટે આપણે પરદેશગમન ન કર્યું અને આપણી આસપાસ સર્વત્ર શું ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં, એ ભારતીય વીચાર-શક્તીના આ પતનનું એક મુખ્ય કારણ છે. આપણે એનો દંડ ચુકવ્યો છે; હવે આપણે એનું પુનરાવર્તન ન કરીએ.

14. દક્ષીણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદીરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદીરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે, ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતીહાસમાં તમને વધુ ઉંડી દ્રષ્ટી આપશે. ખંડેરમાંથી અવારનવાર ઉભા થતાં ફરીથી એ જ નવશક્તી અને સામર્થ્ય ધારણ કરતાં આ મંદીરો ઉપર સેંકડો આક્રમણો અને સેંકડો પુનરુધ્ધારનાં ચીહ્નો કેવાં અંકીત થયાં છે તે જુઓ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ.

15. આપણી આ મહાન માતૃભુમી ભારત - એ જ આવતાં પચાસ વર્ષો સુધી આપણું મુખ્ય વીચાર-કેન્દ્ર બની રહેવું જોઈએ. બીજા બધા મીથ્યા દેવો એટલા સમયને માટે આપણા મનમાંથી ભલે વીલુપ્ત થઈ જાય! અત્યારે તો આ એકમાત્ર દેવ, આપણી આ ભારતીય પ્રજા - જાગ્રત છે. 'ચારે દીશામાં તેના હાથ છે, ચારે દીશામાં તેના પગ છે, ચારે દીશામાં તેના કાન છે; સર્વને તે આવરી રહેલ છે.' બીજા બધા દેવો ઉંઘી ગયા છે. આપણે કેવા મીથ્યા દેવોની પાછળ દોટ મુકી રહ્યા છીએ અને છતાં જેને આપણે આપણી ચોતરફ વીસ્તરતો જોઈએ છીએ તે દેવને - તે વીરાટને - આપણે પુજી શકતા નથી! જ્યારે આપણે આ દેવનું પુજન કરીશું ત્યારે બીજા બધા દેવોનું પુજન કરવાને શક્તીમાન થઈશું.

16. રાષ્ટ્રના આધ્યાત્મીક અને વ્યાવહારીક શીક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે આ વાત સમજો છો ખરા? અત્યારે તમને જે શીક્ષણ મળે છે તેમાં કેટલાક સારા અંશો અવશ્ય છે. પરંતુ તેમાં એ મોટી ખામી છે - અને આ ખામી એટલી મોટી છે કે તમામ સારા અંશો તદ્દન દબાઈ જાય છે. પહેલી વસ્તુ એ કે એ મનુષ્યત્વનું ધડતર કરનારું શીક્ષણ નથી. એ સંપુર્ણ રીતે કેવળ નીષેધનું - જડતાનું - શીક્ષણ છે. નીષેધાત્મક શીક્ષણ અથવા નીષેધોના પાયા ઉપર રહેલી કોઈપણ તાલીમ મૃત્યુ કરતાં પણ વધુ ખરાબ છે.

17. ભારતને તો હું અહીં આવ્યો તે પહેલાં પણ ચાહતો હતો, પરંતુ હવે તો તેની ધુળ પણ મારા માટે પવીત્ર છે, તેની હવા પણ મારા માટે પુનીત છે; હવે એ પુણ્યભુમી-તીર્થભુમી- બન્યું છે.

18. જો તમારે અંગ્રેજ કે અમેરીકન પ્રજાની બરોબરી કરવી હોય તો તમારે શીખવું તેમ જ શીખવવું પડશે - અને હજી પણ સદીઓ સુધી જગતને શીખવી શકો એવું તમારી પાસે ઘણું છે. આ કાર્ય કરવું જ પડશે.

19. ભારતનું પતન થયું તેનું કારણ એ નથી કે પ્રાચીન નીયમો અને રીતરીવાજો ખરાબ હતા; પરંતુ તેનું કારણ તો એ છે કે આ નીયમો અને રીતરીવાજોને એમનાં ઉચીત પરીણામો સુધી પહોંચવા દેવામાં આવ્યાં નહીં.

20. રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નીષ્ઠાથી ઉભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે - એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઉભા થાય ત્યારે ભારત એકેએક ક્ષેત્રમાં મહાન બનશે. રાષ્ટ્ર એટલે આખરે તો રાષ્ટ્રના લોકો જ!

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Saturday, June 28, 2008

દ્વીઅંકી ગણીત - 1

દ્વીઅંકી ગણીત - 1 - ચીરાગ પટેલ જુન 27, 2008

આજે આપણે કમ્પ્યુટરની કારભારને સમજવા એક ડગલું ઉપર ચઢીએ. આપણે દ્વીઅંકીના એકડા-બગડા શીખી લીધાં (કે એકડાં-મીંડાં) છે, એટલે હવે એમની ગાણીતીક પ્રક્રીયાઓ સમજીએ.

જેમ આપણે પહેલાં ધોરણમાં એકમના સ્થાન માટે સરવાળા-બાદબાકી શીખ્યાં હતાં એમ જ આજે સરવાળા-બાદબાકી દ્વીઅંકી પધ્ધતીમાં શીખીશું (ફરીથી, પહેલું ધોરણ?). તો, આ જુઓ.

0 + 0 = 0
0 + 1 = 1
1 + 0 = 1
1 + 1 = 1

આવું કેવી રીતે થાય? માળું, 1માં 1 ઉમેરીએ તો બમણાં ના થાય વળી? નીચેની આકૃતી જુઓ.

વીજસ્ત્રોત ----- સ્વીચ 1 ----- લૅમ્પ
|_______ સ્વીચ 2 ____|

અહીં, એક વીજસ્ત્રોતમાંથી બે વાયર દ્વારા એક લૅમ્પ જોડાયેલો છે એવું વીચારો. દરેક વાયરમાં વચ્ચે એક-એક સ્વીચ છે એવું જુઓ. હવે, સ્વીચ ચાલુ હોય તો 1 લખો અને સ્વીચ બન્ધ હોય તો 0 લખો. એ જ પ્રમાણે, લૅમ્પ પ્રકાશીત થાય તો 1 લખો અને લૅમ્પ બન્ધ રહે તો 0 લખો. વળી, વીજળીનો ગુણધર્મ એવો છે કે, ઉપરની આકૃતીમાં જણાવેલ જોડાણને આપણે "+"ની પ્રક્રીયા તરીકે સમજી શકીએ. અહીં, વીજળીનો કરંટ વહેંચાય છે અને વૉલ્ટૅજ સમાન રહે છે. લૅમ્પને ચાલુ થવા માટે પુરતાં વૉલ્ટેજની આવશ્યક્તા હોય છે.

તો, જો બન્ને સ્વીચ બન્ધ સ્થીતીમાં હોય તો, લૅમ્પ બન્ધ રહેશે, અને કોઈ પણ એક કે બન્ને સ્વીચ ચાલુ કરતાં લૅમ્પ સળગશે. હવે, આ અવલોકનને દ્વીઅંકી સરવાળાનાં કોઠા સાથે સરખાવો.

હવે, બાદબાકી જોઈએ.

0 - 0 = 0
1 - 0 = 1
1 - 1 = 0
0 - 1 = 1

છેલ્લું વીધાન તો કાંઈ જ સમજમાં ના આવે એવું લાગે છે! મને પણ એવું જ લાગે છે. પહેલાં ત્રણ વીધાન તો સરળતાથી સમજી શકાય છે. પણ, ચોથાં વીધાનમાં એવું વીચારો કે, જવાબ "-1" આવે છે અને એનો ઋણભાર કોઈક જગ્યે યાદ રાખવામાં આવે છે. આ બાબત સરળતાથી સમજવા માટે મને જો યોગ્ય ઉદાહરણ મળી આવે તો સમજાવીશ! પણ એવું માનો કે આપણે 2ની વદ્દી લીધી (હવામાંથી?) અને એટલે 0 - 1 ને બદલે 2 - 1 કર્યું.

આજ પુરતું આટલું રાખીએ. પછી વધુ સ્થાનના સરવાળા - બાદબાકી સમજીશું.

Saturday, June 21, 2008

સતોડીયું

સતોડીયું - ચીરાગ પટેલ Jun 21, 2008

નાનપણમાં 'સતોડીયું' તો ઘણાં બધાં રમ્યાં હશે! સાત નાના ઠીકરાં એક પર એક મુકીને પછી આપણે બે ટીમ પાડીને દડાથી સતોડીયું તોડવાની રમત રમતાં હતાં. પ્રકૃતી પણ સતોડીયાનો ખેલ બહુ બધી રીતે રમી રહી છે. આજે, આપણે આ બાબતે થોડુંક અવલોકન કરીએ.

થોડી ગણીતની ગમ્મતથી શરુઆત કરીએ. અપુર્ણાંકની રીતે 1 ને 7 વડે ભાગો. શો જવાબ આવ્યો? 0.142857142857... હવે, 2 ને 7 વડે ભાગો તો! 0.285714285714... આ જ પ્રક્રીયા 3, 4, 5, 6 પર કરીએ તો શું જોવા મળે છે?

1 / 7 = 0.142857
2 / 7 = 0.285714
3 / 7 = 0.428571
4 / 7 = 0.571428
5 / 7 = 0.714285
6 / 7 = 0.857142

હવે, આ લીંક પરની આકૃતી જુઓ: http://en.wikipedia.org/wiki/Image:Enneagram.svg

અહીં એનીયાગ્રામ ( Enneagram ) માં 1 થી 9 સુધીના અંકોને એકસરખા ખુણે લખવામાં આવ્યાં છે અને એમાં 1, 4, 2, 8, 5, 7 એ ક્રમમાં જોડવાથી બનતો આકાર દર્શાવવામાં આવ્યો છે. શરુઆત જો 1થી કરો તો 1/7 નો જવાબ મળશે. શરુઆત જો 2થી કરો તો 2/7 નો જવાબ મળશે. એ જ પ્રમાણે, 4થી શરુઆત કરતાં 3/7 વગેરેનો જવાબ મળશે. બાકી રહેલાં 3, 6, અને 9 ને જોડતો ત્રીકોણ જુઓ. આ એનીયાગ્રામ એ સાત તત્વો કે સાત ચક્રોનું પ્રતીનીધીત્વ કરે છે. એને થોડા વીસ્તારથી સમજીએ.

[ ચક્ર == બીજ == સ્થાન == તત્વ] નો કોઠો:
મુળાધાર - લં - કરોડનો સહુથી નીચેનો છેડો - પૃથ્વી
સ્વાધીષ્ઠાન - વં - જનનાંગના છેડે - જળ
મણીપુર - રં - નાભી - અગ્ની
અનાહત - યં - છાતી મધ્યે - વાયુ
વીશુધ્ધ - હં - ગળાના છેડે - આકાશ -
આજ્ઞા - ૐ - ભ્રુકુટી મધ્યે - માનસ
સહસ્ત્રાર - ૐ - શીખામુળ - મહત

મન જ્યારે આ જુદા જુદા તત્વો/ચક્રોમાં ઉપર ઉઠે છે ત્યારે એને જુદા જુદા આધ્યાત્મીક અનુભવો થતાં હોય છે. આ ઉપરાંત, નાકની નીચે બ્રહ્મ ગ્રંથી, પેટની શરુઆતના ભાગે વીષ્ણુ ગ્રંથી, અને મુળાધાર-સ્વાધીષ્ઠાનની વચ્ચે રુદ્ર ગ્રંથી હોય છે. એમને અનુક્રમે ઐઁ, હ્રીઁ, ક્લીઁ એ બીજમંત્રોથી કાર્યરત કરવામાં આવે છે. આપણે આખો મંત્ર જોઈએ તો સહસ્ત્રાર - બ્રહ્મ ગ્રંથી - વીષ્ણુ ગ્રંથી - રુદ્ર ગ્રંથી - મુળાધાર - સ્વાધીષ્ઠાન - મણીપુર - અનાહત - વીશુધ્ધ - આજ્ઞા એ ક્રમમાં "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ લઁ વઁ રઁ યઁ હઁ ૐ" એવા જાપથી ધ્યાન કરવામાં આવે છે. મુળમંત્ર કે નવાર્ણ મંત્રમાં પણ આ જ તત્વો/ચક્રોનું નીરુપણ છે - "ૐ ઐઁ હ્રીઁ ક્લીઁ ચામુંડાયૈ વીચ્ચે" એ રીતે ધ્યાન કરવામાં આવે છે.

કુદરત પ્રકાશીય કે ક્વૉંટમ ઘટનાઓમાં પણ સાત રંગોની રંગોળી પુરે છે. મેઘધનુષ, પ્રીઝમ વગેરેમાં જામ્બલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો રંગ દેખાય છે. ઈલેક્ટ્રોનની સ્પેક્ટ્રલ લાઈનમાં પણ આ સાત રંગોનાં જ સપનાં હોય છે! પૃથ્વી પર સાત ખંડ (એશીયા, આફ્રીકા, યુરોપ, ઉત્તર અમેરીકા, દક્ષીણ અમેરીકા, ઑસ્ટ્રેલીયા, એંટાર્કટીકા), જ્યોતીષમાં મુખ્ય સાત ગ્રહો, વગેરેમાં પણ સાતનું જ સામ્રાજ્ય છે. અઠવાડીયાના વાર પણ સાત (રવી, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શની) છે. (આપની જાણ ખાતર, મારો જન્મ પણ 7મી જાન્યુઆરી છે, એટલે મને 7 પ્રત્યે વીશેષ અનુરાગ હોવો વ્યાજબી છે ને...)

Saturday, June 14, 2008

પીયુમીલન

પીયુમીલન - ચીરાગ પટેલ Oct 20, 1998

મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;
જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની.

હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;
અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં.

ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;
ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ.

એક જ ઉમળકો, એક જ આશા, પામું જીવનસંગીનીને;
પરીચય થતાં તુજ સંગ, મીઠી વીરડી દેખાણી તારામાં.

સાગરખેડુને અચાનક જ આવી મળી લીલીછમ ધરણી;
રોમ-રોમ પોકારી ઉઠ્યું, બસ હવે તો આ જ વીસામો.

હ્રદય પુલકીત થઈ પોકારી ઉઠ્યું, આ તો એ જ!
જન્મોજનમ જે આવી મળે, બે ઘડીના આશરાની સંગીની.

ત્યારે જ ન સમજાય એવો લય જન્મ્યો બ્રહ્માંડીય;
બે આત્માનું થયું મીલન, જરાયુક્ત દેહ થકી અનોખું.

ઓષ્ઠનું અધરથી, લોચનથી નયનનું, છાતીનું ઉરોજથી;
દેહનું તનથી 'ને લીંગનું યોનીથી, થયું એ અનોખું મીલન.

ત્યારે જ સમજાઈ, યોજના, પરમપીતાની સૃષ્ટી સાચવણીની;
સરજાઈ રહ્યું આત્મીક મીલન, સૃષ્ટીને સાચવવા સ્તો વળી.

શું રહ્યું પામવાનું બાકી ઈહલોકમાં? છે કાંઈ બાકી?
મનોહારીણીનો પ્યાર જ લઈ જશે બાકીના રસ્તે.

લાગે છે પ્રભુની ઇચ્છા પણ આ મીલનમાં સામેલ;
એ જ બધી બાજીઓ ગોઠવે છે આપણને નચવીને.

એને પામવાના લક્ષ્યમાં આ તો છે પાશેરામાં પહેલી પુણી;
તારો પ્રેમ ને તારી શક્તી, પહોંચાડશે બન્નેને ત્યાં સુધી.

Friday, June 13, 2008

લાલ

લાલ - ચીરાગ પટેલ ज़ुन 13, 2008

જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો 'ને;
તો છે સમ આકાશ દીકો લાગણયોનો.

ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;
જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો.

થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;
હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું.

સારો બનજે, આશીષ અમારા સંગે;
હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં.

આપું નવ સંસ્કાર બધાં, બાળ અમારો;
પ્રાર્થું તમને 'મા', સથવારો તવ એક જ.

-------------------------------------------------
(મારા દીકરા 'વૃન્દ'ને સમર્પીત)
(છન્દ: ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા)

Saturday, June 07, 2008

ભારત - 1

ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ

1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું - નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.

2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; પરંતુ જો તેઓ ખંત કેળવે, અભ્યાસ ચાલુ રાખે અને આ વીચારોની પાછળ રહેલા મહાન સીધ્ધાંતોનો પરીચય મેળવે તો નવ્વાણું ટકા તો એમના જાદુઈ પ્રભાવ નીચે અવશ્ય આવી જાય અને મુગ્ધતાનો ભાવ અનુભવે.

3. પણ, જેમ જેમ હું વયમાં મોટો થતો જાઉં છું, તેમ તેમ ભારતની આ પ્રાચીન સંસ્થાઓને વધુ સારી રીતે હું સમજતો થાઉં છું એવું મને લાગે છે. એવો પણ સમય હતો કે જ્યારે હું માનતો હતો કે આમાંથી ઘણી ખરી સંસ્થાઓ નીરુપયોગી અને વ્યર્થ છે, પરંતુ જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ એમાંથી કોઈને પણ ઉતારી પાડવાનો મારો ઉત્સાહ મન્દ પડતો જણાય છે. કારણ કે આવી પ્રત્યેક સંસ્થા એ અનેક સૈકાઓના અનુભવોનું મુર્ત સ્વરુપ છે.

4. મારી આ વાતમાં શ્રધ્ધા રાખો કે બીજા દેશો તો ધર્મની મોટી ચર્ચા કરે છે, પરંતુ જેણે ધર્મને પોતાના જીવનમાં ઉતાર્યો છે એવો વ્યવહારદક્ષ ધર્મપુરુષ તો કેવળ ભારતીય જ જોવા મળશે.

5. મેં કહ્યું છે કે જગતને શીખવી શકીએ એવું કંઈક હજી પણ આપણી પાસે છે. સેંકડો વર્ષોના જુલ્મો અને હજારો વર્ષોથી પરદેશી શાસન અને સીતમો સહન કરીને પણ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે તેનું એ જ કારણ છે. આ રાષ્ટ્ર હજી જીવંત છે; એના અસ્તીત્વનું હાર્દ એ છે કે હજી પણ ઈશ્વરને, ધર્મ અને આધ્યાત્મીક્તાના અમુલ્ય નીધીને વળગી રહ્યો છે.

6. આ દેશમાં હજી પણ ધર્મ અને આધ્યાત્મીક્તા એ એવા સ્ત્રોતો છે કે જેમણે પશ્ચીમનાં તેમજ અન્ય રાષ્ટ્રોમાં નવજીવન અને નવશક્તીનો સંચાર કરવા માટે ઉભરાઈને પુરની માફક આખા જગતમાં રેલાઈ જવું પડશે. રાજકીય મહત્ત્વકાન્ક્ષાઓ અને સામાજીક કાવાદાવાને કારણે આ રાષ્ટ્રો આજે લગભગ ઝુકી ગયેલાં, અધમુવાં અને પતીત બની ગયાં છે.

7. પણ ખ્યાલ રાખજો કે જો તમે એ આધ્યાત્મીક્તાને છોડી દેશો અને પશ્ચીમની જડવાદી સંસ્કૃતીનું અનુસરણ કરવા માટે એને બાજુએ હડસેલી મુકશો તો પરીણામ એ આવશે કે ત્રણ પેઢીની અન્દર એક જાતી તરીકે તમારી હસ્તી મટી જશે, જેના ઉપર રાષ્ટ્રની ઈમારતનું ચણતર થયું છે એ પાયો નબળો પડી જશે અને પરીણામે સર્વત્ર વીનાશ ફેલાઈ જશે.

8. ભૌતીક શક્તીનાં કેન્દ્ર સમું યુરોપ જો પોતાની સ્થીતીમાં પરીવર્તન કરવાની, પોતાનો આદર્શ બદલવાની સાવધાની નહીં દાખવે અને આધ્યાત્મીક્તાને પોતાના જીવનનો પાયો નહીં બનાવે તો પચાસ વર્ષોની અન્દર તે ધુળભેગું થઈ જશે; અને એમાંથી એને તારશે ઉપનીષદોનો ધર્મ.

9. આપણા ઉચ્ચ વર્ગના પુર્વજો એ દેશના સામાન્ય લોકોને એટલી હદે પોતાના પગ તળે કચડતા ચાલ્યા કે આ સામાન્ય લોકો લાચાર બની ગયા; એ બીચારા દરીદ્ર લોકો યાતના ભોગવી ભોગવીને લગભગ ભુલી ગયા કે અમે પણ માણસો છીએ. સૈકાઓ સુધી કેવળ લાકડાં કાપનારા કઠીયારા કે પાણી ખેંચનારા ભીસ્તીઓ તરીકે રહેવાની તેમના ઉપર ફરજ લાદવામાં આવી છે - અને તે એટલે સુધી કે તેઓ ઉપર એવી માન્યતા ઠોકી બેસાડવામાં આવી છે કે અમે તો ગુલામો, કઠીયારા કે ભીસ્તીઓ રહેવા માટે જ સર્જાયા છીએ.

10. ઉપનીષદનાં સત્યો તમારી સમક્ષ ખડાં છે. જો તેમને અપનાવશો, આચરણમાં ઉતારશો તો સમજી લેજો કે ભારતનો ઉધ્ધાર હાથવેંતમાં જ છે.


--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

ગ્રીષ્મ

ગ્રીષ્મ - બંસીધર પટેલ

શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
આગઝરતી બપોરથી બનેલા વીહ્વળ, 'ને મળી શાતા.
લતાઓમાં સંતાઈ ગયેલી કળીઓ સહેજ ડોકાઈને લપાઈ.
અવનીથી રીસાયેલો અનીલ, ધીરેધીરે પ્રસર્યો સર્વત્ર.
નવશેકું બનેલું જળ, પામી રહ્યું પુનઃ સ્વસ્થીતી.

બેબાકળા બનેલા મનુષ્ય, હાશ અનુભવી રહ્યા લગીર.
ભુલકાં પણ ખેલી રહ્યાં, જાણે વીખરાયેલાં ચમન-પુષ્પ.
ગોરજનો સમય મહામુલો, ઉડાડી રહ્યો માદક રજ.
વીખરાયેલાં સહુ, દોડે - યથાસ્થાને મળવાની હોંશ.
બની આહ્લાદક સમીસાંજ, ના ભાસે લગીરે ગ્રીષ્મ પવન.
આ આવી, આ ગઈ, સાંજ, નીશાને મળવા ઉતાવળી.
રાત્રી જશે, સુપ્રભાત થાશે, ફરીથી આગઝરતો બપોર.
નીરવ શાંતીમાં અશાંતી, વીરોધાભાસ ખરો જીવનનો.

ઉષ્ણ, શીતળ કે સમશીતોષ્ણ, હોય સઘળાં એક.
જીવનતણાં ઘરનાં રુમ, જોડાયેલા ચક્ર-આરા અનેક.
મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.

Friday, May 30, 2008

પૉર્ટપુરાણ

પૉર્ટપુરાણ - ચીરાગ પટેલ May 30, 2008

કમ્પ્યુટરમાં તમે ઘણાં બધાં પેરીફેરલ ડીવાઈસ (Peripheral device) લાગેલાં જુઓ છો, જેમ કે કીબૉર્ડ, માઉસ, મોનીટર, વગેરે. તથા ટુંકા/લામ્બા કૅબલ(cable)થી ઈથરનેટ રાઉટર (Ethernet router), યુએસબી(USB - Universal Serial Bus) વેબ-કૅમ (Web Cam) વગેરે જોડાયેલાં હોય છે. આ બધાં લટકણીયાં જુદી-જુદી જાતનાં કૅબલથી કમ્પ્યુટરના જાત-જાતનાં પૉર્ટ (Port) સાથે જોડાય છે. કૅબલ અને પૉર્ટને મુશ્કેટાટ બાન્ધતાં કનેક્ટર(connector)માંથી જે ઉપસેલા ભાગનું હોય એને મેઈલ(male) કનેક્ટર અને જે ભાગ અન્દર તરફ દબાયેલો હોય એને ફીમેઈલ(female) કનેક્ટર કહે છે (દેખીતા કારણસર જ... ;-) ).

થોડાંક કનેક્ટરનાં પ્રકાર અને ઉપયોગ જોઈએ.

3.5એમએમ(3.5mm) - સ્પીકર(speaker), માઈક્રોફોન(microphone), લાઈન ઈન/આઉટ(Line In/Out) માટે
બીએનસી.(BNC - Beyonnet Network Connector) - કો-એક્સ્યલ(co-axial) કૅબલ માટે
ડીવીઆઈ-ડી ડ્યુઅલ લીંક(DVI-D Dual Link) - હૅંડીકૅમ(Handycam) કે ડીજીટલ કૅમેરા(Digital Camera) માટે (એને ફાયર વાયર(Fire Wire - IEEE 1492) પણ કહે છે)
એચડીએમઆઈ(HDMI) - હાઈ-ડેફીનીશન(Hi-Definition) કનેક્ટર (હાઈ-ડેફ ડીવીડી પ્લેયર(HD DVD Player) જેવા)
એચડી15(HD15) - મોટે ભાગે મોનીટર માટે
આરસીએ(RCA) - આરજીબી(Red-Green-Blue) વીડીયોવાળા સાધન માટે (ડીવીડી પ્લેયર જેવા)
એસ વીડીયો(S-Video) (4-પીન ડીન(4-pin DIN)) - ડીવીડી પ્લેયરમાં વધારે ગુણવત્તાવાળું દ્રશ્ય મેળવવા
ટૉસલીંક(TOSLINK) - ઑપ્ટીકલ લીંક(Optical Link) છે જે ડીજીટલ ઑડીયો(Audio) માટે વપરાય છે.
એફ ટાઈપ(F -Type) - ટીવી(TV), કૅબલ કનેકશન(Cable TV connection) માટે (F type??? really? :D )
બનાના પ્લગ(Banana Plug) - એમ્પ્લીફાયર(Amplifier)થી સ્પીકરના કૅબલ માટે
સ્પીકર પીન(Speaker Pin) - સ્પીકર માટે
એક્સએલઆર(XLR) - ધન્ધાકીય ઑડીયો ગુણવત્તાવાળાં સાધનોમાં
ડીબી9(DB9) - આરએસ-232(RS-232) સીરીયલ(Serial) પૉર્ટ માટે
ડીબી15(DB15) - ખાસ ઑડીયો સાધનોમાં
આરજે-45(RJ-45) - ઈથરનેટ (નેટવર્ક(Network)) પૉર્ટ માટે
આરજે-11(RJ-11) - ટેલીફોનને પીએસટીન(PSTN - Public Switch Telephone Network) લાઈન સાથે જોડવા માટે
કમ્પોઝીટ વીડીયો(Composite Video) - ઉચ્ચ ગુણવત્તાવાળું દ્રશ્ય મેળવવા (ડીવીડી પ્લેયર માટે)
આઈ ટ્રીપલ-ઈ - 488(IEEE 488) - ટેસ્ટીંગ(Testing) અને મેઝરમેંટ(Measurement) માટેના સાધનોમાં
ઇંફીનીબૅંડ(Infiniband) - (ઈથરનેટનો પીત્રાઈ ભાઈ છે) ઈંફીનીબૅંડ સાધનો માટે
સેંટ્રોનીક્સ(Centronics) - સેંટ્રોનીક્સ કમ્પનીના પ્લાસ્ટીક આવરણવાળા સ્કઝી(SCSI - Small Computer System Interconnect) સાઘનો માટે
યુએસબી(USB - Universal Serial Bus) - આધુનીક સીરીયલ કનેક્શન માટે
પાવર કનેક્ટર(Power connector) - ત્રણ પીનના કમ્પ્યુટર પ્લગ માટે જે વીજળીનો પુરવઠો પુરો પાડે છે.
પીએસ/2(PS/2) - કીબૉર્ડ/માઉસ માટે

કમ્પ્યુટરની અન્દર પણ વીવીધ કનેક્ટર હોય છે જે હાર્ડ ડીસ્ક/ડીવીડી/સીડી-રૉમના ડૅટા માટે અને પાવર માટે વપરાય છે.

બઝારમાં ઉપલબ્ધ સાધનો અને એમના માટેના કનેક્ટરની યાદી કરવા જઈએ તો ગાંડા થઈ જવાય એટલું વૈવીધ્ય છે (સ્ત્રીઓનાં મેક-અપનાં સાધનોની જેમ જ સ્તો વળી...).

Saturday, May 24, 2008

જાગ્યા પછી શું?

જાગ્યા પછી શું? - ચીરાગ પટેલ May 22, 2008

મેં 'જાગો' એ મથાળા હેઠળ પર્યાવરણનાં ભયસુચક સંકેતો તરફ અછડતો નીર્દેશ કર્યો હતો (http://parimiti.wordpress.com/2008/03/04/jaago/). આ લેખના અતીથીઓને 'જાગ્યા' પછી શું એ પ્રશ્ન ઉગ્યો હતો. આનો જો કે 'તુંડે તુંડે મતિર્ભીન્ના' ન્યાયે, જવાબ વ્યક્તીગત જુદો રહેવાનો. મારી દ્રષ્ટીએ આ જવાબ આપવા પ્રયત્ન કરું છું. અને, તમે એ પ્રમાણે તમારા તારણ કે જવાબ સુધી પહોંચી શકો છો.

માણસે પ્રગતીની આન્ધળી દોડમાં ભાન ભુલીને ટુંકાગાળાના જ લાભ અત્યાર સુધી લીધાં કર્યાં છે. પ્રગતીનો ઈનકાર જરાય ના હોઈ શકે. પરંતુ, એમાં પ્રમાણભાન ભુલી જવાથી કેવા દુઃષ્પરીણામ આવે એ સત્ય આપણને કુદરત બહુ જ કડવી દવા રુપે પાઈ રહી છે.

આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ બીજા જીવ પર નીર્ભર છે (જીવો જીવસ્ય ભોજનમ). આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે. માનવી પણ એ જ રસ્તે દોડી રહ્યો છે.

'ચિત્રલેખા' સાપ્તાહીકના 26 મે, 2008ના અંકમાં આદરણીય ગુણવંત શાહના 'કાર્ડિયોગ્રામ' લેખમાળામાંથી અવતરણ ટાંકું છું.

"આજે નહીં ને કાલે કે પરમ દીવસે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. વીદ્યુતનો, કાગળનો, ગૅસનો અને પાણીનો બગાડ અટકાવવો પડશે. ઉર્જા કંઈ આપણા પરમ પુજ્ય પીતાશ્રીની માલીકીની નથી. પૈસા ખર્ચી શકે એવા માલદાર લલ્લુને ઉર્જાનો બગાડ કરવાની છુટ નથી. સ્વીચ ઑફ કરવામાં કેટલી તકલીફ પડે? જે ઓરડામાં કોઈ નથી એવા ઓરડામાં પણ એસી શા માટે ચાલ્યા કરે? જ્યારે પ્રધાનનું વીજળીબીલ સરકાર ભરતી હોય ત્યારે કોના ફાધરની દીવાળી?"

"સ્વામી સ્વચ્છતાનન્દજી પોતાના ઉપદેશમાં નાગરીકોને સ્વચ્છતા એ નવી ધાર્મીક્તા છે એવું ક્યારે સમજાવશે?"

"આપણી બગાડવૃત્તી અને લાપરવાહી હવે ભુતકાળની ચીજ બની જવી જોઈએ, કારણ કે પૃથ્વીને આપણે કંઈ માતા-પીતા પાસેથી વારસામાં નથી મેળવી. એ તો આપણને આપણાં સંતાનો તરફથી ઉછીની મળી છે. (ટાઈમ મેગેઝીન, ન્યુ યોર્ક, 3 ડીસેમ્બર, 1990)"

આ ઉપરાંત હું એક સામાન્ય કામગીરી પ્રત્યે ધ્યાન દોરવા માંગું છું. પૃથ્વીના સંતુલન માટે અને પ્રાણીઓના ખોરાક માટે વનસ્પતી એક ખુબ જ જરુરી અને પાયાનું અંગ છે. આપણે વૃક્ષોનું જે હદે નીકન્દન કાઢી રહ્યાં છીએ, એ ઘણી ઘણી જ ચીંતાજનક બાબત છે.

તો શું કરશો? જે લોકો ઝાડ કાપવા માંગે છે, તેમને સમજાવો. જો વૃક્ષનો થોડોક ભાગ કાપવાથી કામ ચાલતું હોય તો એટલું જ કરો. નવા નવા વૃક્ષો ઉછેરો અને એનું સંવર્ધન કરો. આપણી આસપાસ ઉગતાં વૃક્ષોની જાળવણી કરો. ગન્દકીને કટ્ટર ધાર્મીક્તાની રીતે દુર રાખો. દરેક પ્રસંગે એક વૃક્ષ ઉગાડીને એને સાચવવાનું પ્રણ બનાવો. જે દીવસે વૃક્ષની જાળવણી ના કરી શક્યા હો એ દીવસે પ્રાર્થના કરવાથી દુર રહો.

અમેરીકા સદભાગી છે કે ત્યાં વનસ્પતી અને પર્યાવરણની જાળવણી કરનારા કડક કાયદા બનાવી શક્યા છે. (ભલે પછી, દુનીયામાં સહુથી વધુ બગાડ અમેરીકનો કરતા હોય. હકીકત છે કે, એમેઝોન અને કોંગોના વનપ્રદેશની જેમ અમેરીકામાં રહેઠાણની આસપાસ બીલ્ડર વૃક્ષો ઉગાડી અને ઉછેરી શક્યા વગર ઘર નથી વેચી શકતો.) ભારતનું દુર્ભાગ્ય છે કે આવા કોઈ કાયદા નથી. અને લોકોને તો પર્યાવરણ અને ગન્દકીની જાણે પડી જ નથી. માત્ર બાહ્ય શુધ્ધીના દેખાડાથી જ આપણી ધાર્મીક્તા પોષાય છે. દરેક બાબતમાં સરકારનો દોષ જોવાને બદલે આપણે કોઈ નક્કર કામ કરી શકીશું?

--- આજનો લેખ મારા વડોદરાનાં ઘરને આંગણે ઉછરી રહેલાં વૃક્ષોને અર્પણ કરું છું. મારા સદભાગ્યે હું બાળપણનો મોટો સમય વાંસદા જેવા ગાઢ વનરાજીથી આચ્છાદીત સ્થળમાં વીતાવી શક્યો છું. અમારા ઘરને 'ઉપવન' બનાવવામાં મારા સદ્ગત પપ્પાની દુરન્દેશી કામ કરી ગઈ હતી.

Friday, May 16, 2008

જાતને ભાળતો

જાતને ભાળતો - ચીરાગ પટેલ May 16, 2008

રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.

સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.

ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.

ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.

અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.

Saturday, May 10, 2008

સપ્તરંગી આશ

સપ્તરંગી આશ - બંસીધર પટેલ Jun 12

મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.

પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.

ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.

નીર્જન, ઉજ્જડ ભાસે સૃષ્ટી, આ પનોતી મન તણી,
ઝાલ્યો છે હાથ કેદારનો, ભાવ જગતના ઓડકાર થકી.

લસરી રહ્યું છે જીવન સારું, દીન, માસ, વરસ ભણી;
આથમતા સુરજને નીરખવા તલસી રહ્યું મન નભ મહીં.

ગગને વીચરતા વીહગને મળવા આતુર અંતર અહીં;
ધવલ, મૃદુ બરફના પહાડ શું- શાતા અમી તણી ભરી તહીં.

ભેંટવા, ભાગ્યની દેવીને, ઉચાટ ઘણેરો અંતર મહીં;
તનમન બની એકાકાર, અરૂપ, અશ્વ ઈન્દ્રીયનાં ઠરીઠામ મહીં.

હું તું, તું હું, અમે તમે - ના ઝુઝવા રૂપ પ્રતીબીમ્બ થકી;
બન્યું છે આજ સૃષ્ટીના સથવારે, મન મયુર અરંગ મહીં.

અલૌકીક

અલૌકીક - ચીરાગ પટેલ Jul 21, 1998

અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;
વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે.

અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;
'ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની.

દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;
'ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને.

પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે રહેલી આ દીલમાં;
ઋણી બન્યો તારા આ પ્રેમે, જગ્યા બનાવી દીલમાં.

વસવસો રહી ગયો એક જ, કેવી હતી પ્રથમ પ્રીત;
કેમ પ્રભુએ ના બનાવી, આપણી આ પ્રીત પ્રથમ.

જેને પામવા મથતો હતો, હતી એ તો છેક જ લૌકીક;
જેને પામ્યો છું, જેની પ્રીત મળી, એ તો છે અલૌકીક.

પ્રભુને એક જ અભ્યર્થના, ચાહ મારી છે નીરંતર;
વધારજે એને અંત સુધી, તરસે છે એને મારું અંતર.

છે એક અભીલાષા મારા દીલમાં, આપજે મને;
જે ચાહ મને પ્રભુ આપે, માંગું છું તારી પાસે. આપીશને?

LOVE DOLLY

LOVE DOLLY - Chirag Patel Jul 21, 1998

Life, really, encircling and enchanting;
Other than God, merely disarming.
Vigour and joy - all grabbed back;
Eternal feeling of lust and passion.

Doing all that are unwanted;
Ostentatious looking I am, but
Long lasting desire that makes us
Love each other. Really, wanting
You and your love honey. Here I am! In Heart!
---------------
Dedicated to my lovely wife

Wednesday, May 07, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ

21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.

22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.

23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.

24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.

25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.

26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: "આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!"

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, April 29, 2008

ફાઈલ

ફાઈલ - ચીરાગ પટેલ Apr 29, 2008

ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન - ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!)

આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ સ્પ્રેડશીટ, નોટપૅડ કે વર્ડપૅડ, વગેરે ઍપ્લીકેશન વાપરતાં હોઈએ છીએ. જ્યારે, આ ઍપ્લીકેશન આપણું લખાણ સંગ્રહે (save) છે, ત્યારે એ ફાઈલ સ્વરુપે સંગ્રહે છે. ફાઈલ એ બાઈટના જથ્થાનું એક એકમ છે. હાર્ડ-ડ્રાઈવ કે ડીવીડી કે પેન-ડ્રાઈવમાં આ બધી ફાઈલો બાઈટનાં સંગ્રહ તરીકે હોય છે.

પણ, આ બાઈટરુપી માહીતીને સંગ્રહવામાં જે-તે ઍપ્લીકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. MP3 ફાઈલને તમે વર્ડપૅડના લખાણની ફાઈલ તરીકે ખોલવા જાઓ તો કાંઈક ચીત્ર-વીચીત્ર લખાણ નજરે પડે. (ભઈ, આપણને તો કમ્પ્યુટર જ ચીત્ર-વીચીત્ર લાગે છે.) અને, એ જ પ્રમાણે, વર્ડપૅડની ફાઈલને મીડીયાપ્લેયરમાં પ્લૅ કરો તો એ એરર (error) બતાવશે. આનું એક કારણ છે ઍપ્લીકેશન! જ્યારે આપણે વર્ડપૅડમાં લખાણ લખીએ છીએ ત્યારે વર્ડપૅડ એ લખાણની સાથે સાથે એનું ફોર્મેટ (format) (ફોંટની માહીતી, લખાણનો વર્ગ, લખનારની માહીતી, વગેરે) પણ સ્ટોર કરે છે. વળી, અમુક ઍપ્લીકેશન માહીતીને કોમ્પ્રેસ (compress) કરીને કે એનક્રીપ્ટ (encrypt) કરીને સંગ્રહીત કરે છે. એટલે, જો કોઈ ઍપ્લીકેશન આ ફોર્મેટ ઉકેલી શકે તો એ ફાઈલમાં શું છે એ જાણી શકે. (આ બાબતને ડી.એન.એ. માટેના જીનોમ મૅપીંગ (genome mapping) પ્રોજેક્ટ સાથે સરખાવો.) (સ્ત્રીના મગજનું ફોર્મેટ કોઈ ઉકેલી શકશે ખરું???)

હવે, ફાઈલ કેવી રીતે સંગ્રહીત થાય છે, એ જે-તે ઑપરેટીંગ સીસ્ટમ (operating system) પર આધાર રાખે છે. આ બાબતને ફાઈલ સીસ્ટમ ફોર્મેટ (file system) કહે છે. વીંડોઝ (Windows) માટે ફૅટ (FAT12, FAT16, FAT32), એન.ટી.એફ.એસ. (NTFS - New Technology File System), એચ.પી.એફ.એસ. (HPFS - High Performance File System), લીનક્સ (Linux) માટે એક્સ્ટ* (ext2, ext3) જેવી ફાઈલ સીસ્ટમ છે. ડૅટાબૅઝ સર્વરને પણ પોતાની ફાઈલ સીસ્ટમ હોય છે. વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/List_of_file_systems

Sunday, April 27, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; 'વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં' હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો 'મહાનીયમ' છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. 'બહુજન હીતાય, બહુજન સુખાય' પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Wednesday, April 16, 2008

શબ્દોં કે જંગલમેં

શબ્દોં કે જંગલમેં

આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg

રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.

ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

પલક

પલક - ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, 'ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, 'ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, 'ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, 'ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, 'ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, 'ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, 'ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, 'ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, 'ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, 'ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

Friday, April 11, 2008

ચાતક

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

Saturday, April 05, 2008

મોભ

મોભ - બંસીધર પટેલ Oct 01, 2002

ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો;
બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, કરવા વૃધ્ધી ભભકાની.
બની કૃતનીશ્ચયી ચઢ્યો એ પાલખ થકી, છેક ઉપરના મજલે;
મુક્યું ડબલું રંગ ભરેલું, હાથમાં લીધું આકર્શક બ્રશ એણે.
ઠોલી પાલખી! ખસ્યો પગ, આવ્યો નીચે લપસી એકદમ જ;
થયો ધબાકો, પડી નજર, દોરાયો સ્વરદીશાને પારખી હું.
થયું જોઈને ત્યાં તો, ના પડી ખબર કોઈ રંગની તેમાં;
ભળ્યા રંગ, લહુ પણ રેલાયું ખુબ ત્યાં, ટળવળતાં રંગાટીનું.
પારખવા રંગને મથ્યો હું ખુબ જ, ના મળ્યો લહુનો રંગ લાલ.
થયું મીશ્રણ, રેલાઈ ગયું, જીન્દગીના બદલાતા રંગોની જેમ;
ઉઠાવ્યો કાન્ધે, અમે બે મળી પકડી વાટ ત્રણગણા લય તણી.
ભાંગ્યો પગ, થયું નીદાન, સારવાર ચાલી ખુબ ત્વરાથી;
આવ્યાં બાળ, નાર અને ભગીની, જાણ્યું સત્ય કડવું ઘણું.
હતો એ એક જ આધાર, મોભી ઘરનો તુટ્યો એ પીછાણ્યું;
દ્રવી ઉઠ્યું ઉર, રડી રહ્યો આતમ માંહ્યે, ઘટી શું ઘટના અહીં.
ભુલથી પણ ઈશ્વર કદી, કરીશ ના શીક્ષા કોઈને આવી.
બની નરવો, થઈ સાજો, સીધાવ્યો ગૃહે સપરીવાર એ;
કરવા જેવી કરી સરભરા એની, યાદ સંઘરી અંતર મહીં.

નવરાત

નવરાત - બંસીધર પટેલ

આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.

રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.

ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.

સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.

ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.

લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.

તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.

અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.

નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.

Friday, April 04, 2008

EPR પૅરેડૉક્સ

EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008

EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, "આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી." આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.

EPR પૅરેડૉક્સ ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.

એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક લોહચુમ્બક (magnet) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર ઈલેક્ટ્રોન જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.

હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!

માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/EPR_paradox

Tuesday, March 25, 2008

નવી ઘટના

નવી ઘટના - ચીરાગ પટેલ Mar 25, 2008

નવા ગાન ફુટે જો અધર આંગણે;
રચાયે નવલ છોડ હૈયે ફરી.

મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;
રચાયે નવલ આભ જીવને ફરી.

સમાવી બધી લાગણી જો ખુણે;
રચાયે નવલ બંધન તરલ ફરી.

સરકતી લતા થડ ઉપર જો વળે;
રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી.

વધાવે જગત જો વહેંચ્યું સકળ;
રચાયે નવલ સાદ આતમે ફરી.

નર્મદા તટે જો મળે કાનુડો;
રચાયે નવલ રાસ મનસે ફરી.

કલમ છોડું જો તીર સંધાનથી;
રચાયે નવલ જોમ ભોમે ફરી.

----------------------------------------------
છન્દ: લગાગા લગાગા લગાગા લગા

Saturday, March 22, 2008

ડીજીટલ રુપાંતરણ

ડીજીટલ રુપાંતરણ - ચીરાગ પટેલ Mar 22, 2008

આજે એક સીધી સાદી, પરંતુ એકદમ પાયાની બાબત પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. આપણે કમ્પ્યુટરનો આટલો બહોળો ઉપયોગ કરીએ છીએ, એમાં માહીતીનું ડીજીટાઈઝેશન (digitization) ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ પ્રકારની માહીતી - ધ્વની, દ્રશ્ય કે કોઈ પણ પ્રકારનાં સીગ્નલ (signal) -ને ચોક્કસ સંખ્યા વડે દર્શાવવી એટલે ડીજીટાઈઝેશન. આ પધ્ધતીને સેમ્પલીંગ (sampaling) પણ કહે છે. જેમ કે, કમ્પ્યુટરના માઈક્રોફોન પર આપણે બોલીએ તો એનું ડીજીટલ સ્વરુપ કમ્પ્યુટરમાં રેકોર્ડ થાય છે. ડીવીડીમાં ચલચીત્રનું અંકન, કોઈ પત્રનું સ્કેનીંગ, કે તાપમાન, દબાણ, પ્રકાશ વગેરેની માહીતીને પણ ડીજીટલમાં ફેરવી શકાય છે. એ જ પ્રમાણે, ડીજીટલ માહીતીને પાછી જે તે પ્રકારનાં સીગ્નલમાં ફેરવી શકાય છે. આ પ્રક્રીયા માટે એનેલોગ-ટુ-ડીજીટલ (analog-to-digital) કે ડીજીટલ-ટુ-એનેલોગ (digital-to-analog) એવો શબ્દપ્રયોગ થાય છે. AtoDને એંકોડીંગ (encoding) અને DtoAને ડીકોડીંગ (decoding) પણ કહે છે.

આ પ્રક્રીયા સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. અવાજનાં મોજાંને એક સ્થીતીસ્થાપક દોરી સ્વરુપે લો. એક ઉદ્ગમ સ્થાન કલ્પી લો, ત્યાંથી અમુક અંતરે એક રેકોર્ડર મુકેલું છે ત્યાં સુધી આ દોરી બાન્ધેલી છે. રેકોર્ડર દર એક સેકંડે એના તરફની દોરીનો છેડો કેટલો ઉંચે કે નીચે જાય છે, એની માપણી કરે છે. હવે, ઉદ્ગમ સ્થાનેથી કોઈ વ્યક્તી એ તરફનાં દોરીના છેડાને ઉપર-નીચે ઝુલાવે છે. આ ઝોલ ધીરે રહીને અમુક સમયે રેકોર્ડર સુધી પહોંચે છે. રેકોર્ડર દર સેકન્ડે જે માપ લે છે, એ ધારો કે આ મુજબ છે :

સેકંડ --- 1 ----- 2 ------ 3
ઝોલ --- 5cm - 2cm - 3cm

હવે, રેકોર્ડર આ માપને બાયનરી સ્વરુપે સંગ્રહે છે એમ વીચારો. આ પ્રક્રીયાને એનેલોગ-ટુ-ડીજીટલ કહેવાય છે. એનાથી વીરુધ્ધ પ્રક્રીયા (ડીજીટલ-ટુ-બાયનરી)માં રેકોર્ડર એના તરફની દોરીને જે તે સેકન્ડે અમુક સેંટીમીટરનો ઝોલ આપે છે.

હવે, રેકોર્ડર જેટલી વધુ ઝડપથી આ માહીતીને માપે એટલી વધુ ચોકસાઈ મળે. એક સેકંડમાં થતું આવું સેમ્પલીંગ એ સેમ્પલીંગ ફ્રીક્વંસી (sampling frequency) તરીકે ઓળખાય છે. રેકોર્ડરની સેમ્પલીંગ ફ્રીક્વંસી જેમ વધારે એમ મુળ માહીતીને વધુ ચોકસાઈથી ફરી રજુ કરી શકાય. વળી, રેકોર્ડર કેટલું ઝીણું માપી શકે છે, એ પણ માહીતીને સંગ્રહવામાં ભાગ ભજવે છે. એનેલોગ માહીતીના સીગ્નલનું કદ મહત્તમ કેટલુ હશે એ મુજબ કેટલા બીટનું સેમ્પલીંગ થાય છે, એ જુઓ. જેમ કે, એક થર્મોમીટર મહત્તમ 100 સેલ્સીયસ માપતું હોય અને જો આ માહીતી 8-બીટ તરીકે સંગ્રહીત થતી હોય, તો સામે આ જ થર્મોમીટરને 16-બીટની માહીતી તરીકે સંગ્રહવામાં આવે તો 1 ડીગ્રીના વધારે ચોક્કસ સ્થાન સુધીનું માપ મળી શકે.

આપણે એમપી3 ફાઈલથી પરીચીત છીએ. એમાં જુદાં-જુદાં બીટરેઈટ(bit rate)ને સરખાવી જુઓ. 196 kbits/s અને 256 kbits/s બીટરેઈટ વચ્ચેનો તફાવત સમજો. પ્રથમમાં 196000 બીટ્સ એક સેકંડમાં સંગહીત થાય છે, જ્યારે બીજામાં 256000 બીટ્સ એક સેકંડમાં સંગ્રહીત થાય છે. વળી, સેમ્પલીંગ ફ્રીક્વંસી 44.1 KHz અને 48 KHz સરખાવો. પ્રથમમાં એક સેકંડમાં 44100 વખત સેમ્પલીંગ થાય છે, જ્યારે બીજામાં 48000 વખત થાય છે. હવે, આ સેમ્પલીંગ 8-બીટનું એક એવું થાય અને 16-બીટનું એક એવું થાય, તો એ બે વચ્ચેનો તફાવત સમજો.

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1 સ્વામી વિવેકાનન્દ

1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, "આવ, આ લે ભાઈ," પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.

5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો.... તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો 'હું નહીં આપું' તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે - શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.

7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે... જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.

8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું - અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં... તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો - એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.

-------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, March 04, 2008

જાગો

જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008

થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):

1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.

2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.

3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.

4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.

5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.


ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.

આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.

અને હવે એમ કહું કે, આ 'આગ' ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???

ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે - ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.

વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! 'આગ' જોર પકડી રહી છે...

બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.

મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.

ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.

આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.

આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.

થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???

Saturday, March 01, 2008

લગની

લગની - ચીરાગ પટેલ Feb 14, 2008

વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;
પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં.

પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;
રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં.

પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;
પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો.

સખી, જન્માંતરની લગની લાગી મને તારી;
ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી.

જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;
સહીયર તારો પ્રેમ સજાવે છે, હોંશે હોંશે.

નીતરી જાઉં પુરો તારા આ સૌન્દર્યમાં;
ખીલવી દઉં ગુલાબ અને પારીજાત દરીયામાં.

સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.

Monday, February 25, 2008

કમ્પ્યુટર મોનીટર

કમ્પ્યુટર મોનીટર - ચીરાગ પટેલ Feb 25, 2008

કમ્પ્યુટર શબ્દ બોલાય એટલે તરત જ આપણા મગજમાં એના મોનીટર (monitor) કે ડીસ્પ્લે ટેર્મીનલ (display terminal) નજર સમક્ષ આવે. (આવે જ ને ભાઈ, સુન્દર મુખડું કોને ના ગમે?) મોનીટરમાં પણ પ્રોસેસરની માફક કેટલાંય પરીવર્તન આવી ગયા છે. પહેલાં તો ભારેખમ પીક્ચર ટ્યુબ (picture tube) કે સી.આર.ટી.(CRT - cathode ray tube) મોનીટર ને સમ્ભાળવા પડતાં હતાં. હવે, સ્લીક અને સેક્સી એલ.સી.ડી. (LCD - liquid crystal display) કે પ્લાઝ્મા (plasma) મોનીટર આવી ગયા છે. (હીન્દી ફીલમની માફક જ સ્તો વળી... હવેની બધી હીરોઈન સ્લીમ-ટ્રીમ જ હોય છે ને...) બે વર્શ રાહ જુઓ, પછી તો પાતળી પદમણી જેવાં ઓલેડ (OLED - organic light emitting diode) ડીસ્પ્લે આવી જશે.

સી.આર.ટી. વધારે પાવર ખાતાં હતાં (તો જ તોસ્તાન બને...), એલ.સી.ડી. એ બાબતે હમ્મેશાં ડાયેટીંગ કરતાં હોય છે. વળી, એટલે જ, CRTથી સલામત અંતર રાખીને કામ કરવું સલાહભર્યું હતું ક, જેથી આંખોને વધુ નુકશાન ના થાય (એ તો LCD હશે તો પણ થશે જ, કારણ, લોકો એની સાથે વધારે સમય પસાર કરવા ઈચ્છશે!!!). ઘણી બધી બાબતોમાં દરેક પ્રકારનાં ડીસ્પ્લેમાં ફેર હોય છે.

કોંટ્રાસ્ટ રેશીયો (contrast ratio) - સહુથી પ્રકાશીત ટપકું (સફેદ) અને સહુથી ઘેરું ટપકું (કાળું) વચ્ચે પ્રતીદીપ્તી (લ્યુમીનંસ- luminance) ની સરખામણી. LCDમાં આ રેશીયો ઘણો ઓછો હોય છે. જો કે, સેમસંગના LCD મોનીટરનો રેશીયો ઘણો સારો હોય છે.

રીફ્રેશ રેઈટ (refresh rate) - એક વાર સ્ક્રીન રચવામાં લાગતો સમય. આ બાબતે પણ CRT ઘણાં સારા હોય છે. સેમસંગ (samsung) કે એલ.જી. (LG) LCD નો રીફ્રેશ રેઈટ પ્રમાણમાં ઘણો સારો હોય છે. (જો જો ભાઈ, હું સેમસંગ કે એલ.જી.ના માર્કેટીંગ માટે કામ નથી કરતો...)

અસ્પેક્ટ રેશીયો (aspect ratio) - હોરીઝોંટલ (horizontal) અને વર્ટીકલ (verticle) માપનું પ્રમાણ. અત્યાર સુધી 4:3 ના મોનીટર આવતાં હતાં, હવે 16:9 જેને વાઈડ સ્ક્રીન (wide screen) કહે છે, એવાં મોનીટર મળે છે. ધારો કે 1024 પીક્સેલ (pixel) અર્થાત ટપકાં જેટલી પહોળાઈ ધરાવતાં મોનીટરનો અસ્પેક્ટ રેશીયો જો 4:3 હોય તો,
એની ઉંચાઈ 768 પીક્સેલ હશે, જ્યારે 16:9 વાળા મોનીટરની ઉંચાઈ 576 પીક્સેલ હશે.

રીઝોલ્યુશન (resolution) - મોનીટરમાં કેટલાં પીક્સેલ છે એનું માપ. જેમ કે, 1024 x 768 વગેરે. વધુ માહીતી માટે આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/Display_resolution

હવે તો, LCD કે પ્લાઝ્મા ટીવીનો પણ કમ્પ્યુટર સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકાય છે. આ માટે, જે તે ટીવીમાં વી.જી.એ. કનેક્ટર (VGA - video graphics adapter) હોય છે. તો સામે, કમ્પ્યુટરમાં પણ ટીવી ટ્યુનર (TV tuner) કાર્ડ નાંખીને, કેબલ લગાડી શકાય છે અને ટીવીની માફક જ ચેનલ નીહાળી શકાય છે.

પીક્સેલ રચવા માટે CRT લાલ-લીલો-ભુરો (RGB) રંગનાં કીરણો મીશ્રીત કરીને જે તે રંગ નીપજાવે છે. જ્યારે, LCDમાં પીક્સેલને ઈલેક્ટ્રીકલ સીગ્નલ આપવામાં આવે છે અને એ પીક્સેલ જે તે રંગ ધારણ કરે છે. (માણસને રંગ બદલવા માટે બહારનાં કોઈ સીગ્નલની આવશ્યક્તા હોતી નથી.)

એકથી વધુ મોનીટરને એક કમ્પ્યુટર સાથે પણ જોડી શકાય છે, અને જો સોફ્ટવેર કે ડ્રાયવર એ પ્રમાણે હોય તો દરેક મોનીટરમાં દેખાતાં દ્રશ્યને વહેંચી શકાય છે.

કમ્પ્યુટર કે લેપટોપમાં ઘણી વાર S-Video કનેક્ટર હોય છે, જેનાથી ટીવી પર કમ્પ્યુટરનો આઉટપુટ આપી શકાય, પરંતુ ટીવીમાં જો VGA કનેક્ટર હોય તો એ વાપરવું હીતાવહ છે. એનાથી દ્રશ્ય વધારે સારું દેખાશે.

Sunday, February 17, 2008

મુદ્રા

મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008

1. જ્ઞાન મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

2. પૃથ્વી મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.

સમય: ગમે તે સમયે કરી શકાય છે.

3. વરુણ મુદ્રા

પધ્ધતી: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.

4. વાયુ મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.

વીશેશતા: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.

સમય: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.

5. શુન્ય મુદ્રા

પધ્ધતી: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.

સમય: રોજ 40 થી 60 મીનીટ કરો.

6. સુર્ય મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.

સમય: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.

7. પ્રાણ મુદ્રા

પધ્ધતી: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

8. અપાન મુદ્રા

પધ્ધતી: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.

સમય: રોજ 45 મીનીટ કરો.

9. હ્રદય મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.

વીશેશતા: હ્ર્દયરોગમાં 'સોર્બીટેલ' જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.

સમય: રોજ 15 મીનીટ બે વખત કરો.

10. લીંગ મુદ્રા

પધ્ધતી: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.

વીશેશતા: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.

સમય: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.

Saturday, February 02, 2008

શક્તીદાયી વીચાર 3

શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.

સાવજ

સાવજ - બંસીધર પટેલ

નાંખીને ત્રાડ એક, કહે સાવજડો,
રુક જાવ ઓ જુવાનીયા, થયું ઘણું, હવે કરો બસ.

વટાવી રેખા મર્યાદા તણી, થયો લોપ,
સમાજનો મલાજો, ભુલ્યાં સહુ સંસ્કાર.

વારસ તમો, મનુ-શતરુપા તણા, સાચા,
કેમ ભુલ્યા મારગ, આ વીસમી સદીના કાળમાં.

હવે તો કરો બંધ, આ બધાં ચેટક અધીરા,
જાતે મારો કુલ્હાડી પાદ પર બનીને હીંસક.

થશે સર્વનાશ, સહુ રુકજાવનું એલાન!
રુઠશે પણ કુદરત, ક્યાં અટકશે આ વામાચાર?

સુણો, વીચારો, શીખ કસાયેલા કૌવતની,
આ બળાપો બાળશે સહુને, બનીને અગનજાળ.

માન, મર્યાદા, સહુ નેવે મુકી નાસો,
શાને ઓ અંધ, જુવાનીના જોશમાં.

પકડશે ગરદન કાળ, એક દીન જરુર,
થાશે મોડું, ના મળશે વીસામો કોઈ વૃક્ષનો.

મટીને બાળ બન્યા છો જુવાન, કાલે,
બનશો વૃધ્ધ, શું આપશો વારસામાં?

આવનારી પેઢી ના કરશે માફ તમોને,
ચેતવું હોય તો ચેતજો ઓ નરબંકા!

વટવૃક્ષની મીઠડી છાંય

વટવૃક્ષની મીઠડી છાંય - બંસીધર પટેલ

વટવૃક્ષ સમા આ વૃધ્ધજનો,
આબાલ સહુના ચહીતા સ્નેહીજનો.
અડીખમ ઉભા હીમાલય શા વૃધ્ધજનો,
સમયની થપાટે ના ડોલ્યા પ્રબુધ્ધજનો.

વટાવી મારગ કંટકનો રહ્યા સ્થીર વડીલો,
ના હાર્યા હામ, યાહોમ કરીને કુદ્યા વડીલો.
કીધાં કંઈ કારજ, ના બેઠા ઠરીને કદી વડીલો,
મળ્યો જ્યારે સમો, વીસામાનો વડલો.

પેઢીના પ્રણેતા, પથદર્શક વંશાવલી કેરા,
સરગમ સંવારી સંસારની, બનીને તમો અદકેરા.
પુત્ર, પુત્રી, પ્રપૌત્ર, વધુ સહુ નમતા ફરીને ફેરા,
ઉગમણા સુરજને પુજી, વીદાર્યો આથમણો સારો.

વીદ્વાન, અનુભવી, જાણકાર તમો અનેરા,
સંસારી બનીને, બન્યા તપસ્વી, લીધો ભેખ અનેરો.
હારેલા, થાકેલા સહુને મળતો આશરો તમ કેરો,
રવી, કવીની કલ્પનાથી પણ ઉચ્ચતર તમારો ડાયરો.

વટવૃક્ષની છાયા મીઠડી, ધોમધખતાં તાપણાં,
ખરે જ મળી ઉપમા તમોને, વૃધ્ધ તમારા આલાપમાં.

Wednesday, January 30, 2008

મેમરી અને સ્ટોરેજ

મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008

કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે...). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ કરતો ભાગ (આપણા સ્ટોરેજમાં જંકફુડ વધારે હોય છે. કમ્પ્યુટર જો એવું કરવા લાગે તો આપણે એને ઉઠાવીને ફેંકી દઈએ.). આ સ્ટોરેજ 1 અને 0માં માહીતી સંગ્રહે છે, એટલે એનાં સેલ સ્વીચની માફક ચાલુ-બંધ હોય એ પ્રમાણે 1 અને 0 એવું ગણવામાં આવે છે. ભવીષ્યમાં એક ઈલેક્ટ્રોન બરાબર આવી એક સ્વીચ થાય એવા કમ્પ્યુટર આવશે ત્યારે કમ્પ્યુટરનું કદ ઘણું જ નાનું થઈ જશે. (અને જો ક્વાર્કને સ્વીચ તરીકે વાપરીયે તો!!!)

પ્રાયમરી સ્ટોરેજ (Primary Storage) એટલે એવું સ્ટોરેજ જે પ્રોસેસર સીધું જ વાપરી શકે. એમાં મુખ્યત્વે પ્રોસેસરનાં રજીસ્ટર, કૅશ, અને રૅમ (RAM- Random Access Memory)નો સમાવેશ થાય છે. આ બધી મેમરી પાવર જાય એટલે ભુંસાઈ જાય છે (કાશ, સ્ત્રીઓની યાદશક્તી આવી હોત...). એટલે, એને વોલેટાઈલ (volatile) મેમરી કહે છે. કમ્પ્યુટરમાં જ્યારે કોઈ એપ્લીકેશન કે ઓપરેટીંગ સીસ્ટમ ચાલુ હોય ત્યારે આ ત્રણેય પ્રકારની મેમરી વપરાતી હોય છે. બાયોસ-રોમ (BIOS-ROM કે ROM-BIOS) તરીકે ઓળખાતી મેમરી પણ વપરાય છે. આ મેમરી નોન-વોલેટાઈલ (Non-volatile) હોય છે. નોન-વોલેટાઈલ મેમરી કમ્પ્યુટરને વીજળી ના મળે તો પણ બધી માહીતી સંગ્રહી રાખે છે (જેથી પુનર્જન્મ વખતે કામ લાગે...). રજીસ્ટર અને કૅશ એ પ્રોસેસરની અંદર હોય છે. આજના બધાં સીપીયુ L1 અને L2 કૅશ તરીકે જાણીતી યુક્તી વાપરીને માહીતીની અતીઝડપી આપ-લે કરતાં હોય છે (એ વીશે ફરી ક્યારેક ચર્ચા કરીશું).

રોમ મેમરી એના નામ પ્રમાણે ખાલી વાંચવા નથી હોતી (ROM - Read Only Memory). પરંતું, એને લખવા માટે લાંબું કાંતવું પડે છે, એટલે જવલ્લે જ લખાતી માહીતી એના પર રાખવામાં આવે છે.

સેકંડરી સ્ટોરેજ (Secondary Storage) મોટે ભાગે કાયમી માહીતીનો સંગ્રહ કરે છે. સીપીયુ આ સ્ટોરેજ સાથે પ્રાયમરી સ્ટોરેજ વડે જ માહીતીની આપ-લે કરી શકે છે (બૉસને મળતાં પહેલાં સેક્રેટરી સાથે વાત કરવી જરુરી છે. વળી, આ સેક્રેટરી ટુંકામાં ટુંકી યાદશક્તી ધરાવે એ ખુબ જ જરુરી છે.). સેકંડરી સ્ટોરેજમાં હાર્ડ ડીસ્ક (Hard Disc), સીડી (CD - Compact Disc), ડીવીડી (Digital Video Disc), ટેપ ડ્રાઈવ (Tape Drive), ફ્લોપી ડીસ્ક (Floppy Disk), ઝીપ ડ્રાઈવ (ZIP Drive), યુએસબી ડ્રાઈવ (USB - Universal Serial Bus Drive) વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધી સ્ટોરેજની ક્ષમતા ખુબ જ હોય છે. મોટે ભાગે, ફાઈલના સ્વરુપે અહીં બધી માહીતી સંગ્રહાય છે.

ટર્શરી સ્ટોરેજ (Tertiary Storage) એક મોટા પુસ્તકાલય સમાન હોય છે. એમાં ઑટોમેટીક મશીનથી ઘણી બધી ડ્રાઈવ સીસ્ટમ સાથે અટૅચ કે ડીટૅચ થતી હોય છે.

ઑફલાઈન સ્ટોરેજ (Offline Storage) કમ્પ્યુટરથી છુટું પાડી શકાય છે. પેન-ડ્રાઈવ કે જે યુએસબી પર ચાલે છે, ફ્લૉપી, સીડી, ડીવીડી, ફ્લૅશ વગેરે આના ઉદાહરણ છે (ચલતી કા નામ ગાડી?).

સ્ટોરેજના આ પ્રકારો પર વીગતે ચર્ચા ફરી કરીશું.

Saturday, January 12, 2008

શક્તીદાયી વીચાર - 2

શક્તીદાયી વીચાર - 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે - અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો 'જડપદાર્થ' શક્તીમાન છે, તો 'વીચાર' સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે 'અભીઃ', 'અભય'. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

દોસ્તી

દોસ્તી - બંસીધર પટેલ

મળ્યા બે દોસ્ત, કરવા વાતો, વીતેલા વખત તણી,
પુછ્યા છે ખબર, અંતર વીશે ઉમળકો લાવીને અતી;
છૈયાં, છોકરાં, બૈયર તણા, પુછ્યાં અંતર પરસ્પર ફરી.

હતાં જ્યારે શીશુ, રમ્યાં ખુબ સાથે, ભણ્યાં પણ સાથે;
હતી ખોડ ખાટલે એમ કે સ્નેહ અરુ ફરક કૃષ્ણ-સુદામા સમો;
હતો એક અમીર તો અન્ય વળી રંક, ખાધાનાય સાંસાં;
હતી ખબર બેઉને કે, નથી મેળ ભાવીતણો, નથી ઉજાગર દોસ્તી.

થયા બેઉ અલગ, પરણી, ભણીને સીધાવ્યા સહુ સ્વરસ્તે;
કરે એક ધંધો તો અન્ય કરે ખેતી, બન્યો એક અમીર તો રંક છે બીજો;
માબાપ બન્ને તણાં સીધાવ્યાં સ્વર્ગમાં, ભાઈ-ભાંડું પણ પોતાના રસ્તે.

ભરાઈ આવ્યું છે હૈયું, બનીને સાગર અશ્રુતણો ઉભરાઈ રહ્યો;
મળ્યાનો હરખ સમાતો નથી હ્રદયમાં, ગયા ત્યાં નજીક વૃક્ષતણો વીસામો.
પરખ અહીં ખરી છે દોસ્તી નીભાવની, કરીને ગોષ્ટી કીધું હૈયું હળવું;
ભાંગ્યાના ભેરુ બનીને પરસ્પર, એક મનનો રોગી અન્ય છે સંપદાનો.

નીભાવી મૈત્રી અતી પ્રેમે કરી, આજ તો સર્જનહારની અસીમ લીલા છે.

સમજણ

સમજણ - બંસીધર પટેલ

વરસી રહ્યું છે અમરત મનવા, પી લે મન ભરી ભરી;
તલસી રહ્યું છે મન તારું, પામવા અમરત કટોરો વળી વળી.

ભર્યો પડ્યો છે સમંદર પુરો, મંથન કરતાં ના વાર ઘડીની;
મચી પડ, ઢળી પડ, ઉન્નત મસ્તકે ઉભો થઈની.

ફુંકાઈ રહ્યો છે પવન સમીરો, ત્રીગુણ તણી નાંખતો લહેરખી;
ભરવો હોય તો ભરી ભરી લેજે, લાંબો વીસામો લઈ લહેરથી.

વાગી રહ્યો છે રણભંભેરી, શંખનો ધ્વની શ્રુણાય અતી સમીપથી;
નસીબ હોય તો પામે નર જગમાં, સતવાણી વદે સંતસમાજથી.

કરમ લખ્યા નવ થાય મીથ્યા કદી, છોને પછાડે મસ્તક પાષાણ થકી;
પરમ પ્રકાશે મુકી દોડને, થઈ જા માલામાલ આ ધરતી મહીં.

પસ્તાશે પછી પેટભરીને, ના ઉગરવાનો મળશે વારો કદી;
ધરતીને તુ અગર સમજીને, ઈશ્વરનો પહાડ માની રાખજે ગરીમા.

Friday, January 11, 2008

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો - પાયલ ગુપ્તા Jan 11, 2008

દુ:ખને દુઃખ ના જાણ્યું, હસીને હસાવી ગયા;
જીવન એવું જીવી ગયા, ચીરંજીવ સંભારણાં મુકી ગયા.

દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં;
એવી લીધી વીદાય અચાનક, રડતાં અમ સહુને મુકીને.

તમે તો પોઢી ગયા સદાકાળ, દીર્ઘ અંધાર પછેડી ઓઢીને;
આપ તો હતા પરમાનંદ, સ્વીકારજો અમ અંજલી.

લીલી વાડી સમો સંસાર ત્યજી, તમે ગયા સ્વર્ગધામ;
લાડકોડ મુકી અધુરાં, કોડ સહુના પુરા કરી ગયા.

હર પળે, હર કાર્યમાં 'ને હર સ્થળે આવે સ્મરણ;
જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;
આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની.

આપના દીવ્યાત્માને પરમકૃપાળુ પરમાત્મા,
ચીર શાંતી અર્પે એ જ હ્રદયની પ્રાર્થના;
ચરણોમાં અર્પણ અમી છીએ.

Saturday, January 05, 2008

શક્તીદાયી વીચાર 1

શક્તીદાયી વીચાર 1 - સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: 'જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.' નવો ધર્મ કહે છે: 'જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.'

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા - આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો - અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: 'હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.' આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે 'સત્ય'ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં - પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે... માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.