Tuesday, March 06, 2007

Swaranjali

સ્વરાંજલિ - ચિરાગ પટેલ Mar 06, 2007

ક્યાં છે તું ઓ સ્વરાંજલિ? આભાસી બની ગઇ કેમ તું?
થોડા સમયમાં નવી ખુશી આપી, રૂઠી ગઇ કેમ તું?

ઘણાં કષ્ટો વેઠી તને પામ્યાંનો હરખ માતો ન્હોતો 'ને,
ઝાકળવત સુવાસ પ્રગટાવી અનંતમાં સમાઇ ગઇ જોને.

ચિરાગે પ્રગટાવી પારૂલની પ્રતિકૃતિ સમ અંતરથી ખરી,
વૃન્દનાં સોનેરી સ્વપ્નોની મૂર્તિ, અલબેલી નાની-શી પરી.

માંગી હતી તને જગત્જનની પાસેથી કાલાંવાલાં કરી,
એનો જ અંશ સમ ભાસતી, સમાણી તું એમાં જ ફરી.

નાની હતી મારી અપેક્ષા એક, પામું કન્યાદાનનું પુણ્ય,
મારા અસ્તિત્વના અંશ દ્વારા, નહિ પામું કદીયે એ પુણ્ય.

જન્મ-મૃત્યુ, એ બે સનાતન સત્ય છે પૂરા આ જગમાં,
કેમ મને હરપળ એ સત્યની ઝાંખી કરાવી જીવનમાં.

દરેક આઘાત સહેવાની શક્તિ આપી, આંચકા શાને આપ્યા?
એણે ગણ્યું જે પ્યારું મેં માન્યું પ્યારું, મારી તને આ અંજલિ.

1 comment:

Anonymous said...

સરસ રચના... ચિરાગભાઈ