Saturday, October 06, 2007

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

વૈદિક માનવ ધર્મ - બંસીધર પટેલ

આધુનિક વિશ્વમાં દિનપ્રતિદિન અભૂતપૂર્વ ઘટનાઓ ઘટતી રહે છે. દેશ-દેશ વચ્ચે, ધર્મ-ધર્મ વચ્ચે વૈમનસ્યની ખાઈ વધુને વધુ વિસ્તરતી જાય છે. મનુષ્ય મનુષ્યના રક્તનો પ્યાસો બની હિંસાચાર આચરી રહ્યો છે. કોઈ કોઈનું સાંભળતું નથી. સ્વતંત્રતાએ સ્વચ્છંદતાનું નગ્નસ્વરૂપ લઈ માનવીને સ્વૈરવિહારી બનાવી દીધો છે. ભૌતિક સમૃધ્ધિમાં આળોટતા દેશોને માનસિક શાંતિ મળતી નથી. ગરીબ બિચારા દેશો સમૃધ્ધિની શોધમાં ધનવાન દેશોની આણ નીચે દબાતા જાય છે. આખરે આ બધું ક્યાં જઈ રહ્યું છે? એમાં ભારત જેવા ગરીબ વિકાસશીલ દેશનું ભવિષ્ય શું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર સમસ્યાઓના ઢગલાની નીચે દબાઈ ગયા છે. સમસ્યાઓ ગુણોત્તર સંખ્યામાં વધતી ચાલી છે. આમ બધી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો મનુષ્ય વધારે વધારે નિમ્નસ્તરનું કુસંસ્કારી વર્તન કરતો જાય છે. દિશાશૂન્ય જીવન અને ભૌતિક સુખોએ માનવના મગજને વિકૃત બનાવી અધ:પતનના આંગણામાં લાવી મુક્યો છે.

ધર્મ એ એક એવી પ્રકૃતિજન્ય પ્રક્રિયા છે કે જેમાં માનવી જેટલો ગહન અભ્યાસી બને તેટલો વધારે ઉજ્જવળ જીવન જીવી, સમાજ અને રાષ્ટ્રને સહાયભૂત બની શકે છે. તમામ ધર્મોની વચ્ચે ભારતિય આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ, કે જે માનવના વર્તમાન જીવન ઉપરાંત ભવિષ્યના જન્મોને પણ આવરી લે છે, તેની પાસે મનુષ્ય કલ્પવૃક્ષની જેમ હરકોઈ કામનાનું સમાધાન મેળવી શકે છે.

આમ તો વૈદિક આર્યધર્મ એટલે માનવતાથી ભરપુર સમાજના નિર્માણ માટેનો ઉદ્યોતક છે. સમસ્યાઓના અગનથી દઝાતો મનુષ્ય પ્રેમજળથી શીતળતા પ્રાપ્ત કરવા સમર્થ બને છે. સનાતન આર્યધર્મના આધારસ્તંભ સમા ચાર વેદ અને ઉપનિષદ મનુષ્ય જીવનના હરેક પાસાને દ્રષ્ટાંતો, દાખલાઓ, વાર્તાઓ સહિત આવરી લે છે. જેમાં મનુષ્ય જીવનના જન્મથી મૃત્યુ પર્યંતના વિવિધ તબક્કાઓને સોળ ભાગમાં વહેંચી, અલગ-અલગ સોળ સંસ્કાર દ્વારા દિવ્યજીવન પ્રતિ પ્રયાણ કરાવે છે. વેદોમાં જે મંડળો છે, તેના દ્રષ્ટા ઋષિમુનિઓ છે. તેમણે જે સત્ય દર્શન કર્યું, તેને જગત સમક્ષ મુકી, આચાર-વિચાર-જ્ઞાન-કર્મ તથા ભક્તિ કરવાની સલાહ આપી, વિશ્વમાં સર્વશ્રેષ્ઠ માનવજીવનની મર્યાદાઓ તથા કુદરતી તત્વો સાથે તાલમેલ જાળવવા અદ્યતન જ્ઞાન ભર્યું પડ્યું છે. વેદો એક એવું વિજ્ઞાન છે કે જે હજારો વર્ષ પહેલાં સત્ય હતું, વર્તમાન સમયમાં પણ સત્ય છે અને હજારો વર્ષ સુધી સત્ય જ રહેશે, કેવળ સત્ય.

વૈદિક ધર્મ કોઈ અમુક વર્ગના મનુષ્યને અનુલક્ષીને રચાયેલું મર્યાદિત સાહિત્ય નથી. બલ્કે વિશ્વના હરેક મનુષ્યને સામાન્ય કક્ષાએથી ઉઠાવી દિવ્યતાના સાગરમાં નખશીખ સ્નાન કરાવતા દુર્લભ ગ્રંથો છે.

એવું કહેવામાં અતિશયોક્તી નથી કે દુનિયા જ્યારે કોઈપણ જાતના પૂર્વગ્રહ આડે લાવ્યા સિવાય વેદોને એકી અવાજે સ્વિકારી ગ્રહણ કરશે ત્યારે દુનિયાનો નકશો પલટાઈ જશે.

વૈદિક ધર્મ - વેદ - ઉપનિષદ અમર રહો.

No comments: