Saturday, September 30, 2006

માં - બંસીધર પટેલ

માં - બંસીધર પટેલ

અમ્બાકી કરો ઉપાસના, વો મિટાએગી સારી વાસના;
તુમ દ્રષ્ટિ કરો એકબાર, વો કરેગી દ્રષ્ટિ લગાતાર.
એક કદમ બઢાઓ આગે, વો દોડી આયેગી તત્કાલ;
ચાહિએ ના ઉસે કુછ ઓર, વો ચાહે ભક્તો કા પ્યાર.

કિયા હૈ ભક્તોને અનુભવ, વો ભુલી ના કભી એક પલ;
હરે સબ પીડા તત્કાલ, દેતી અભય વર હરદમ.
વો વરદ હસ્ત પસારે તુમ ઓર, કરો યાદ મગન-મન ધ્યાન;
હો લાખો મીલ ભલે તુમ દૂર, ન લગે દેર આનેકી એક પલ.

નામ રટણ કરો તુમ માં કા, સુનકર પુકાર વો આયેગી તત્કાલ;
વો હૈ ભક્તોં કે ભાવ કી ભૂખી, ન બિછડે કભી બાલક હાથ પકડ.
સબ જનકી પ્યારી માં, ભોલી ઔર દયાલુ મા જગદમ્બા;
વો જાને ઉસકી ગત, હમ સદા નિર્ભય ઉસકે આંચલમેં.

નિશદીન ગાઓ જયજયકાર, માં રહે સદા સહાય;
સાકાર-નિરાકાર સદાકાલ, અવિનાશી ભક્ત હ્રીદયનિવાસી.
જલ-સ્થલ-નભકી નિવાસી, માં અમ્બા પ્રેમકી દુલારી;
નિર્ધનકો દેતી ધન, નિર્બલકો માં દેતી બલ અપાર.

જો માંગો સો દેતી સદા, હો સચ્ચી લગન ઉર માંહે;
માં કે દરબારમેં નહિ કમી કિસી બાતકી, માંગે મિલે સબકુછ.
સતકે પથ પર ચલકર બોલો જય જય શ્રી જગદમ્બે માત ભવાની.

ભક્તિ - બંસીધર પટેલ

ભક્તિ - બંસીધર પટેલ

હરિને કરો છો કેદ શાને, એ તો સચરાચરનો વ્યાપક;
જગાડો હરરોજ શાને વગાડી ઘંટ, એ તો સદા જાગ્રત પ્રહરી.
અર્પો છો અર્ધ્ય શાને સમીપે, એ તો દેનાર છે ઉદધિ જગતને;
પૂજા-પ્રસાદ- આરતી શાને કરો, એ તો પામી ગયો હ્રદય ખરું.

કરો છો જાપ શાને, એ તો મનના જાણે છે દાગ બધા;
બની પૂજારી ધરો છો મેવા શાને, એ તો દુનિયાને ધરનાર છે.
પઠન શ્લોકો તણું શાને, એ તો છે કરનાર અર્થ શાસ્ત્રના ખરા;
કરો છો આડંબર બધા શાને, જાણે છે સચ્ચાઇ સાચા અંતર તણી.

માનો આત્મસંતોષ શાને, એ જાણે તાણાવાણા બધા;
કાઢો છો બળાપો શાને, ધોનાર છે પાપ બધાં જગનો.
કરો છો વંદન-પુજન શાને, જાણે છે સ્વારથ બધો મનનો;
કરો છો ઉધામા શાને, ખરો તારણહાર છે એ જગનો.

ભાગી જાવ દૂર શાને, આ સંસાર બનાવ્યો એણે;
પકડ્યાં છે પગ એના શાને, તરછોડી જાય નહિ આઘો.
ભુલા પડી ભટકો ભવરણે, છોડી ઝંઝાળ જગતની;
મન હશે ચંગા તો ભરાશે કથરોટ ગંગા પાવન તણી.

આધાર - બંસીધર પટેલ

આધાર - બંસીધર પટેલ

સુકોમળ નયનોમાંથી વરસી રહ્યો મેઘમલ્હાર;
વરતાય છે વેદના ઘણી, મ્લાન વદને નિરાશા ઘણી.
ઘટી છે ઘટના કોઇ અઘટિત, થયો છે ઝુલ્મ અસહાયને;
બની છે નિરાધાર, આધાર ગયો, નિસ્તેજ બની છે જીંદગી.

ગરકાયું છે જીવન તેનું, બની સૂનકાર જીવન-ઉપવન;
દૂર-સુદૂર ડોકાય છે, અમી તણું છાંટણું એક નાનું શું.
એ જ સ્તો છે આધાર ખરો, જીવન જીવવાના ઓરતાનો;
આપી છે માટી શેર, રાખવા લાજ કુળ આખાયની.

અરમાનો, આશાઓ મળી ધૂળમાં, પીંખાયું જીવન જેનું;
ચણેલી ઇમારત સપનોની, થઇ ભસ્મિભૂત પલકવારમાં.
બુઝાયો દિપક, ગઇ ગરીમા, લૂંટાયા અરમાનો ઉમંગના;
અસ્મિતા ગઇ અસ્તાચળે, બન્યો અંધકાર ભરદિને ચોતરફ.

નથી જેનું કોઇ, બને છે સથવાર કુદરત રાહબર એનો;
વિધવાના નિસ્તેજ વદને, વરતાય છે અમર કિરણ ઉજાસનું.
ભાવિના પેટાળમાં પુરાઇ રહેલું સ્મિત કરતું ડોકિયા ઘડીક;
થઇ છે ઉભી બની બાહોશ, અડગ વિંધ્યાચળ પહાડ સમી.

Sunday, September 10, 2006

ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ

ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ

જીવનની નૌકાને પાર ઉતારવા સમર્થ ગુરુની આવશ્યક્તા છે. નુગરા જીવનનો કોઇ અર્થ નથી. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે, સાચા ગુરૂ કોને કહેવાય? આ માટે શાસ્ત્રોએ ગુરુ તથા શિષ્યની અનેક લાયકાત દર્શાવેલ છે. તેમ છતાં સારરૂપે એમ કહી શકાય કે સાચા ગુરુ એને કહેવાય જે નિઃસ્પૃહી. નિઃસ્વાર્થ અને આધ્યાત્મિક્તાની ઉચ્ચ ભુમિકાએ બીરાજેલ હોય. સાચો શિષ્ય એટલે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવામાં સદાય તત્પર, આધ્યાત્મિક જીવનના પથ ઉપર ચાલવામાં સદાય અગ્રેસર અને જ્ઞાન મેળવવાની સદાય અભિપ્સા ધરાવતો હોય. આવા સાચા ગુરુ અને શિષ્યનો સુભગ સમંવય હોય પછી આધ્યાત્મિક પ્રગતિ થવામાં વાર શી? આપણે નદી પાર કરવી હોય અને જો તરાપો સારો ના હોય તો નૌકા ડૂબે, નાવિક ડૂબે અને સાથે બેઠેલા સહુ કોઇને ડૂબાડે. આમ માયાના સંસારને તરવા માટે ગુરુ, શિષ્ય અને આધ્યાત્મિક પથ (સાધન, સાધ્ય અને સાધના) ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જોઇએ.

ભારતીય આર્ય સંસ્કૃતિમાં ભૂતકાળમાં નજર કરીએ તો એવા અનેક સમર્થ યોગીઓ, ગુરુઓ થઇ ગયેલા નજરે પડશે. એટલું જ નહિ, હાલમાં પણ ભારતવર્ષમાં કેટલાય સમર્થ યોગીઓ આધ્યાત્મિક ઉચ્ચદશામાં નિહીત છે. સાચા ગુરુને શોધવા નથી પડતા. પરંતુ જ્યારે ફળ પાકવાનું હોય ત્યારે ખૂદ શિષ્યને શોધતાં આવી મળે છે. આવું અનેક વખત કહેવાયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ જો સાચા ગુરુ મેળવવા હોય તો આપણે જરૂર અભિપ્સા કેળવવી પડે. કારણ કે, કળિયુગમાં ઢોંગી ગુરુઓ ભટકાવાની પૂરી શક્યતા સહેલી છે. એટલું જ નહિ, લોભી ગુરુ અને લાલચી ચેલાની ઠેલમઠેલ ઘણી જગ્યાએ જોવામાં મળતી હોય છે. માટે સાવધાન રહી આગળ વધવું ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક વારસાના જતન માટે ગુરુ પરંપરા અતિ આવશ્યક છે. એટલું જ નહિ, ધાર્મિક વારસાનું આધારભૂત અંગ પણ છે. પરંતુ કેટલીક વખત શિષ્યોના છીછરાપણાંનો ગેરલાભ ઢોંગી-ધૂતારાં લોકો ઉઠાવતા હોય છે. અને તેમાંથી અંધશ્રધ્ધાનો જન્મ થાય છે અને ધર્મ બદનામ થાય છે.

ગુરુ જીવીત હોવા જ જોઇએ એવું જરૂરી નથી. ગુરુની હયાતી ના હોય તો પણ તેમનાં દિવ્ય આંદોલનો વાતાવરણમાં ઘૂમતાં હોય છે, જે શિષ્યને પરા ચેતના સાથે સંપર્ક કરાવી આપે છે. તેમ છતાં જો સાચા ગુરુ ભૌતિક દેહથી હયાત હોય તો સોનામાં સુગંધ ભળે છે. પરમાત્મ શક્તિની દિવ્ય અનુભૂતિ માટે ભોમિયા - માર્ગદર્શક ગુરુ શિષ્યની નિમ્નસ્તરની દૈહિક ચેતના હઠાવી, ઉચ્ચતર ભૂમિકાએ લઇ જાય છે, અને કેટલીક વખત હઠીલા દર્દને દૂર કરવા ડોક્ટર પેલા દર્દીને કડવી દવા પીવડાવે છે. એ ન્યાયે ગુરુ પણ શિષ્યને ભવોભવના કુસંસ્કારો હઠાવવા આકરી કસોટીઓ દ્વારા પાર ઉતારે છે.

પ્રવર્તમાન સમય ઘણો જ વિસંવાદિતા ભરેલો છે. એમાં માનવીને ભૌતિક સુખોની ઘેલછાંએ અધઃપતનની કક્ષાએ લાવી દીધો છે. સાચા જીવનનું અજ્ઞાન એને અંધારામાં બાચકાં ભરાવે છે. કારણ કે ઇન્દ્રિય સુખ ક્ષણજીવી હોય છે. તેનાથી તેને મંઝીલ કદાપિ મળતી નથી અને જીવનભર સાંસારિક, ભૌતિક સુખોની પાછળ ઝાંઝવાના જળની જેમ ભટક્યાં કરે છે. આવા સમયમાં સંસ્કૃતિના સાચા વારસદાર એવા સદ્ગુરુની આવશ્યક્તા ખૂબ જ હોય છે. જે માળ્યાથી સંતોષ માન્યા કરતાં તેમણે બતાવેલ પથ ઉપર આગળ વધી આત્માનું કલ્યાણ કરવાનો એકમાત્ર ઉદ્દેશ મનુષ્યને દિવ્ય મનુષ્ય બનાવશે.

કૃત્રિમ - બંસીધર પટેલ

કૃત્રિમ - બંસીધર પટેલ

કૃત્રિમતાએ કીધાં કામણ, કુદરતી સહુ વિલાઇ ગયું;
શોધ કરીને અવનવી તું પહોંચી ગયો ચંદ્ર ઉપર, ભુલાઇ ગયું.

બન્યો તું દુશ્મન તારા ભાઇનો, સમાજનું ઉઠમણું થઇ ગયું;
મટી ગયા ભેદ ભરમ સહુ, નર-નારી તણા બધું સમેટાઇ ગયું.

વિકૃતી બની આકૃતિ, પ્રક્રિયામાં ભેલાઇ ગયું;
તત્વ બન્યા અતત્વ, ગર્ભ સહુ રોળાઇ ગયો.

મરકટોને મારી મારી, નિર્દય અશ્લીલ બની ગયો;
પ્રભાતિયાંને વિસરી ગયો, નાટકનો વિદુષક બની ગયો.

તોડીને પર્યાવરણ સૃષ્ટિતણું તું ક્યાં છુપાઇ ગયો;
હવે તો હદ કરી કે, આકાશમાં પાડી ગાબડાં તું લોપાઇ ગયો.

આવી બન્યું છે તારું, રાખજે યાદ તું છકટો બન્યો;
કુદરતને ઘેર દેર છે અંધેર નથી, એ વાત તું વિસરી ગયો.

વધી છે કૃત્રિમતા બેહદ, કે મા-બેનને ભૂલી ગયો;
અટકચાળાં કુદરત કેરાં, પડશે માંદો કેમ રોઇ રહ્યો.

ના બચાવશે તને કોઇ, એ વાત હરદમ ભૂલી ગયો;
થાશે પ્રકોપ કુદરતનો, વિનાશ વેરાશે કેમ વિસરી ગયો.

વળી જા પાછો, હજી પણ ધરામાં છે કેમ ભાગી ગયો;
પસ્તાઇશ ભરીને પેટ , ના બચશે શેષ કેમ ડઘાઇ ગયો.

થવા દે કુદરતને વિષમુક્ત, અમૃત મળશે કેમ લલચાઇ ગયો;
ક્રમ સૃષ્ટિનો એ જ સાચો, કુદરતી પ્રેમને સંવારતો ગયો.

માડી આવ - બંસીધર પટેલ

માડી આવ - બંસીધર પટેલ
(રાગ - ચોરી ચોરી દિલ તેરા... ફૂલ ઔર અંગાર)

ઝીણી ઝીણી ઝાંઝરના રણકારે, માડી તુ વહેલી પધારજે.
લળી લળી લાગુ હું પાય તું, અંબા વાત મારી તું સાંભળજે.

સોળે સજી શણગાર માડી, આંગણ તું મારુ શોભાવજે.
કોમળ હાથ તારા પસારીને મુજને આશીર્વાદ તું આપજે.

તું બેઠેલી દૂર, ધડકે મારૂ ઉર, મન તડપે તારા દર્શન કાજે.
વિનતી સૂણીને આજ, માડી રાખજે લાજ ભક્ત કાજે.

નથી આરો હવે અન્ય કોઇ, તારા દર્શનની રહી એક આશ.
ના વિદારીશ મુજને, કાપી બંધન ભવના દેજે જીવનમાં આશ.

કાળો કાળ કળિયુગ તણો, નામ તારૂં ઝાલ્યું છે સાચી આશ.
હવે મારે તો તું, ઉગારે તો તું, તારા પર છોડ્યું જીવનનું નાવ.

ભરી બેઠો છું થાળ, જોઉં હું તારી વાટ, અંબા આનંદે પધારજે.
હોય કંઇ ભૂલ મારી કરી માફ તું માડી મુખડું મલકતું રાખજે.

વીતે છે જીવન પાણી રેલાની જેમ, સાચી શાંતિ તારા થકી પસારજે.
વિનવું હું મા તુજને અતિશે, ના બનીશ કઠોર લગારે તું આવજે.

દુનિયાના રંગ ભાસે નિરાળા, માયા તણી લાગી વણઝાર.
વણ થંભી ઘટનાઓનો ચિતાર, તું જાણે સર્વ કાંઇ.

આવી એ આવી મા, રૂમઝૂમ કરતી સજી સોળે શણગાર.
બન્યું ધન્ય જીવન મારૂં, સચરાચરમાં રહેનારી જગદ્ધાર.

અંબાનો આ બંધ સાચો, બાકી બધો બકવાસ ભાઇ.
સ્મરે જો ખરા મનથી, મા ભોળી ભાગી આવે તત્ક્ષણ માઇ.

Saturday, September 09, 2006

રહસ્ય - બંસીધર પટેલ

રહસ્ય - બંસીધર પટેલ

પુષ્પકની પાંખે પ્રસારી ઉડું હું ઉંચા આકાશે,
નિરખું બ્રહ્માંડનાં રહસ્યો, સૂરજમંડળનાં અંગઉપાંગો.
ભાસે છે વિશાળ વિશ્વ ધવલગંગાની કટીમેખલામાં,
જલ, સ્થળ, ઉદધિ, મહાસાગર, દિસે એક ઉચ્છ્રુંગલ એકાકાર.

ના ભાસે કોઇ ધરમ, મરમ, જાતિ, વિજાતિ કે ઉપજાતિ,
એક સંસાર, એક સાગર, એક સરીતા, ઐક્ય એવું અદીઠ.
એકમાં અનેક, અંતમાં અનંત, ના મનનાં ઉતાર ચઢાણ કહીં,
ઉંચા ઉંચા પર્વતો પણ નમી ગયા, સમાઇ ગયા જાણે સાગર મહીં.

વાણી જ્યાં સ્થંભન પામે, સકળ સૃષ્ટિતણાં અકળ મૌનમાં,
હ્રદયતણાં તાર ઝણઝણે, એવું અગોચર સૂરસંગમ.
મન મરકટ કરી બંધ બધા તરખટ શાંત નિરવ એકાગ્ર બને,
નિતાંત અંધકાર મહીં ભાસે ઉર મહીં અદીઠ ઉજાસ અતિ.

હતું સપનું કે સચ્ચાઇ તણું દ્રશ્ય? પળમાં શુંનું શું થઇ ગયું,
મન તોખાર હણહણે, અદીઠ ભોમકાને પામ્યા વળી વળી.
પ્રગાધ શાંત, શૂન્યમનસ્ક, એ અકલ્પ્ય અવસર લાધે પુનઃપુનઃ.,
કરું હું વિભુને પ્રાર્થના, મળે ફરી વિભાવના એ સફરતણી.

વૈશાખી વાયરા - બંસીધર પટેલ

વૈશાખી વાયરા - બંસીધર પટેલ

વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.

કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.

ઝટપટ કરવા લગ્નો કરે છે કોઇ ઝડપી તૈયારીઓ,
કેરી, સીતાફળ કે દ્રાક્ષનો આસ્વાદ માણી રહ્યાં સહુ જનો.
કરે છે મજા બેહદ ભૂલકાં રજાઓ પડી શાળામાંથી,
પડી છે ખાલીખમ શાળાઓ જામ્યા રજના થર ઘણેરાં.

વરતાય છે પાંખી હાજરી કચેરીઓ ભાસે સૂની સૂની,
કોઇ ગયું છે મ્હાલવા લગ્ન કોઇ લે છે લ્હાવો ફરવા નામે.
ગીરીમથકો ઉભરાય જેમ ચિડીયાઘર સંગ્રહાલયમાં,
અસહ્ય ગરમી પાછી પડે સોનેરી નિશા આહ્લાદક નશામાં.

માણે છે સહુ કોઇ વાસંતી સુવાસ સૃષ્ટિ તણી,
ક્ષુલ્લક પણ અનેરો આનંદ દીનમન હ્રુષ્ટપુષ્ટ થાય છે.

Sunday, September 03, 2006

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ

ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન ચાલતું હતું ત્યારે ભારતવર્ષના પૂર્વના સિમાડે બંગાળના સિમળા નામના પરગણામાં ભારતના ભાવિ - સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બાળપણથી જ નરેન્દ્રમાં વિચક્ષણ બુધ્ધિની આભા દ્રશ્યમાન થતી. ભણવામાં હંમેશા અગ્રેસર. તોફાનમાં પણ ખરાં. સાધુ સંતો પ્રત્યે દયાભાવ પણ ખરો. ઉંમર વધવાની સાથે થોડી પરિપક્વતા આવી અને ધર્મના ગૂઢ રહસ્યોથી ઇશ્વર દર્શન પામવા સુધીની ઉત્કંઠા જાગૃત બની. મિત્રો, સહાધ્યાયી સાથે કંઇ કેટલાંય સાધુસંતોના સંપર્કમાં આવ્યાં. પરંતુ બધું જ મિથ્યા, કારણ કે કોઇપણ સાધુ-યોગીને તેઓ ઇશ્વર અનુભવ અંગે પુછતાં એટલે પેલાં સાધુ-યોગી લાચાર બની નિરુત્તર રહેતા. આખરે વિધિએ નિર્માણ કરેલ ઘડી આવી પહોંચી અને મિત્ર સાથે દક્ષિણેશ્વર કાલી મંદિરના સીધા સાદાં સંત શ્રીરામકૃષ્ણદેવના દર્શને ગયા. મનનું સમાધાન થયું. જે જોઇએ છીએ તે તમામ વાતો આ અભણ છતાં દિવ્યજ્ઞાની સંતમાં જોઇ અને કાયમી ધોરણે શિષ્ય બની ગયા. અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો આવિર્ભાવ થયો કે જેણે પોતાના જ્ઞાનથી દુનિયા આખીને પાયામાંથી હચમચાવી મુકી.

સ્વામીજીના અલ્પ જીવનકાળમાં આપણને એક વાત ઉડીને આંખે વળગે એવી સ્પષ્ટ દેખાય છે કે, મહાન કાર્યો કરવા લાંબી ઉંમરની જરૂર નથી પડતી કે કાળ તેઓના દિવ્ય કાર્યને અટકાવી શકતો નથી. એ તો મરઘી જેમ ઇંડાને સેવે તેમ સમય આવે બધું ગોઠવાયેલું હોય છે જ. સ્વામીજીએ શિકાગો સર્વધર્મ પરિષદમાં પોતાના સર્વ પ્રથમ ભાષણમાં જ્યારે લોકોના દિલ જીતી પોતાની જ્ઞાનગંગા વહાવી ત્યારે ખરે જ લોકો સ્વામીજીને સાંભળવા, જોવા પાગલ બની ગયા હતાં એ વાત નિર્વિવાદ છે. સ્વામીજીનો પ્રભાવ જ એવો અદ્ભૂત હતો કે વાણી મરેલાં મડદાંને બેઠું કરી શકે એવી અદભૂત હતી. વૈદિક ધર્મ અને માનવજીવન વિશે તાત્વિક, તલસ્પર્શી અભ્યાસ અને તે દ્વારા કંઇ કેટલાંયનું હ્રદય પરિવર્તન એ કાંઇ ઓછી સિધ્ધિ ના લેખાય.

સ્વામીજીને હંમેશા ગરીબ - દરિદ્ર ખૂબ જ ગમતાં. ભારતની ગરીબી અને દરિદ્રતા જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠતું અને તેમના ભલા માટે પ્રયત્નો કરતાં. તેમણે દરિદ્રને નારાયણ કહી સમાજસેવાનું ધર્મ દ્વારા કર્મનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું અને ખરો ધર્મ દરિદ્રની સેવામાં છે એનું સમાજને ભાન કરાવેલું.

સ્વામીજીના વિવિધ વિષયોના ભાષણો દ્વારા જાણવા મળે છે કે તેમના માટે ધર્મ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મુખ્ય હતો. વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયા આ એમની કર્મની સીડી હતી. દેશપ્રેમ એ જીવનની સૌથી પહેલી આવશ્યક્તા છે એમ તેઓ માનતાં. અને જુદા જુદા સમાજના, જ્ઞાતિના લોકોને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા.

સ્વામીજી ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનને પણ ખૂબ જ મહત્વ આપતા. બલ્કે, ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે એમ તેઓ માનતા. ધર્મમાંથી અંધશ્રધ્ધાને દૂર કરી માનવ ઉત્કર્ષ માટે વિજ્ઞાનની ખૂબ જ આવશ્યકતા છે અને ધર્મ પણ વૈજ્ઞાનિક (અંધશ્રધ્ધા સિવાયનો) હોવો જોઇએ તથા ધર્મ અને વિજ્ઞાન એ પરસ્પર વિરોધી નહિ પરંતુ એકબીજાના પૂરક છે એમ તેઓ કહેતાં. તેમના જીવનકાળ દરમ્યાનના સંજોગો જોતાં ખરેખર આવા મહાન રાષ્ટ્રપ્રેમી, પ્રખર સંત, સાચા વૈરાગી મહાત્મા ભારતભૂમિને પાવન કરી ગયા એ ભારતવાસીનું સદભાગ્ય છે. તેમણે આપેલો સંદેશ આપણને આજે પણ જીવનની હરેક સમસ્યા સામે લડવાની પ્રેરણા આપી સમાધાનકારક ભૂમિકા પ્રદાન કરે છે.

સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ગીતા ઉપદેશ અનુસાર સૃષ્ટિ ઉપર જન્મ લેતા ઇશ્વરી અવતાર પૈકીનો એક અવતાર હતા એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી.

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલ અભયવચન અનુસાર ભારતની પવિત્ર ભૂમિ ઉપર અઢારમી સદીમાં કલકત્તા, બંગાળના એક નાનાશા ગામમાં રામ અને કૃષ્ણના સમંવય સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો. બાળપણ ખૂબ જ સામાન્ય વીતેલું. પરંતુ આધ્યાત્મિક્તા તરફ ખૂબ જ અભિરૂચી અને સાધુસંતોનો સહવાસ કાયમ આકર્ષતો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં કદાપિ કોઇ પણ ભૌતિક વસ્તુની લાલસા તેમને સતાવતી નહિ. ઉંમર વધવા સાથે ઇશ્વર પ્રત્યેનો પ્રેમ અને અલૌકિક ભક્તિ તરફનો અભિગમ દિન-પ્રતિદિન વધવા માંડ્યો. મોટાભાઇ રામકુમાર સાથે કલકત્તા કાલી મંદિરમાં પૂજારી તરીકે જવાની તક મળી. કહોકે માએ જ નિર્માણ કરેલું હતું તે મુજબ એક પછી એક પ્રક્રિયાઓમાંથી ભાવિ રામકૃષ્ણનું ઉત્થાન થવા લાગ્યું. યુવાનીના નાજુક દોરમાં ભવેભવના સહધર્મચારિણી , જગદંબાનો અવતાર શ્રી શારદામણિ સાથે લગ્ન થયું. દિવ્યભક્તિ, દિવ્યજીવન અને દિવ્યદંપતિનો ત્રિવેણી સંગમ એટલે રામકૃષ્ણ-શારદામણિદેવીનું લગ્નજીવન. પરણ્યાની પ્રથમ રાત્રિએ પત્નીમાં જગદંબાને નિરખી તેનું ષોડષોપચાર પૂજન-અર્ચન કરવું એ ઇશ્વરકક્ષાના મનુષ્ય સિવાય કોણ કરી શકે?

મા કાલીની ભક્તિ અને માના પ્રત્યેનું ખેંચાણ એટલું તિવ્ર બનવા લાગ્યું કે કેટલીક વખત દેહભાન ભૂલી, માના પોકાર પાડી, આજે પણ માનું દર્શન ના થયું - કરી, ઉદાસિનતા વ્યક્ત કરનાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનની એ અણમોલ ઘડી આવી પહોંચી. અને મા જગદંબાએ સાક્ષાત દર્શન આપી તૃપ્ત કર્યાં. સાથેસાથે માને હરહંમેશ સાથે રહેવા માટે તથા અવારનવાર દર્શન દઇ, માર્ગદર્શન આપવા સારૂં વિનવણી કરી. આધ્યાત્મિક બાબતમાં જ્યારે પણ શ્રીરામકૃષ્ણદેવને મુંઝવણ થતી ત્યારે મા અચૂક હાજર થઇ માર્ગદર્શન આપતાં. તેમના આધ્યાત્મિક જીવનમાં શ્રીશારદામ્બા હંમેશા તેમની સારસંભાળ રાખી તેમની બાહ્યાવશ્યક્તાઓની કાળજી લેતાં.

ઉપરોક્ત પૂર્વભૂમિકા બાદ હવે તેમના જીવનના અન્યપાસાનો વિચાર કરીએ અને તાત્વિક દ્રષ્ટિએ ભારતીય અધ્યાત્મ વિચારધારાને તેમણે આપેલ અમૂલ્ય ફાળા વિશે ચર્ચા કરીએ. આમતો તેમનું જીવન એક સામાન્ય માણસ જેવું જ હતું, પરંતુ અંદર જે તત્વ હતું તે દિવ્ય ઇશ્વરીય તત્વ હતું. જે આધ્યાત્મિક મૂડી તેમની પાસે જમા હતી, તેમાથી તેમણે તેમની સમક્ષ આવતાં જિજ્ઞાસુ-જ્ઞાનપિપાસુ લોકો વચ્ચે વહેંચીને દરેકની કક્ષા અનુસાર તૃપ્ત કર્યાં હતાં. આમાંથી જ સ્વામિ વિવેકાનંદ જેવા પ્રખર રાષ્ટ્રવાદી સન્યાસીનો ઉદ્ભવ થયો હતો. આપણા શાસ્ત્રોનું કથન છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતાર લે છે, ત્યારે તેમનાં સહચરો પણ એજ કાળમાં અન્યત્ર જન્મ લે છે; અને જ્યારે સમય પાકે ત્યારે એક જ આધ્યાત્મિક વૃક્ષ નીચે એકત્ર થઇ, તેમનું જીવન કવન પૂર્ણ કરે છે.

યોગિક દ્રષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ એક પરમોચ્ચ પદે પહોંચેલા યોગી હતાં, સાચા ગુરુ હતાં. શક્તિપાત દ્વારા આધ્યાત્મિક ચેતના ફેલાવનાર સક્ષમ દિવ્યયોગી હતાં. કંઇકના જીવનપરિવર્તન કરવા તેમણે આ શક્તિનો ઉપયોગ કરેલો. બલ્કે જીવનના ઉંધા પાટે ચઢેલા કેટલાય મનુષ્યોને આધ્યાત્મિક પથ ઉપર ચઢાવી સન્માર્ગે વાળેલાં. ખૂદ સ્વામિ વિવેકાનંદ એટલે કે પૂર્વાર્ધના નરેન્દ્રદત્ત એક દ્વિધામાં ફસાયેલો યુવાન, કે જેનું જીવન નાવ હાલક ડોલક થયું ત્યારે બરાબર તે જ વખતે ઇશ્વરનો પ્રત્યક્ષ પુરાવો આપી ભવિષ્યના વિવેકાનંદને આધ્યાત્મિક જીવન તરફ યથાયોગ્ય બીબાંમાં ઢાળનાર પરમગુરુદેવ રામકૃષ્ણ જ હતાં. વિવેકાનંદ એટલે હાલતું ચાલતું ઉચ્ચતમ શક્તિનું જનરેટર, કે જે મરેલાં મડદામાં પ્રાણસંચાર કરાવી શકે તેવા મેઘાવી, પ્રખર રાષ્ટ્રભક્ત, ઉચ્ચ કક્ષાનાં યોગી અને સંસ્કૃતિનાં સાચા રક્ષક. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં કદાપિ કોઇની પાસે કોઇ પણ વસ્તુની યાચના કરેલ નહોતી. કામિની અને કંચનથી સદાય અસ્પૃશ્ય.

ભગવદગીતામાં વર્ણવેલ તમામ યોગો, જેવા કે, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગનો સમંવય અને તે દ્વારા કેટલાંય મનુષ્યોના જીવનમાં આમૂલ પરિવર્તન , આ સઘળું એક જ જીવનમાં કરવું કેટલું દુર્લભ! રામાયણમાં એક ચોપાઇ છે કે, “જનમ જનમ મુનિ કરાહી, રામનામ મુખ આવત નાહિ.” ભગવાનની અનુભૂતિ , બલ્કે પ્રત્યક્ષ દર્શન એ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

જીવનના અલગ અલગ તબક્કે, વિભિન્ન સાધનાઓ દ્વારા અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે ઇશ્વરનાં નામ અલગ હોઇ શકે, રૂપ અલગ હોઇ શકે. પરંતુ પરમાત્મા એક જ છે. ઇશ્વર, અલ્લાહ, ઇશુખ્રિસ્ત, રામ, કૃષ્ણ, કાલી, અંબા, લક્ષ્મી, તમામ ઇશ્વરીય સ્વરૂપ એક જ ઉચ્ચ શક્તિના ધ્યોતક છે. ભક્તની રુચિ અનુસાર અલગ અલગ અનુભૂતિ તથા રૂપો ધરે છે.

પોતાના સાધનાકાળ દરમ્યાન સગુણ તથા નિર્ગુણ બન્ને પ્રકારની ઉપાસનાઓ દ્વારા સકામ તથા નિર્વિકલ્પ બન્ને પ્રકારની સમાધિની અનુભૂતિ , અરે તંત્ર ઉપાસના દ્વારા ઇશ્વરને પ્રાપ્ત કરવાનો સુભગ સમંવય સાધનાર પણ એ જ પ્રભુશ્રી રામકૃષ્ણદેવ પરમહંસ હતાં. શું કાળ હતો એ દિવ્ય અનુભૂતિઓની પરંપરાનો? કેટલાં બડભાગી હશે એ કાળનાં સ્ત્રી-પુરુષો? કેટલો ભાગ્યવાન ભારત દેશ? કેટલી ગહન અને દિવ્ય ભારતીય પુરાતન સંસ્કૃતિ? પંચમહાભૂતમાં પડેલો બ્રહ્મ સુધ્ધાં રડે, એ ઉક્તિને યથોચિત ઠરાવવાં પ્રભુશ્રી રામકૃષ્ણદેવે સને 1886ના વર્ષમાં આ ભૌતિક દેહ ત્યાગી સ્વધામમાં પધાર્યાં. પરંતુ પાછળ પોતાના આધ્યાત્મિક વારસદાર એવા પ્રખરયોગી સ્વામિ વિવેકાનંદને તૈયાર કરીને મૂકતાં ગયા. શૂન્યમાંથી સર્જન કરનાર સ્વામી વિવેકાનંદ ની સાથે ગુરુમાતા શારદામણિદેવી સદાય માર્ગદર્શક બની જરૂરી દોરવણી આપાતાં રહેતાં. આખરે શ્રીરામકૃષ્ણદેવની પરમ કૃપાથી બેલૂરમઠની સ્થાપના થઇ અને ભારતના લાખો નરનારીઓના આધ્યાત્મિક ઉત્થાનનું સ્થાયી સ્થળ બન્યું જે હાલમાં દુનિયાભરમાં એક વટવૃક્ષની જેમ ફેલાઇને આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહાવી રહેલ છે.

શ્રીરામકૃષ્ણદેવના સ્વધામ પછી પણ એવા કેટલાંય દાખલાં બન્યા છે કે જેમાં તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મુંઝવણનો ઉકેલ અથવા તો માર્ગદર્શન આપેલું જણાય છે, જેની ચર્ચા અત્રે અસ્થાને લેખાય. કારણ કે ઇશ્વરીય અવતારો પોતાની લીલા સંવરણ સમેટી સ્વધામમાં પધારે છતાં પણ તેમની દિવ્ય ચેતના આ સૃષ્ટિમંડળમાં અહર્નિશ વ્યાપ્ત હોય છે.

બેલુરમઠની સ્થાપના સાથે શ્રીરામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં આવ્યું, જેનું મુખ્ય કાર્ય સમાજોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રની સેવા તથા જ્ઞાન-ભક્તિ-કર્મના ત્રિવેણી સંગમ દ્વારા વ્યક્તિનું આધ્યાત્મિક ઉત્થાન અને તે દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રની અમર સંસ્કૃતિનું રક્ષણ. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી સ્વદેશ પરત આવ્યા ત્યારે આપણાં દેશની હાલત જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને ગરીબી અને ભૂખમરાથી સબડતાં લાખો દેશવાસીઓ પ્રત્યે અનુકંપા જાગી અને દરિદ્રને નારાયણના સંબોધનથી “દરિદ્રનારાયણ” શબ્દને યથાર્થ કરતી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું જીવન કર્મ, યોગ, ભક્તિ આપણને પ્રખર રાષ્ટ્રવાદી બનાવી; ન્યાત, જાત, ધર્મ, સંપ્રદાયોના વાડાઓમાંથી બહાર કાઢવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કોઇ સંપ્રદાય નથી; સ્વધર્મમાં રહી આધ્યાત્મિક દિવ્યચેતનાને જીવનમાં ઉતારી દરિદ્રોની, સમાજની, દેશની, દુનિયાની સેવા કરી વસુધૈવ કુટુમ્બની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની સદાય પ્રેરણા આપતી એક જીવંત સંસ્થા છે કે જેમાં દરેકને આધ્યાત્મિક જલસાગરમાંથી પિવાય તેટલું અમૃત પીવાની છૂટ આપે છે.

અંતમાં, જ્ઞાન-કર્મ-ભક્તિનો સુભગ ત્રિવેણી સંગમ એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ.
જયશ્રી રામકૃષ્ણ - સ્વામી વિવેકાનંદ! પુનઃ ભારતની દિવ્યભૂમિને પાવન કરવા ક્યારે પધારશો?

ગુરુમા - બંસીધર પટેલ

ગુરુમા - બંસીધર પટેલ

શ્રી રામકૃષ્ણના આરાધ્ય હે જગતજનની મા ભવાની.
માતા તારા ચરણોમાં હે, સદાય રહું હું મંગળકારિણી,
શ્વરના છે રૂપ અનેક, તારાં પણ મા રૂપ અનેક.
મંત્ર-તંત્ર-યંત્ર સહુ તારે આધિન, રિધ્ધી-સિધ્ધીનું એક ધામ.
દિશા શૂન્ય હો જ્યારે માનવ, યાદ કરીને મારગ મળતો,
હે સદાય નામ તારું માનવના હોઠે અવિરત ધામ.
મી-નમીને લાગે પાય, અંબા કરજો સહુ કામ સફળ,
ડિબાંગ કાળા વાદળો હોય ભલે, નામ તારાથી વિખરાય તત્કાળ.
યાદ આવતાં તારું જ નામ, ભાગે ભવના રોગ તમામ,
યા કરીને હે મા જગદંબા, દેજે આશિષ સહુ જગજનને.
---------------------------------------------------------------------
શ્રી રામકૃષ્ણ, વિવેકાનંદ, શારદામ્બા, સદ્ગુરુદેવાય,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમો નમઃ.
---------------------------------------------------------------------
પ્રભાતનું પહેલું કિરણ સદગુરુની કૃપામાત્રનો,
સંદેશ લઇ માંના ચરણાર્વિંદને પખાળે છે.

ભારતી - બંસીધર પટેલ

ભારતી - બંસીધર પટેલ

હોય ભલે ધરતી ઝુઝવા, નાત જાત કે ભાત જૂદી;
હિન્દુ હોય કે મુસલમાન, ઇસાઇ, શીખ કે પારસી.
આવે સુવાસ રાષ્ટ્રવાદની, એ જ ખરો દાવેદાર આ દેશનો;
ધરમ પછી, પહેલો દેશ, સાચી સગી મા ભારતી.

-------------------------------------------------------------------------------------

ભારતના ભડવીર સંતાનો, તમારી પોલાદી નસોમાં હિન્દુત્વની અમર સંસ્કૃતિના વારસાનું શુધ્ધ અને પવિત્ર રૂધિર રાતદિન સતત વહે છે. એને નિરખો અને દુનિયાને મુઠ્ઠીમાં લઇને ઉન્નત મસ્તકે ઉદ્ઘોષ કરો કે, “હું અજર અમર આર્યસંસ્કૃતિના હાર્દ સમા ભારત દેશનું અજેય સંતાન છું. મારા રોમેરોમમાં ગંગાનાં પવિત્ર નિનાદનો કલરવ અને હિમાલયની પ્રચંડ હિમશિખાઓનો ઉચ્છૃંગલ ઘરેરાટ અને સમંદરની ઘૂઘવતી ગહેરાઇઓની અગાધ લહેરો જેવો તલવલાટ અવિરત પ્રસરાય છે. મનુ અને શતરૂપાના અનુવંશજ એવો હું એટલે કે, ભારતમાતાનું સંતાન, મારી અમર હિન્દુ સંસ્કૃતિના રક્ષણ કાજે મારા લખચોર્યાસી જન્મ સમર્પિત હો. મારે મન મુક્તિ કરતાં મા ભારતી મહાન છે.”

-------------------------------------------------------------------------------------

જતી સતિની ભોમકા, નથી ખોટ વીર-વીરાનની;
દે છે સહુ બલિદાન હસતા મુખે, ભારત ભૂમિમાં શાનથી.
લાડકવાયા સહુ બાળ મા ના, ચરણોમાં શિશ ઝુકાવે છે;
ધન્ય બની છે રજ ભૂમિની, વ્રજભૂમિ આ ભારતની.

પતિતોને પાવન કરી, દેવો તણા આશિષ વરસાવતી;
અભરખા સહુ પુરા કરતી, અમી વરસાવી તાનથી.
કર્મભૂમિ, ભારભૂમિ, આબાલવૃધ્ધ સહુના પ્યારની;
ધન, ધાન્યના ભંડારોથી ભરેલી આ છલોછલ ભોમકા.

સદીઓ પુરાણી, શાશ્વત સનાતની સંસ્કૃતિની ધરણી;
દેવ, દૈત્ય, માનવ સહુને સરખા પ્રેમથી નવાજતી.
નથી બુઝાયો દિવડો સતનો, છોને વાય તોફાની વાયરા;
અજર, અમર છે, ને અમર રહેશે ધન્ય ભૂમિ આ ભારતની.

કંઇક રાજાને કંઇક રાજીપા, છોડી ગયા છે સંસાર;
નથી થયો વાળ વાંકો, ઊભી અડીખમ મા ભારતી.
ગાંધી, સરદાર, સુભાષની, આ પવિત્ર ભૂમિ શહીદોની;
વિવેકાનંદ, દયાનંદ, સ્વામી સંતોની ભૂધરા.

ફૂંકાય છોને જોરથી પવન પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણથી;
નહિ ભૂસાશે અસ્તિત્વ, અમર ભારત માતનું.
આવ્યો છે સુવર્ણકાળ હવે, ઘોર અંધારી રાત પછી;
હવે નથી કોઇની મગદૂર, રોકે પ્રગતિ ભારતદેશની.

Saturday, September 02, 2006

પ્રકાશ - બંસીધર પટેલ

પ્રકાશ - બંસીધર પટેલ

ઘેટાં પાછળ ઘેટું ચાલે,
ગાડરિયો પ્રવાહ.

એક ઘેટા એ ઉંચુ જોયું,
અધધધનો હુંકાર.

પ્રકાશ પથરાયો ચારેકોર,
અંધશ્રધ્ધાનો થયો હ્રાસ.

મનુષ્યનું છે ક્યાં પાકું?
દોરવાયો દોરવાય જગમાં.

ગુરુ ચેલાના ઠેલમઠેલા,
પડે બન્ને કાદવ કિચડમાં.

પ્રકાશ જ્ઞાનનો લાધે ક્યાંથી,
અંધશ્રધ્ધાનો ઓઢી અંચળો.

હવે થશે, હમણાં મળશે,
હથેળીમાં ચાંદ બતાવે સહુને.

મનુષ્ય અને ઘેટાંમાં છે ક્યાં,
તફાવત? સરખામણીનો.

* * *

ઉજાસની આસ્થાએ વેઠ્યું અંધારૂં,
કાંટાળો રાહ પણ વીંધ્યો બધાંયે.

ઉષાને અમીટ નજરે જોતાં તારલાં,
દૂર ગગનમાં, વૈરાગી યોગી જેવા.

સપ્તર્ષિના તારક વૃંદ સંગાથે,
અપેક્ષા એ વ્યતિત કરતા કાજળઘેરી રાતડી.

થયો ઉજાસ, પથરાયો પ્રકાશ,
અજ્ઞાનમાંથી થયું એક જ્ઞાન.

પલટાયી દિશા જીવનની બાકી,
વેરાયાં ફૂલડાં જીવન આંગણામાં,

હાથનો થયો હુંકારો, મનની નિરાંત.
પ્રકાશનું તો કામ જ એવું,

અંધકાર થાય દૂર તત્ક્ષણ.
-------------------------------------------------------------------
શરીર સૌષ્ઠવનાં વરવા પ્રદર્શન કરવાં કરતાં,
દુબળાં રહીને નિજ જનોની સેવા કરવી ઉત્તમ છે.
--------------------------------------------------------------------
કરી છે દોસ્તી પણ ક્યાં દરકાર રાખો,
અમે મસ્તક નમાવ્યું તો તમો તલવાર રાખો.
તમારા શબ્દ જુદાં, અર્થ જુદાં, ભાવના જુદી,
છતાં કેમ ન્યાયનો દંભ ભર્યો દરબાર રાખો?

રાજરોગ - બંસીધર પટેલ

રાજરોગ - બંસીધર પટેલ

લાગ્યો છે કેવો આ રોગ કોમવાદનો;
જોયા અનેક રોગ, આ તે લાગ્યો કેવો ભવરોગ.

કાઢવો એને જરૂર, ચાહે હોય ભલે એ રાજરોગ;
પહેરીને અવનવા વાઘા, આવે એ આંતરે વરસે.

હવે ઓળખ્યો એને નખશીખ, ના છેતરાયે સર્વજન;
વેતર્યા કેટલાંય શરીર, બની ને વિતરાગી હરામખોર.

બુઝ્યાં સુહાગ, બન્યા અનાથ બાળ, નથી દયા ઉરમાં લગીરે;
દાનવ કળિયુગનો આદમખોર પેંધ્યો એ વારંવાર.

ચાખીને માણસનું રૂધિર બન્યો ખૂબ મદહોશ;
નાથો એને, ભાગી જાય ના, કરવો એનો સર્વનાશ.

દેશ જાગી જાય તો સારૂ, નહિતર વરતાવશે કાળો કેર;
કોમવાદ જો પલટાય અને બને ખરો રાષ્ટ્રવાદ,
ધર્મ, જાતિના ભેદભાવ ભુલી, ગાય સહુ વંદે માતરમ.
--------------------------------------------------------------------------
સબસે બડી હૈ ચૂપ મનવા, નવ બોલ્યામાં નવગુણ,
ના આવે આવાઝ ઉસકી લકડીકી, સાપ મરે લાકડી નવ ભાગે.
કરો ધરમ ઔર દાન મનવા, વીતી જાય એળે જીંદગાની.
--------------------------------------------------------------------------
મિત્રના મૃત્યુ કરતાં મૈત્રી મૃત્યુ વધારે દુઃખદ છે;
વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
ધીરજ પ્રતિભાનું એક આવશ્યક અંગ છે,
દરેક પોતાના સ્થાને મહાન છે.
કર્મનો ધ્વનિ શબ્દથી ઉંચો છે.