Saturday, October 14, 2006

કાન્હો - બંસીધર પટેલ

કાન્હો - બંસીધર પટેલ

મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.

વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.

વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.

વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.

રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.

બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.

ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.

No comments: