Wednesday, January 30, 2008

મેમરી અને સ્ટોરેજ

મેમરી અને સ્ટોરેજ - ચીરાગ પટેલ Jan 30, 2008

કમ્પ્યુટરમાં સીપીયુ (CPU) જેવો જ અગત્યનો ભાગ છે - સ્ટોરેજ (storage) અથવા મેમરી (memory). મેમરીના જુદાં જુદાં પ્રકાર છે અને મેમરી વગર સીપીયુ કામ કરી શકતું નથી! (જો કે, આપણો ઉપલો માળ ખાલી હોય તો પણ કામ તો કરે જ છે...). સ્ટોરેજ એટલે માહીતીના જથ્થાનો સંગ્રહ કરતો ભાગ (આપણા સ્ટોરેજમાં જંકફુડ વધારે હોય છે. કમ્પ્યુટર જો એવું કરવા લાગે તો આપણે એને ઉઠાવીને ફેંકી દઈએ.). આ સ્ટોરેજ 1 અને 0માં માહીતી સંગ્રહે છે, એટલે એનાં સેલ સ્વીચની માફક ચાલુ-બંધ હોય એ પ્રમાણે 1 અને 0 એવું ગણવામાં આવે છે. ભવીષ્યમાં એક ઈલેક્ટ્રોન બરાબર આવી એક સ્વીચ થાય એવા કમ્પ્યુટર આવશે ત્યારે કમ્પ્યુટરનું કદ ઘણું જ નાનું થઈ જશે. (અને જો ક્વાર્કને સ્વીચ તરીકે વાપરીયે તો!!!)

પ્રાયમરી સ્ટોરેજ (Primary Storage) એટલે એવું સ્ટોરેજ જે પ્રોસેસર સીધું જ વાપરી શકે. એમાં મુખ્યત્વે પ્રોસેસરનાં રજીસ્ટર, કૅશ, અને રૅમ (RAM- Random Access Memory)નો સમાવેશ થાય છે. આ બધી મેમરી પાવર જાય એટલે ભુંસાઈ જાય છે (કાશ, સ્ત્રીઓની યાદશક્તી આવી હોત...). એટલે, એને વોલેટાઈલ (volatile) મેમરી કહે છે. કમ્પ્યુટરમાં જ્યારે કોઈ એપ્લીકેશન કે ઓપરેટીંગ સીસ્ટમ ચાલુ હોય ત્યારે આ ત્રણેય પ્રકારની મેમરી વપરાતી હોય છે. બાયોસ-રોમ (BIOS-ROM કે ROM-BIOS) તરીકે ઓળખાતી મેમરી પણ વપરાય છે. આ મેમરી નોન-વોલેટાઈલ (Non-volatile) હોય છે. નોન-વોલેટાઈલ મેમરી કમ્પ્યુટરને વીજળી ના મળે તો પણ બધી માહીતી સંગ્રહી રાખે છે (જેથી પુનર્જન્મ વખતે કામ લાગે...). રજીસ્ટર અને કૅશ એ પ્રોસેસરની અંદર હોય છે. આજના બધાં સીપીયુ L1 અને L2 કૅશ તરીકે જાણીતી યુક્તી વાપરીને માહીતીની અતીઝડપી આપ-લે કરતાં હોય છે (એ વીશે ફરી ક્યારેક ચર્ચા કરીશું).

રોમ મેમરી એના નામ પ્રમાણે ખાલી વાંચવા નથી હોતી (ROM - Read Only Memory). પરંતું, એને લખવા માટે લાંબું કાંતવું પડે છે, એટલે જવલ્લે જ લખાતી માહીતી એના પર રાખવામાં આવે છે.

સેકંડરી સ્ટોરેજ (Secondary Storage) મોટે ભાગે કાયમી માહીતીનો સંગ્રહ કરે છે. સીપીયુ આ સ્ટોરેજ સાથે પ્રાયમરી સ્ટોરેજ વડે જ માહીતીની આપ-લે કરી શકે છે (બૉસને મળતાં પહેલાં સેક્રેટરી સાથે વાત કરવી જરુરી છે. વળી, આ સેક્રેટરી ટુંકામાં ટુંકી યાદશક્તી ધરાવે એ ખુબ જ જરુરી છે.). સેકંડરી સ્ટોરેજમાં હાર્ડ ડીસ્ક (Hard Disc), સીડી (CD - Compact Disc), ડીવીડી (Digital Video Disc), ટેપ ડ્રાઈવ (Tape Drive), ફ્લોપી ડીસ્ક (Floppy Disk), ઝીપ ડ્રાઈવ (ZIP Drive), યુએસબી ડ્રાઈવ (USB - Universal Serial Bus Drive) વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધી સ્ટોરેજની ક્ષમતા ખુબ જ હોય છે. મોટે ભાગે, ફાઈલના સ્વરુપે અહીં બધી માહીતી સંગ્રહાય છે.

ટર્શરી સ્ટોરેજ (Tertiary Storage) એક મોટા પુસ્તકાલય સમાન હોય છે. એમાં ઑટોમેટીક મશીનથી ઘણી બધી ડ્રાઈવ સીસ્ટમ સાથે અટૅચ કે ડીટૅચ થતી હોય છે.

ઑફલાઈન સ્ટોરેજ (Offline Storage) કમ્પ્યુટરથી છુટું પાડી શકાય છે. પેન-ડ્રાઈવ કે જે યુએસબી પર ચાલે છે, ફ્લૉપી, સીડી, ડીવીડી, ફ્લૅશ વગેરે આના ઉદાહરણ છે (ચલતી કા નામ ગાડી?).

સ્ટોરેજના આ પ્રકારો પર વીગતે ચર્ચા ફરી કરીશું.

Saturday, January 12, 2008

શક્તીદાયી વીચાર - 2

શક્તીદાયી વીચાર - 2 સ્વામી વિવેકાનંદ

11. વીશ્વની તમામ શક્તીઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો ઉપર મુકીએ છીએ અને પછી બરાડા પાડીએ છીએ કે સર્વત્ર અંધકાર છે. જાણી લ્યો કે આપણી આસપાસ અંધકાર નથી. હાથ ઉઠાવી લ્યો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો ત્યાં પહેલેથી જ હતો. અંધકારનું, નીર્બળતાનું ક્યારેય અસ્તીત્વ ન હતું. મુર્ખ એવા આપણે બરાડા પાડીએ છીએ કે આપણે નીર્બળ છીએ, અપવીત્ર છીએ.

12. નીર્બળતાનો ઉપાય તેનો વીચાર કર્યા કરવો એ નથી, પણ શક્તીનો વીચાર કરવો એ છે. મનુષ્યોમાં જે શક્તી પહેલેથી જ છે તેની કેળવણી આપો.

13. આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

14. માનવજાતીના સારાયે ઈતીહાસમાં તમામ મહાન સ્ત્રીપુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તી હોય તો તે આત્મશ્રદ્ધા છે. પોતે મહાન થવા માટે નીર્માયા છે એવી જન્મજાત સભાનતાને કારણે તેઓ મહાન થયા.

15. માણસનું ગમે તેટલું અધઃપતન થાય, પરંતુ આખરે એવો સમય અવશ્ય આવશે કે જ્યારે કેવળ નીરાશાની પરીસ્થીતીમાંથી તે ઉંચો જવાનો પ્રયત્ન કરશે અને આત્મશ્રદ્ધા કેળવતાં શીખશે. પરંતુ આ સત્ય આપણે પહેલેથી જાણી લઈએ એ આપણા માટે વધુ સારું છે. આત્મશ્રદ્ધા કેળવવા માટે આવા બધા કટુ અનુભવોમાંથી આપણે શા માટે પસાર થવું જોઈએ?

16. આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કાંઈ ભેદ છે તે આત્મશ્રદ્ધાના હોવા ન હોવાની બાબતમાં છે. આત્મશ્રદ્ધાથી બધું જ શક્ય બનશે. મેં મારા પોતાના જીવનમાં આ સત્યનો અનુભવ કર્યો છે. અને હજી પણ હું એ અનુભવ કરી રહ્યો છું; અને મારી વય વધતી જાય છે તેમ તેમ એ શ્રદ્ધા પણ વધુ ને વધુ દ્રઢ બનતી જાય છે.

17. શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુષ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્ષો વ્યતીત થઈ ગયાં છે - અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો! તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.

18. જો 'જડપદાર્થ' શક્તીમાન છે, તો 'વીચાર' સર્વશક્તીમાન છે. આ વીચારને તમારા જીવનમાં ઉતારો, તમારી સર્વ-શક્તીમત્તા, તમારી ભવ્યતા અને તમારા મહીમાના વીચારથી તમારી જાતને ભરી દો. ઈશ્વર કરે ને તમારા મસ્તકમાં કોઈ વહેમનો પ્રવેશ ન થાય! ઈશ્વર કરે ને આપણે જન્મથી જ આવી બધી વહેમગ્રસ્ત અસરોથી અને આપણી નીર્બળતા અને અધમતાના, જીવનને નીષ્ક્રીય બનાવનાર ખ્યાલોથી ઘેરાઈ ન જઈએ!

19. તમારી જીવાણુકોષની અવસ્થાથી આજની મનુષ્ય અવસ્થા સુધીનું નીરીક્ષણ કરો; આ બધું કોણે કર્યું? તમારી પોતાની ઈચ્છાશક્તીએ જ. એ સર્વશક્તીમાન છે એ હકીકતનો શું તમે ઈંકાર કરી શકો ખરા? જે શક્તીએ તમને આટલું ઉચ્ચ સ્થાન અપાવ્યું તે હજી પણ તમને ઉચ્ચતર સ્થાન અપાવી શકે. તમારે જરુર છે ચારીત્રની, ઈચ્છાશક્તીને વધુ બળવાન બનાવવાની.

20. ઉપનીષદોમાંથી બોમ્બની માફક ઉતરી આવતો અને અજ્ઞાનનાં રાશી ઉપર બોમ્બગોળાની જેમ તુટી પડતો એવો જો કોઈ શબ્દ તમને જડી આવતો હોય તો તે શબ્દ છે 'અભીઃ', 'અભય'. અને જગતને જો કોઈ ધર્મનું શીક્ષણ આપવું જોઈએ તો એ છે અભયના ધર્મનું શીક્ષણ. શું આ સંસારના કે શું ધર્મના ક્ષેત્રમાં, એ સાચું છે કે ભય એ જ પાપ અને પતનનું અચુક કારણ છે. ભયથી જ દુઃખ જન્મે છે, ભયથી જ મૃત્યુ આવી પડે છે અને ભયથી જ અનીષ્ટ ઉભું થાય છે.

-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

દોસ્તી

દોસ્તી - બંસીધર પટેલ

મળ્યા બે દોસ્ત, કરવા વાતો, વીતેલા વખત તણી,
પુછ્યા છે ખબર, અંતર વીશે ઉમળકો લાવીને અતી;
છૈયાં, છોકરાં, બૈયર તણા, પુછ્યાં અંતર પરસ્પર ફરી.

હતાં જ્યારે શીશુ, રમ્યાં ખુબ સાથે, ભણ્યાં પણ સાથે;
હતી ખોડ ખાટલે એમ કે સ્નેહ અરુ ફરક કૃષ્ણ-સુદામા સમો;
હતો એક અમીર તો અન્ય વળી રંક, ખાધાનાય સાંસાં;
હતી ખબર બેઉને કે, નથી મેળ ભાવીતણો, નથી ઉજાગર દોસ્તી.

થયા બેઉ અલગ, પરણી, ભણીને સીધાવ્યા સહુ સ્વરસ્તે;
કરે એક ધંધો તો અન્ય કરે ખેતી, બન્યો એક અમીર તો રંક છે બીજો;
માબાપ બન્ને તણાં સીધાવ્યાં સ્વર્ગમાં, ભાઈ-ભાંડું પણ પોતાના રસ્તે.

ભરાઈ આવ્યું છે હૈયું, બનીને સાગર અશ્રુતણો ઉભરાઈ રહ્યો;
મળ્યાનો હરખ સમાતો નથી હ્રદયમાં, ગયા ત્યાં નજીક વૃક્ષતણો વીસામો.
પરખ અહીં ખરી છે દોસ્તી નીભાવની, કરીને ગોષ્ટી કીધું હૈયું હળવું;
ભાંગ્યાના ભેરુ બનીને પરસ્પર, એક મનનો રોગી અન્ય છે સંપદાનો.

નીભાવી મૈત્રી અતી પ્રેમે કરી, આજ તો સર્જનહારની અસીમ લીલા છે.

સમજણ

સમજણ - બંસીધર પટેલ

વરસી રહ્યું છે અમરત મનવા, પી લે મન ભરી ભરી;
તલસી રહ્યું છે મન તારું, પામવા અમરત કટોરો વળી વળી.

ભર્યો પડ્યો છે સમંદર પુરો, મંથન કરતાં ના વાર ઘડીની;
મચી પડ, ઢળી પડ, ઉન્નત મસ્તકે ઉભો થઈની.

ફુંકાઈ રહ્યો છે પવન સમીરો, ત્રીગુણ તણી નાંખતો લહેરખી;
ભરવો હોય તો ભરી ભરી લેજે, લાંબો વીસામો લઈ લહેરથી.

વાગી રહ્યો છે રણભંભેરી, શંખનો ધ્વની શ્રુણાય અતી સમીપથી;
નસીબ હોય તો પામે નર જગમાં, સતવાણી વદે સંતસમાજથી.

કરમ લખ્યા નવ થાય મીથ્યા કદી, છોને પછાડે મસ્તક પાષાણ થકી;
પરમ પ્રકાશે મુકી દોડને, થઈ જા માલામાલ આ ધરતી મહીં.

પસ્તાશે પછી પેટભરીને, ના ઉગરવાનો મળશે વારો કદી;
ધરતીને તુ અગર સમજીને, ઈશ્વરનો પહાડ માની રાખજે ગરીમા.

Friday, January 11, 2008

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો

થોડાં શ્રદ્ધાંજલીનાં પુષ્પો - પાયલ ગુપ્તા Jan 11, 2008

દુ:ખને દુઃખ ના જાણ્યું, હસીને હસાવી ગયા;
જીવન એવું જીવી ગયા, ચીરંજીવ સંભારણાં મુકી ગયા.

દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં;
એવી લીધી વીદાય અચાનક, રડતાં અમ સહુને મુકીને.

તમે તો પોઢી ગયા સદાકાળ, દીર્ઘ અંધાર પછેડી ઓઢીને;
આપ તો હતા પરમાનંદ, સ્વીકારજો અમ અંજલી.

લીલી વાડી સમો સંસાર ત્યજી, તમે ગયા સ્વર્ગધામ;
લાડકોડ મુકી અધુરાં, કોડ સહુના પુરા કરી ગયા.

હર પળે, હર કાર્યમાં 'ને હર સ્થળે આવે સ્મરણ;
જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;
આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની.

આપના દીવ્યાત્માને પરમકૃપાળુ પરમાત્મા,
ચીર શાંતી અર્પે એ જ હ્રદયની પ્રાર્થના;
ચરણોમાં અર્પણ અમી છીએ.

Saturday, January 05, 2008

શક્તીદાયી વીચાર 1

શક્તીદાયી વીચાર 1 - સ્વામી વીવેકાનંદ

1. તમે તો ઈશ્વરનાં સંતાનો છો, અક્ષય સુખના અધીકારી છો, પવીત્ર અને પુર્ણ આત્માઓ છો. અરે ઓ પૃથ્વી પરના દીવ્ય આત્માઓ! તમે પાપી? મનુષ્યને પાપી કહેવો એ જ પાપ છે, મનુષ્ય-પ્રકૃતીને એ કાયમી લાંછન લગાડવા જેવું છે. અરે ઓ સીંહો! ઉભા થાઓ અને 'અમે ઘેટાં છીએ' એવા ભ્રમને ખંખેરી નાખો; તમે અમર આત્માઓ છો, મુક્ત છો, ધન્ય છો, નીત્ય છો; તમે જડ પદાર્થ નથી, શરીર નથી; જડ પદાર્થ તમારો દાસ છે, તમે એના દાસ નથી.

2. જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: 'જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.' નવો ધર્મ કહે છે: 'જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.'

3. શ્રદ્ધા, શ્રદ્ધા, પોતાની જાતમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા - આ છે મહાનતાનું રહસ્ય. તમારા તેંત્રીસ કરોડ દેવતાઓમાં તમે શ્રધ્ધા ધરાવો અને પરદેશીઓએ તમારી સમક્ષ આણેલા તમામ દેવતાઓમાં તમે શ્રદ્ધા રાખો - અને એમ છતાં તમારી જાતમાં કશી શ્રદ્ધા ન ધરાવો તો તમને મુક્તીની પ્રાપ્તી થઈ શકે નહીં. આત્મશ્રદ્ધા કેળવો; એ શ્રદ્ધાના પાયા ઉપર ઉભા રહો અને બળવાન બનો.

4. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છાશક્તી હોવાં જોઈએ. ખંતીલો માણસ કહે છે: 'હું સાગરને પી જઈશ, મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભુસ થઈને તુટી પડશે.' આવા પ્રકારની શક્તી પ્રાપ્ત કરો, આવા પ્રકારની ઈચ્છાશક્તી દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરુર તમે ધ્યેયને પામી શકશો.

5. મહત્ત્વનો મુદ્દો આ છે; બળ એટલે જીવન; નીર્બળતા એટલે મૃત્યુ. બળ એટલે સુખ, શાશ્વત, અમર જીવન; નીર્બળતા એટલે સતત તાણ અને યાતના; નીર્બળતા એટલે જીવનનો ક્ષય.

6. જગતને થોડાં વીર સ્ત્રીપુરુષોની જરુર છે. એવી વીરતાનું આચરણ કરો, જે 'સત્ય'ને જાણવાનું સાહસ કરે, જીવનમાં તેને પ્રગટ કરવાની હીંમત દાખવે, જે મૃત્યુ સમક્ષ થરથર ધ્રુજે નહીં - પણ તેનું અભીવાદન કરે અને મનુષ્યને પ્રતીતી કરાવે કે એ પોતે અમર આત્મા છે અને સમગ્ર બ્રહ્માંડમાં કોઈ તેને હણી શકે નહીં, ત્યારે તમે મુક્ત થશો.

7. કાર્ય કરવું એ ઘણું સારું છે. પરંતુ તે વીચારમાંથી આવે છે... માટે મસ્તીષ્કને ઉન્નત વીચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને અહર્નીશ તમારી દ્રષ્ટી સમક્ષ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે.

8. જગતની દુષ્ટતાની અને તેનાં પાપોની વાત નહીં કરો. હજી તમારે એ દુષ્ટતા જોવી પડે છે એથી ખેદ અનુભવો. હજી પણ સર્વત્ર તમારે પાપનું દર્શન કરવું પડે છે એથી આંસુ સારો; અને તમારે જો જગતને સહાય કરવી જ હોય તો તમે તેની નીંદા નહીં કરો, તેને વધુ કમજોર નહીં બનાવો. આખરે તો પાપ કે દુઃખ એટલે શું? એ બધું કમજોરીનું પરીણામ નહીં તો બીજું શું છે? આવા ઉપદેશો જગતને દીનપ્રતીદીન વધુ ને વધુ કમજોર બનાવી રહ્યા છે.

9. બાલ્યકાળથી જ એમનાં મસ્તકમાં નીશ્ચીત, દ્રઢ અને સહાયક વીચારોનો પ્રવેશ થવા દો. આવા વીચારો પ્રત્યે તમારી જાતને અભીમુખ કરો, જીવનને કમજોર અને નીષ્ક્રીય બનાવે એવા વીચારો પ્રત્યે નહીં.

10. નીષ્ફળતાઓની ચીંતા કરશો નહીં; તેઓ તદ્દન સ્વાભાવીક છે, જીવનમાં સૌંદર્યરુપ છે. એમના વગરનું જીવન કેવું હોય? જો સંઘર્ષો ન હોય તો જીવનની પ્રાપ્તીનું પણ કશું જ મુલ્ય નથી. એમના વીના જીવનનું કાવ્ય પણ ક્યાં હોય? સંઘર્ષોની, ભુલોની પરવા કરશો નહીં. મેં કોઈ ગાયને જુઠું બોલતી કદાપી સાંભળી નથી, પણ એ તો ગાયની કોટી થઈ, માણસની નહીં. એટલે આ નાની નાની નીષ્ફળતાઓની, નાનાં નાનાં સ્ખલનોની, પરવા કરશો નહીં. તમારા આદર્શને હજારવાર ઉંચો ધરી રાખો અને જો હજારવાર નીષ્ફળતા સાંપડે તો વધુ વખત પ્રયત્નો ચાલુ રાખો.
-------------------------------------------
સાભાર, 'શક્તિદાયી વિચાર - સ્વામી વિવેકાનંદ' શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી લીધેલ અંશો.

Monday, December 24, 2007

લાજો મનુષ્ય

લાજો મનુષ્ય - બંસીધર પટેલ Apr 02, 1994

કાળનું વહેણ પલટાઈ રહ્યું, કે વખના વાયરા વાઈ રહ્યા.
વળી રહ્યું છે મીંડું કે સંસ્કાર સઘળા ધીમેથી લોપાઈ રહ્યા.
દુર-દર્શન હોય કે રેડીયો, સીનેમા; અશ્લીલતા ખુલ્લી નાચી રહી.
કુમળા બાળ-માનસ મુરઝાઈ રહ્યા, વડીલોના વાંકે શોષાઈ રહ્યા.

ભણતર બન્યું છે બદતર કે દફતરનું વહન વધી રહ્યું.
ગણતર વીનાનું ચણતર, પાયો કાચોકચ પડી રહ્યો.
થાશે શું આ સૃષ્ટીનું, મન મારું વીહ્વળ થઈ રહ્યું.
ના સુણે કોઈ કોઈનું, પ્રેમ-સ્નેહ-સગાઈ ફેંકાઈ રહી.

નારીના દેહતણું થાય છે લીલામ ખુલ્લા બજારમાં.
નીચી મુંડીએ નીરખી રહ્યા સહુ બનીને ભીષ્મ પીતામહ.
ખેંચાય છે વસ્ત્ર સચ્ચાઈના, નથી પડી કોઈ કોઈની સ્વાર્થમાં.
ભ્રષ્ટાચાર પથરાઈ ગયો, આચાર-વીચાર ગયા મહાસાગરમાં.

વીશ્વની જનેતા નાખે નીઃસાસા, નથી કોઈ તારણહાર.
કુદકે ને ભુસકે વધતી વસતી, ભાર ભોમનો અતી મારણહાર.
ભણેલા-અભણ સહુ વરતી રહ્યા, ગળાકાપ હરીફાઈ થકી.
ના રહેશે કોઈ કોઈનું ભલા, પ્રલય પણ થરથર કંપી રહ્યો.

બનીને રાંક ઓ મનુના વંશજ, શાને હરખાઈ રહ્યો?
રાંડ્યા પછીનું ડહાપણ તારું, ના લાગશે લગીરે કામ અહી.
ચેતી જા ભલા, પામર, દુષ્ટ માનવી, શરમાઈ રહી તારી ભોમકા.
પ્રભુ પણ પછતાઈ રહ્યો તારા થકી, ઓ વાનરના વંશજ આદી.

ઉગે છે સુર્ય પુર્વમાં, લઈને નવી ક્ષીતીજ પ્રકાશની.
લઈને કંઈક શીખ, ઓ મુરખ મનવા, મુક તમા જગતની.
રાત્રી-દીન, સવાર-સાંજ બસ ધારણા એક ઈશ્વરની.
ઉગારજો આ મનખ જનાવરને, કરીને માફ સર્વે થાયે ભલો.

કાળ

કાળ - બંસીધર પટેલ Apr 02, 1994

કદીક વાગોળું હું મારા ભુતકાળને,
આંખો મીચાઈ જાય છે અતીતનાં ઉંડાણમાં.

નાંખીને દીર્ઘ નીઃસાસો નીશ્વાસનો,
મથી રહ્યો છું પ્રાસ લેવા જીંદગી તણો.

નીર્દોષ, નીષ્કપટ, નીર્વ્યાજ પ્રેમ શીશુ તણો,
વીસરાઈ ગયો, વહી ગયો વખતની થપાટમાં.

જીંદગીના ઝંઝાવાતમાં જુવાની ઝંખવાઈ ગઈ,
આધેડ વયનો વયસ્ક બની વયની થપાટ લાગી રહી.

શું શું સપનોનો સાંકળો તાણી રચી હતી જાળ,
પીંખાઈ ગયો માળો, પીંછાં બધાં તીતર-બીતર બની.

વીતેલો વસમો કાળ, હજી નથી કપાઈ રહ્યો,
ત્યાં તો સામે આવી ઉભું જરા-વ્યાધી તણું લંગર સહુ.

સંસારના વમળમાં વીંટળાઈ રહ્યો ખુબ,
શોધમાં સુખ-સગવડ તણી, ભટકી રહ્યો ભવસાગર મહીં.

અતીત સારો કે વર્તમાન, મન ચગડોળે ચઢ્યું,
ત્યાં આવ્યો વીચાર ભાવી-તણો, આપી અણસાર અતીતનો.

વીધીએ લખ્યું જેહ ના મીથ્યા થાયે કદી,
ચાલશે એમ જ ગાડી, મનમાં હું આ વીચારી રહ્યો.

સમત્વ

સમત્વ - ચીરાગ પટેલ Nov 16, 2007

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ

આ શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને તેજસ્વી બનાવે, અમે એક્બીજાનો દ્વેષ ના કરીએ. અમને શાંતી પ્રાપ્ત થાઓ.

આ શ્લોકમાં જણાવેલ સમત્વ કેટલી મોટી વૈચારીક ક્રાંતીનું નીમીત્ત બની શક્યુ હોત! પરંતુ, આપણે આ મંત્ર ગોખીને પઢતા રહ્યાં, વર્ષો સુધી! આપણા રોજીંદા જીવનની ઘટમાળથી લઈને, નોકરી-ધંધો, સમાજ, રાજકારણ, રાષ્ટ્રીયતા વગેરેને સ્પર્શતા મુદ્દાઓનો કેટલો સરસ ઉકેલ આ શ્લોકમાં રહેલો છે. આવી સ્પર્શતી બાબતો પર તો એક મહા-નીબંધ લખી શકાય. કીંતુ, આજે વાત કરીશું 'સમત્વ'ની એક અલગ કોણેથી.

આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને આજની તારીખમાં કરવાના કામોની યાદી બનાવીએ છીએ (ખરેખર?). આ તારીખ નક્કી કરવા માટે કેટલા બધાં પંચાંગ કે કેલેંડર છે! અને છતાં, આપણે ગ્રેગોરીયન કેલેંડર પર આજે સહમતી પર છીએ. સમય પાલનમાં આપણે 24કલાકની ઘડીયાળ અપનાવી લીધી છે. માપનની પધ્ધતી અને તોલમાપ માટે દુનીયામાં સહમતી છે (અમેરીકા કે ગણ્યાં ગાંઠ્યા દેશોને છોડીને). આપણે સીસ્ટમ ઈંટરનેશનલના ધારાધોરણ મુજબ મીટર, કીલોગ્રામ, સેકંડ, લીટર અપનાવી લીધા છે. દરેકે દરેક ક્ષેત્રમાં આજે દુનીયામાં સ્ટાન્ડર્ડ રખાતા થઈ ગયા છે, કે જેથી દુનીયાની મહત્તમ જનસંખ્યાને સુલભ ઉપલબ્ધી રહે. યુનીકોડ ફોંટ, 220 કે 110 વોલ્ટ, વીસીડી કે ડીવીડીની ફોર્મેટ, ઈલેક્ટ્રીક પ્લગનો આકાર, ટીવી પ્રસારણ માટેનો બેંડ, ટીવીસેટ, મોબાઈલ ફોનનો પ્રકાર, ફોન નમ્બર, પીન કોડ કે ઝીપ કોડ, વગેરે વગેરે વગેરે. યાદી કેટલી લાંબી થઈ શકે એનો અંદાજો પણ નથી. કલાપીની જેમ કહી શકાય? "જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની."

શું શાંતીપાઠનું ખરું પાલન થવું હવે જ શરું થયું છે? અને દુઃખની વાત એ છે કે, ભારત શાંતીપાઠ ગોખીને બેઠું રહ્યું અને પશ્ચીમે એનો ખરેખર અમલ કરી બતાવ્યો. આજની તારીખે પણ સ્ટાંડર્ડ નક્કી કરવામાં ભારત માત્ર અનુસરણ જ કરી રહ્યું છે. "દ્વેષ" તો ભારતના પ્રદેશો વચ્ચે કે એક જ પ્રદેશનાં લોકો વચ્ચેથી પણ દુર નથી થયો.

પ્રભુ, શાંતી, શાંતી, શાંતી (મારા મગજને ઠંડુ પાડ, પ્રભુ)!

માઈક્રો પ્રોસેસર

માઈક્રો પ્રોસેસર - ચીરાગ પટેલ Dec 24, 2007

માણસના શરીરમાં કેટલાં બધાં અવયવો છે! એમાંથી કેટલાંક દેખાય છે, જ્યારે કેટલાકનું કામ દેખાય છે. દરેક અવયવોને નીયંત્રીત કરતું અંગ છે - મગજ. જો મગજ બંધ તો બધું જ બંધ. દરેક જીવ કે યંત્રમાં કોઈ એક એવું અંગ હશે જ, કે જે સમગ્ર દેહ/યંત્રને સંચાલીત કરતું હશે. આ બ્લોગ (વીજાંશ) જે વીષયને સમજવા પ્રયત્ન કરે છે, તે કમ્પ્યુટર નામના યંત્રને આભારી છે. કમ્પ્યુટરને સંચાલીત/નીયંત્રીત કરતું અંગ છે - સેંટ્રલ પ્રોસેસીંગ યુનીટ (Central Processing Unit અથવા ટુંકમાં CPU). દરેક કમ્પ્યુટરમાં એક કે એકથી વધુ માઈક્રોપ્રેસેસર (Microprocessor) વડે સીપીયુ બને છે (આપણા મગજના જુદા જુદા ભાગ મળીને એક યુનીટ - મગજ બનાવે એ જ પ્રમાણે). માઈક્રોપ્રોસેસરમાં અસંખ્ય (કરોડોની સંખ્યામાં) સુક્ષ્મ ટ્રાંઝીસ્ટર(Transistor) હોય છે. મગજનાં જ્ઞાનતંતુઓની માફક જ આ બધાં ટ્રાંઝીસ્ટર ભેગાં મળીને કામ કરતાં હોય છે.

જેવી રીતે પ્રાણીની ઉત્ક્રાંતી થવાથી મગજનું કદ વધતું ગયું છે અને મગજની કામગીરી વધતી ચાલી છે, એવી જ રીતે માઈક્રોપ્રોસેસરની ક્ષમતામાં વધારો થતો જાય છે. Moore's Law (મુરનો નીયમ) પ્રમાણે દર 18 મહીને માઈક્રોપ્રોસેસરની ક્ષમતા બમણી થતી હોય છે. (એક ગુજરાતીને પોરસાવાનું આથી વધુ મોટું કારણ કયું હોય? જે રોકાણ 18 મહીને બમણું થતું હોય એમા કયો લાલો પાછો હટે?). પહેલવહેલા માઈક્રોપ્રોસેસરની જે ક્ષમતા હતી, એ કરતાં 1 કરોડગણી વધુ ક્ષમતા અને એના કરતાં 5મા ભાગનું કદ આજના પ્રોસેસરમાં છે! અને આ પ્રગતી માત્ર 25 વર્ષમાં જ થઈ છે (... ભારે ઝડપી ઉત્ક્રાંતી, ભારે કરી ... )!

આવા માઈક્રોપ્રોસેસરમાં ગાણીતીય અને તાર્કીક કામ કરવા માટે એ.એલ.યુ. (ALU or Airthmetic and Logic Unit) હોય છે. માહીતીનો સંગ્રહ કરવા મેમરી યુનીટ(MU or Memory Unit) હોય છે. કામકાજ કરવા હાથ-પગ જેવાં રજીસ્ટર (Registor) હોય છે. આ બધાં યુનીટ કેટલાં બીટની માહીતી એકસાથે આપ-લે કરે છે એના પરથી એમના નામ પડે છે. જેમ કે, 8-બીટ, 16-બીટ, 32-બીટ અને 64-બીટ મશીન. એટલે કે, માઈક્રોપ્રોસેસર એના એક કોળીયામાં આટલા બીટની ક્ષમતાનો માહીતીનો જથ્થો લઈ શકે છે (બસ, વધુમાં વધુ 64-બીટ? આપણે બંદા તો એક કોળીયામાં ચોખાનાં 150 દાણા ખાઈ શકીએ ;-) ). 8-બીટ એટલે 1 બાઈટ એવું યાદ છે ને?

પહેલ વહેલું માઈક્રોપ્રોસેસર ઈંટેલ (Intel) કમ્પનીએ 4004, ટેક્ષાસ ઈંસ્ટ્રુમેંટ્સ (Texas Instruments) TMS 1000, અને ગેરેટ એઆઈ રીસર્ચ (Garrett AiResearch) CADC બનાવ્યું હતું. આ ત્રણેય લગભગ સાથે-સાથે જ બઝારમાં મુકાયા હતાં. આ બધાં 1970ની આસપાસ 4-બીટના માઈક્રોપ્રોસેસર તરીકે આવ્યાં હતાં.

ડ્યુઅલ કોર પ્રોસેસર (Dual-core Processor) હવે વપરાશમાં આવતાં જાય છે. 64-બીટના પ્રોસેસરનું કદ એટલું જ રાખીને એમાં બે પ્રોસેસર ફીટ કરવાથી ડ્યુઅલ કોર પ્રોસેસર બને છે (આપણી એક ખોપરીની અંદર, ખોપરીનું કદ વધાર્યા વગર બે મગજ ફીટ કરી દઈએ, એવું)! એ જ પ્રમાણે હવે તો ક્વૅડ કોર (Quad-core) અને એઈટ કોર (Eight-core) પ્રોસેસર અમુક હાઈ-પ્રોસેસીંગ સીસ્ટમમાં વપરાય છે (એક જ ખોપરીમાં આઠ મગજ!!!).

આપણે બોલચાલની ભાષાને સાંકેતીક શબ્દોમાં ફેરવીએ તો અક્ષરોની સંખ્યા ઘટાડી શકીએ. ૐ કે સ્વસ્તીક આનું પ્રાચીન ઉદાહરણ છે. એ પ્રમાણે માઈક્રોપ્રોસેસરની માહીતીની આપ-લે કરવાની જે ભાષા છે, એના શબ્દો ઘટાડીને જે માઈક્રોપ્રોસેસર બને છે એમને રીસ્ક પ્રોસેસર (RISC or Reduced Instruction Set Computer) કહે છે. માઈક્રોપ્રોસેસરની ભાષાને એસેમ્બ્લી લેંગ્વેજ (Assembly Language) કહે છે. એમાં પણ પ્રગતી થઈને હવે 64-બીટ પ્રોસેસર મળે છે એને સીસ્ક (CISC or Complex Instruction Set Computer) કહેવાય છે. આમ, માઈક્રોપ્રોસેસરનું કદ, માહીતી આપ-લે ક્ષમતા, ભાષા દરેકમાં ધરખમ ફેરફાર આવતાં જ જાય છે. (આપણે આપણા વીચારોને ભાષાનાં વાઘાં પહેરાવ્યાં વગર જ્ઞાનતંતુઓની આપ-લેની વીજ-રાસાયણીક ભાષામાં વાત કરી શકીએ?)

માઈક્રોપ્રોસેસરને માઈક્રોકંટ્રોલર (Micro-controller), ડીજીટલ સીગ્નલ પ્રોસેસર (Digital Signal Processor or DSP), સીસ્ટમ ઓન ચીપ (SoC or System-on-Chip) વગેરે નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ કામ માટે વપરાતાં માઈક્રોપ્રોસેસરને જે તે કામ મુજબનું નામ આપવામાં આવે છે. જેમ કે, ગ્રાફીક્સનું કામ કરતાં પ્રોસેસરને GPU or Graphics Processing Unit કહે છે.

જુદી-જુદી કમ્પનીના પ્રોસેસરની ડીઝાઈનમાં થોડાં પાયાનાં ફેરફાર હોય છે. ઈંટેલના પ્રોસેસર લીટલ એંડીયન(Little Endian) કહેવાય છે, જ્યારે પાવર પીસી (PowerPC) બીગ એંડીયન (Big Endian) કહેવાય છે. 32-બીટ પ્રોસેસર હોય અને લીટલ એંડીયન હોય તો બીટ 0નું સ્થાન જમણી બાજુ હોય અને બીટ 31 ડાબી બાજુ હોય, જ્યારે બીગ એંડીયનમાં બીટ 0નું સ્થાન ડાબી બાજુ અને બીટ 31નું સ્થાન જમણી બાજુ હોય (આપણે આપણું મોઢું અરીસામાં જોઈએ તો કેવું પ્રતીબીંબ કેવું પલટાયેલું લાગે છે, એવું જ).

કેટલાંક પ્રચલીત પ્રોસેસર બ્રાંડ: 65xx, ARM, RCA, DEC, Intel, MIPS, Motorola 6800, IBM POWER, OpenRISC, PA-RISC, SPARC, AMD, Xilinx વગેરે.

ઈતીશ્રી માઈક્રોપ્રોસેસર કથાયૈ નમઃ॥

Saturday, December 08, 2007

ધૈર્ય

ધૈર્ય - બંસીધર પટેલ Nov 16, 1994

ધૈર્ય ધરો ઓ મનવા,
કાળની થાપટ ખાઈને.

ઉડતાં પંખેરું નીલ ગગનમાં,
એ જ ધૈર્યનાં વીશ્વાસે.

તૃષા હોય બેહદ જીવન જળની,
ભમતું એ વીહગ સ્વબળે.

ઉતાર-ચઢાવ વાળો જીવન તણો એ રાહ,
વીશ્વાસ સ્વ તણો કરે પાર.

જીવનપુષ્પ

જીવનપુષ્પ - બંસીધર પટેલ Nov 16, 1994

ખીલેલું એ પુષ્પ ઉપવનની શી શોભા ન્યારી,
ભરીને અરમાનો તણા આભ, ઉમંગે કુદે બલીહારી.
વીવીધ રંગો, ભાત-જાત ઘણી, કરામત પ્રભુની પ્યારી;
તાજગીથી તરબોળ સ્મીત, કેટલી ઉર્મીઓ ઉછાળા મારતી.

ભલે હોય અલ્પાયુ, છતાં દેવશીરે પ્યારું;
કરમાય છતાં એ ના વીસરે સ્મીત અતી રુપાળું.
મર્યાદા જીવનતણી, રાખે એ સદાય તરવરતું;
આપે રુડી શીખ, ઉર્મીઓના ઉદધી પ્રસરાવતું.

સુવાસ તણો સહારો એ કદીય ના વીસરતું;
જડેલી જન્મ-જીવન-મૃત્યુ લગી, પરસ્પર સંવારતું.
છોને થાય નાશ જીવનનો, રહેતી સુવાસ નીખારતું;
બાળ સહજ એ હાસ્ય, સદાય ઉપવનને શોભાવતું.

વહેવાર

વહેવાર - બંસીધર પટેલ Nov 16, 1994
વહેવાર બન્યાં છે શુષ્ક,
દુકાળ પડ્યો છે કાળનો.

આથમે ઉગે નીત્ય સુરજ,
એ નીત્યક્રમ કદી ના ચુકતો.

મોંઘવારીનો ભોરીંગ ફુંફાડા મારતો,
સસ્તો બન્યો છે એક મનુષ્ય.

મારી-તારી ને કાપા-કાપી,
એક વહેવાર એ જ જગતનો.

નવલું પ્રભાતનું નજરાણું,
કે આથમતો એ ક્ષીતીજમાં.

રહે સદાયે અડગ નીજ પથમાં,
ના ચુકતો એ કદીયે વહેવાર.

કેવી ઘંટી

કેવી ઘંટી - બંસીધર પટેલ Nov 16, 1994

કહેવું શું આજની આ જંજાળને,
ભમે છે બનીને વાનરસેના.

ભણતર ગણતરનું નામો નથી નીશાન,
ટીવી, ટેપ વ્યસન તણાં અનીષ્ટ.

વહે છે ઉલટી ગંગા, લઈ ડુબાડશે સંસ્કૃતી,
વાંસ-વાંસળીની ઉક્તી કહે સહી.

દલીલબાજીની વીંઝી તલવાર કરે અપમાન,
વડીલ-ગુરુ-મા-બાપનું બેહદ.

પહેરવેશનું પણ નથી લગારે ભાન,
મુખતણું તેજ સહુ શુષ્ક ભાસે.

નરમાંથી બને નારી, સ્ત્રી પણ બને પુરુષ,
બહુરુપીના ખેલ બધાં ન્યારા.

વર્તુળની વ્યાખ્યા ઘણી પ્યારી દેતી શીખ,
જ્યાંથી કરેલ શરું ત્યાં જ પુનઃ પધારતાં.

સમયની સરગમ સાધે અકળ ભવીષ્યનું,
કરશે કોળીયો, લગીરે ના વાર ક્ષણની.

ચેતવું હોય તો ચેતજો, ઓ નર-નાર જગતનાં,
પીસે ઘંટીમાં બારીક, દેખે ખેલ સહુ ઉપરવાળો.

સમય સાથી

સમય સાથી - બંસીધર પટેલ

પળ, દીવસને રાત વહી, વરસોનાં વાયા વહાણાં;
બાળક, જુવાનને પ્રૌઢ મટી, વીતાવ્યાં વરસ અતીઘણાં.
દાઢી, મુછ ને માથે સફેદી, શ્વેત રંગ તે ધર્યો બહુધારી;
અંગ, બંગ સહુ બન્યાં છે વેરી, ઢીંચણમાં વા ગયો છે પ્રસરી;
કર્ણ, નયન, મુખ બન્યા અબુધ, દેતા હોંકારો બેવાર તડુકી.

છોને બન્યા વહુ, સુત સહુ વેરી, સાથ સમાગમ આતમનો;
ભણતર, ગણતર ના બન્યાં કોઈ પ્રેમી, મીલકત, માલ તમામનો.
હેલાં, હલેસાં, ખાતા, માતા છીએ કેદી, ધાન ગરજની આપ્તજનોની;
મેણાં, ટોણાં મળે મફતમાં, કાળને પાછો ઠેલી, મળે ના પ્રેમ સકળજનોના.

હાથવગાં છે સ્નેહી મારા, ટોપી, તીલક ને લાકડી;
સવાર પડે કે સાંજે મળતાં, સમદુઃખીયા સહુ લાડથી.
ચોતરો બન્યો છે આધાર અમારો, ચર્ચા, વાર્તા કરતાં સહુ વ્હાલથી;
શ્વાસ - પ્રશ્વાસ છે ભેરુ અમારા, પડી ના કોઈ પથવારની.

Sunday, December 02, 2007

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી

અર્થવીસ્તાર: અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ Dec 02, 2007

મેં "અવતારની લીલા સમાપ્તી" પર જે કલ્પના લખી હતી, એનો અર્થવીસ્તાર નીચે રજુ કરી રહ્યો છું. દરેક પંક્તી મુળ લેખમાંથી લઈને નીચે એનો અર્થ સમજાવ્યો છે.
-------------------------------
ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.

કલ્પનાની શરુઆત થાય છે શ્યામલ વાદળો આકાશમાં છવાય છે. કોઈ પણ સમયે મેઘીલ વાદળો એક પ્રકારનો રોમાંસ જન્માવતા હોય છે. એના લાગણી-પ્રવાહથી કોણ અછુતો રહી શકે? અને એવાં શ્યામલ મેઘભરી અમાસની રાત્રીએ પૃથ્વી પરથી આકાશ કેવું ભાસે? જાણે કે, આખું આકાશ શ્યામરંગી ધાબળો ઓઢીને ઉંઘી રહ્યું હોય! એવા સમયે, સીધ્ધ/સંત/અવતાર પુરુષ/સ્ત્રી પોતાનો ક્ષર-દેહ ત્યજીને અક્ષર-પડાવે ગંતવ્ય થાય છે.

શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.

થોડી ગતી બાદ, એ આત્મા આકાશને પાછળ છોડીને અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે તેને શું દેખાય છે? ચન્દ્રનો શીતળ પ્રકાશ એક બાજુ રેલાઈ રહ્યો છે, અને સુર્યનો નારંગી/પીળો પ્રકાશ બીજી બાજુ રેલાઈ રહ્યો છે. સુર્ય જાણે શરમીંદગી અનુભવતો લાગે છે. અવકાશના અનંત વીસ્તૃત પટમાં નાના-નાના અસંખ્ય તારાઓ ટમટમે છે.

ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
અવકાશમાં આગળ ગતી કરતો એ આત્મા ક્ષણાર્ધમાં નાશ પામતી ઉલ્કાઓના સંસર્ગમાં આવે છે.

નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.

પ્રવાસી આગળ અને આગળ વધતો સુર્યમાળાના છેલ્લા ગ્રહ 'પ્લુટો' કે 'યમ'ને વળોટી રહ્યો છે. એવે વખતે, તે નવ ગ્રહો જાણે કોઈ માળાનાં મણકાં હોય, એવું જોઈ રહ્યો છે. હજુ આગળ વધતાં, તેને 'ઉર્ટ'ના વાદળ તરીકે ઓળખાતા લાખો ધુમકેતુઓનાં સ્થાનનો ભેટો થાય છે. આ વાદળમાંથી કેટલાંય ધુમકેતુ સુર્ય તરફ આકર્ષાઈને લંબવર્તુળીય કક્ષામાં ભ્રમણ શરું કરતા હોય છે.

મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.

ઉર્ટના વાદળને પાર કરતાં જ, પ્રવાસી બાહ્યાવકાશમાં પ્રવેશે છે. વાહ, કેવો અદ્ભુત નઝારો! કેટકેટલી આકાશગંગાઓ તેને જોવા મળે છે. ક્યાંક-ક્યાંક આજુબાજુના પદાર્થો (સુર્ય જેવા તારાઓ)ને નીગળી જતાં કૃષ્ણ-વીવરો (બ્લેક હોલ) તે જુએ છે. ઘણી જગ્યે તો આ કૃષ્ણ-વીવર અને શ્વેત-વીવર (વ્હાઈટ હોલ) જોડાયેલાં બોગદા જેવા ભાસે છે. શ્વેત-વીવરો, કૃષ્ણ-વીવરોથી ઉલટું એટલે કે, નવાં-નવાં પદાર્થોને જન્મ આપવાનું કામ કરે છે. જાણે કે, પ્રચંડ ઉર્જાનાં સ્ફોટ થતાં હોય એવું જગત ભાસી રહ્યું છે.

ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણની અનંત અંતર સુધી વીસ્તૃત એવી અદ્રશ્ય ચાદરથી ઝીલાયેલું હોય તેવું લાગે છે.

શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
આપણે સેલ્સીયસ કે ફેરનહાઈટમાં તાપમાન માપીએ છીએ. પરંતુ, વૈજ્ઞાનીકો કેલ્વીનમાં તાપમાન માપતા હોય છે. સેલ્સીયસ તાપમાનમાં 273 ઉમેરતાં કેલ્વીનમાં આંકડો મળે. જેમ કે, 0 સેલ્સીયસ (પાણીના બરફનું તાપમાન) એટલે 273 કેલ્વીન અને 100 સેલ્સીયસ (પાણીની વરાળ) એટલે 373 કેલ્વીન. 0 કેલ્વીન એટલે કે -273 સેલ્સીયસ તાપમાને પદાર્થમાં રહેલાં સબ-એટમીક પાર્ટીકલ (ઈલેક્ટ્રોન) ગતી કરતાં અટકી જાય છે (પદાર્થની આ અવસ્થાને 'બોઝ-આઈંસ્ટાઈન કંડેંસેટ' કહે છે). વૈજ્ઞાનીકોએ એવું સાબીત કર્યું છે કે, બ્રહ્માંડની પૃષ્ઠભુમી (બેકગ્રાઉંડ)નું તાપમાન 3 કેલ્વીન જેટલું હોય છે, અર્થાત એ ઓછામાં ઓછું આટલું ગરમ (?) હોય છે. આપણા પ્રવાસીને બ્રહ્માંડના શુન્યાવકાશમાં આ ગરમીનો એહસાસ થાય છે!

વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
બ્રહ્માંડનો મોટોભાગ મહત-તત્વમાંથી બનેલો છે. પરંતુ, એ તત્વ કોઈ પણ રીતે આપણે જોઈ કે અનુભવી શકતા નથી. આત્માને આ તત્વનો ભાસ થવા લાગે છે. સૃષ્ટીનું રહસ્ય જાણે તેની સમક્ષ પ્રગટ થવા મથી રહ્યું છે.

અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
ક્યાંય પણ કોઈ પણ સાથી વગર, પ્રવાસી આત્મા ગંતવ્ય સ્થાન તરફ ધસમસી રહ્યો છે. તેને પોતે કોણ છે, એનો અનુભવ થવા લાગે છે. મુળ સ્વરુપ તેની આગળ પ્રગટ થવા જ આવી રહ્યું છે.

દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.

શાશ્વત શાંતીમાં પણ અનહદ આનંદ હોય છે. આ જ આનંદ એક પ્રકારના ભાવ જગતને આંદોલીત કરતો હોય છે. આંદોલન જે વમળો જન્માવે છે, એ એક પ્રકારના અવાજનાં કંપનો જેવાં કંપનો જ હોય છે. આ કંપનો હવે આત્મા સાંભળી શકે છે! કોઈ પણ બાહ્ય-ઈન્દ્રીયો વગર આ કંપનો અનુભવાય છે!

મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

પ્રવાસી હવે બ્રહ્માંડની પરીમીતી ઓળંગવાની તૈયારીમાં છે. તેને થોડે જ દુર સમગ્ર સ્થાનને ભરી દેતો અને સંચાલીત કરતો પ્રકાશ દેખાય છે. એ જ છે સર્વ-શક્તીમાન, પરમ-આત્મા, પ્રભુ, ઈશ્વર, કૃષ્ણ, જગદંબા? આવો આ પ્રકાશ એક વીશાળ સમુદ્ર જેવો ભાસે છે. આ સમુદ્રમાં બ્રહ્માંડ જાણે તરી રહ્યું હોય એમ લાગે છે. આ બ્રહ્માંડની સીમાને ભેદીને હવે પ્રવાસી આત્મા એક અગ્ની-શીખા સો લાગી રહ્યો છે. આ અગ્ની-શાખા પ્રકાશ-સમુદ્રમાં ભળી જાય છે. પ્રવાસનો અંત આવે છે. ઓમકારનાં 'મ'કારનું કંપન પુરું થાય છે. અહીં, એવી કલ્પના કરવામાં આવી છે કે, જ્યારે જ્યારે પ્રકાશ-સમુદ્રમાં 'અ'કારનાં કંપનો જન્મે છે, ત્યારે અનંત-પ્રકાશ-સમુદ્ર પૃથ્વી પર કોઈ સીધ્ધ/સંત/અવતારને જન્મ આપે છે. 'ઉ'કારન કંપનો રહે ત્યાં સુધી એનું જીવન રહે છે. અને 'મ'કારની શરુઆત થતાં જ તે દેહ છોડીને 'મ'કારનાં કંપનો પુરા થતાં જ પાછો અનંતમાં ભળી જાય છે.

Wednesday, November 28, 2007

ગીતા મારી માત

ગીતા મારી માત - બંસીધર પટેલ

સમય સારથી, દેહ રથ, મન અશ્વ, આતમ છે અર્જુન;
ના-મરદને પણ મરદ બનાવે, એ દીવ્ય ગીતાકેરું જ્ઞાન.

વીજ્ઞાન પણ અસમર્થ છે, ગીતાજ્ઞાન સનાતન સત્યદ્યોતક;
મીઠાની પુતળી નીસરી માપવા ગહેરાઈ સમંદરની, સમાણી સદેહે.

સોળે કળાએ સંપન્ન જ્ઞાન, જીવનકળાની ખરે જ પ્રયોગશાળા;
નથી ઉણપ કોઈ વીષયની, ઉભા કર્યા કંઈ પાર્થને ધનુષબાણ લઈ.

નથી સગા સાચા કોઈ, દુનીયા દોરંગી, કપટી સ્વાર્થનું ભાન કરાવી;
આપ્યો ઉપદેશ યોગેશ્વરે અતીગહન, પામવા મથતા ગુરુજન ઋષીઓ.

કર્મ, ધર્મ, જ્ઞાન તણો સંગમ અનેરો પાવન, મન મેલ ધોઈ દેનારો;
અભડાયેલા, અટવાયેલા, સંસારદાહથી દઝાયેલા બહુજન.

મળે છે શાતા, ચીર શાંતી વીપુલ, જ્ઞાનનો ભંડાર ધરખમ ખરો;
ભાંગ્યા જનોની ભેરુ સાચી, માત ગીતા દુઃખ વીદારનારી.

બનીને કર્મઠ યોધ્ધા, થાઓ ઉભા ઓ દુનીયાના પાર્થ સર્વે;
લડો સામી છાતીએ, કર્મ-જ્ઞાનરુપી ધનુષબાણના સથવારે.

સોડલા તાણીને ઉંઘ્યા ખુબ, ના જોયું કદી કલ્પવૃક્ષ ગીતા ભણી;
સંસ્કૃતીના આધારસ્થંભ ચાર, ગીતા, ગાય, ગંગા, ગાયત્રી.

મજબુત હોય જો ચારેય સ્થંભ, ઈમારત ટકે ચીરકાળ લગી;
ગીતા એવો આધારસ્થંભ, ના ખરે કાંકરી, અડીખમ ઉભી.

મલેચ્છોએ કર્યા વાર, ના થયો ઘા, એવી દીવ્યશક્તી;
ધર્મ, અર્થ, કામ અરુ મોક્ષ, ચતુર્વીધ ફળપ્રદાયીની.

માંગો જે બધું મળશે મહીં, ખોલી જુઓ ગીતામાતને;
ધરતી પરનું સાચું સ્વર્ગ, કલ્પવૃક્ષ જનની ગીતાભારતી.

Sunday, November 04, 2007

યુનીકોડ ફોંટ

યુનીકોડ ફોંટ - ચીરાગ પટેલ Nov 04, 2006

આપણે જોઈ ગયા, કે દરેક કેરેક્ટરને એક ચોક્કસ બાઈટ સંખ્યા વડે દર્શાવાય છે. એક બાઈટ, એટલે 8 બીટ અથવા 2 નીબલ, વડે 0થી લઈને 255 સુધીની જ સંખ્યા સમાવી શકાય. એટલે પ્રચલીત ભાષાઓમાં લખાણ માટે જે તે ફોંટ બનાવનારે આ મર્યાદામાં રહીને જ અક્ષરો દર્શાવવાના થયાં. અને એમાં પણ ભારે ઉથલ-પાથલ મચી ગઈ. એક જણે ગુજરાતીના 'ક' માટે 78નો અંક રાખ્યો અને બીજાએ 98નો અંક રાખ્યો. આમ, એક ફોંટમાં લખેલી ફાઈલને ખોલવા માટે બીજો ફોંટ લગભગ નકામો! અને વીચારો કે ગુજરાતીમાં લખેલી ફાઈલને ઈંગ્લીશ કે અરેબીકમાં ખોલીએ તો...

આ બધી અંધાધુંધી જો કે ઈંગ્લીશ સીવાયની લીપી માટે રહી. ઈંગ્લીશમાં તો જુદાં જુદાં ફોંટ વાપરવા છતાં અક્ષરો દર્શાવવાની સંખ્યા તો ચોક્કસ જ રહી. એટલે, ટાઈમ્સમાં લખેલી ફાઈલ એરીયલ ફોંટ વડે ખુલે તો ખરી જ. માત્ર, જે તે અક્ષરના વળાંકો અલગ રીતે જોવા મળે. આવું કાંઈક બીજી બધી લીપી માટે વીચારી શકાય?

આ જ પ્રશ્નમાંથી યુનીકોડને નીયમબધ્ધ કરવાની શરતો નક્કી થઈ. યુનીકોડમાં UTF-7, UTF-8, UTF-16 વગેરે અલગ-અલગ નીયમો પ્રચલીત થયા. અને યુનીકોડમાં ફોંટ બનાવવા માટે બે બાઈટનો ઉપયોગ કરવાનું વીચારાયું. આમ, બે બાઈટ વડે 0થી લઈને 65535 સુધીની સંખ્યા લખી શકાય, એટલે દુનીયાની દરેક પ્રચલીત લીપી માટે ચોક્કસ સંખ્યા-ગાળો નક્કી કરવામાં આવ્યો. હવે તો, 4 બાઈટના યુનીકોડ વીશે પણ વીચારણા ચાલી રહી છે! એટલે 0થી લઈને 65535 * 65535 સુધીની સંખ્યા દર્શાવી શકાય!

UTF-8 એ આસ્કી કેરેક્ટર સાથે સારી રીતે સુસંગત થાય છે, એટલે વધુ પ્રચલીત છે. આપણે, લીપી પ્રમાણે થોડી સંખ્યાઓ જોઈએ.

દેવનાગરી - 0x0900 - 0x097f
ગુજરાતી - 0x0a80 - 0x0aff

વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Basic_Multilingual_Plane#Basic_Multilingual_Plane

હવે, ગુજરાતીના દરેક અક્ષર માટે ઉપર દર્શાવેલા અંતરાલમાંથી એક ચોક્કસ સંખ્યા નક્કી થઈ છે. જેમ કે, 'ક' માટે 0x0a95, 'ૐ' માટે 0x0ad0, વગેરે. વધુ માહીતી માટે જુઓ: http://en.wikipedia.org/wiki/Gujarati_script

વીંડોઝ એક્ષ.પી. સાથે શ્રુતી ફોંટ આવે છે જે યુનીકોડ છે. એ ફોંટમાં લખેલી ફાઈલને બીજા કોઈ યુનીકોડ ફોંટ વડે ખોલીએ તો આપણને 'ક' જ્યાં હોય ત્યાં જ દેખાશે, પરંતુ એ જુદા ફોંટ વડે મરોડમાં થોડો ફેર હોઈ શકે. આમ, યુનીકોડ વડે દરેક અક્ષરનું ચોક્કસ સંખ્યા-સ્થાન નક્કી થઈ ગયું છે, જેણે ઈંટરનેટના વપરાશમાં ક્રાંતી લાવી દીધી. પહેલાં તો જે તે વેબ-સાઈટ પોતાના ફોંટ બનાવે જે ડાઉનલોડ કરવા પડે, અને તો જ જે તે સાઈટ દેખાય. જ્યારે હવે તો, યુનીકોડમાં બનેલી સાઈટ જોવા એવું કરવાની જરુર નથી પડતી (જો કે, અમુક અપવાદ હોઈ શકે છે).

www.bhashaindia.com પરથી આસ્કી <-> યુનીકોડ બન્ને રીતે ફાઈલને પરીવર્તીત કરવાને યુટીલીટી ડાઉનલોડ કરી શકાય છે (TBILconverter). વિશાલે પણ www.gurjardesh.com પર ઓનલાઈન યુટીલીટી મુકી છે.

Friday, November 02, 2007

અવતારની લીલા સમાપ્તી

અવતારની લીલા સમાપ્તી - ચીરાગ પટેલ

ઘનઘોર વાદળો.
કાજળઘેરી રાત.
શ્યામ રંગે ઉંઘતુ આકાશ.
શીતળતા બક્ષતો ચન્દ્રમા.
શરમના શેરડા પાડતો સુર્ય.
ટમટમતા તારલા.
ઝબકીને ઝાકળવત જીવતી ઉલ્કાઓ.
નવ ગ્રહોથી અનુપમ શોભતી માળા.
ધુમકેતુઓની ધુમ્રસેરોનો પડાવ.
મનોહારીણી આકાશગંગાનો ઝગમગતો પટ.
અબજો ટન ઓહીયા કરતા કૃષ્ણ-વીવરો.
શક્તીનો મહાવીસ્ફોટ કરતા શ્વેત-વીવરો.
ગુરુત્વાકર્ષણની ચાદરથી બન્ધાયેલુ વીશ્વ.
શુન્યમા અનુભવાતી સુક્ષ્મ ઉષ્ણતા.
વણજોયેલુ અનુભવાતુ મહત-તત્વ.
અફાટ અને વીરાન એકલતામા અસ્તીત્વનો આભાસ.
દુર-સુદુર સમ્ભળાતો ચીર-પરીચીત શાશ્વત શાંતીનો આંતર્નાદ.
હ્રદય વગર અનુભવાતુ આનન્દોર્મીઓનુ દોલન.
મન વગર દેખાતો અસ્તીત્વને ઝમકોરતો સર્વસ્વનો પ્રકાશ.
એક વીશાળ પરપોટા જેવુ દેખાતુ બ્રહ્માંડ.
એને ભેદીને એક સમુદ્રમા ઉઠતી અગનજ્વાળા.
એ અગ્નીશાખાનુ અધોગમન અને ઓમકારના ‘મ’ ધ્વનીનુ શમન.
એક સીધ્ધ, સંત કે અવતારનો ઉદ્ભવ અને ઉદ્દેશ્ય પુર્ણ થતા સ્વગ્રુહે આગમન.

Tuesday, October 30, 2007

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ?

બ્રહ્માંડનાં કેટલાં પરીમાણ? - ચીરાગ પટેલ Oct 30, 2007

આપણે કેટલાં પરીમાણો અનુભવી શકીએ છીએ? ત્રણ, ચાર? હા, આપણે ઈંદ્રીયો દ્વારા લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને સમયને અનુભવી શકીએ છીએ. અને આપણે આ ચાર પરીમાણમાં વીચારી કે કામ કરી શકીએ છીએ. આપણને આ બાબતે ગણીત ખુબ જ મદદરુપ થાય છે. ઘણાં મીત્રો સારણી કે મેટ્રીક્સ(Matrix) ભણ્યાં હશે. ઘણાં મીત્રોએ ટેંસર એનેલીસીસ પણ કર્યું હશે. આ બધી ગાણીતીક સહાય-સામગ્રી આપણને 1થી શરુ કરીને તમે વીચારી શકો એટલાં પરીમાણ (Dimension) માટે ગણતરી કરતાં અને માહીતીનું પૃથક્કરણ કરતાં મદદરુપ થાય છે.

ઘણાં બધાં ભૌતીકવીજ્ઞાનીઓ માને છે કે આપણું બ્રહ્માંડ 10 પરીમાણનું બનેલું હોવું જોઈએ. જેમ-જેમ આપણે ઉત્ક્રાંતી કરતાં જઈશું, તેમ-તેમ નવા-નવા પરીમાણો આપણી અનુભુતીમાં ખુલતાં જશે. અને આપણો બ્રહ્માંડને જોવાનો નજરીયો પણ બદલાતો જશે!

એક ઉદાહરણ લઈએ. કોઈ માત્ર દ્વીપરીમાણને અનુભવતો જીવ પૃથ્વીની સપાટી પર 10kmની ત્રણ સરખી બાજુઓ વાળો ત્રીકોણ દોરે તો એ ત્રીકોણ આપણને કેવો દેખાય? માત્ર બે પરીમાણમાં દોરાતાં ત્રીકોણનાં ત્રણે ખુણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે પેલા જીવને તો તેનો ત્રીકોણ એકદમ સચોટ લાગશે. જ્યારે આપણને? આપણાં માટે એ ત્રીકોણનાં ખુણાઓનો સરવાળો 180 અંશ કરતાં વધી જશે!!! પેલા જીવને પૃથ્વીની ગોળાઈ અનુભવાતી નથી, જ્યારે આપણે એ અનુભવી શકીએ છીએ. હવે આ જ તર્ક પર આગળ વધતાં જઈએ અને વીચારીએ, કે જો આપણી અનુભુતીમાં માત્ર એક પરીમાણ નવું ઉમેરાય તો દુનીયા કેવી થઈ જાય? અને ઘણાં વૈજ્ઞાનીકો તો બ્રહ્માંડને 10 પરીમાણ હોવાની વાત કરે છે. આવું વીશ્વ કેવું હશે?

ઘણાં મીત્રો જાણતાં હશે, કે બ્રહ્માંડનો 97% ભાગ અદ્રશ્ય પદાર્થનો બનેલો છે! જે દ્રશ્ય જગત છે (તારા, નીહારીકા, આકાશગંગા, બ્લેકહૉલ(કૃષ્ણ વીવર) વગેરે) એ તો માત્ર એક નાનો-શો અંશ છે. આ ખોવાયેલા જગત વીશે કલ્પના કરાય છે, કે તે ડાર્ક-મેટર કે ન્યુટ્રીનો નામનાં કણનું બનેલું છે; જે આપણા આજનાં સાધનો વડે જાણી શકાતું નથી. હવે, જો કે ન્યુટ્રીનો પકડાયાં છે. પણ એમાં નવો ફણગો ફુટ્યો છે, કે ન્યુટ્રીનો માત્ર 16% દ્રવ્ય છે. હજી, 81%નો પત્તો મેળવવો બાકી રહ્યો છે.

તાજેતરમાં આ વીશે એક નવી થીયરી ઉભી થઈ છે. આપણાં જેવાં અનેક બ્રહ્માંડ હોવાનું હવે વૈજ્ઞાનીકો સ્વીકારે છે. (આપણાં શસ્ત્રોની 14 બ્રહ્માંડવાળી વાત સાચી?) હવે બે બ્રહ્માંડ આપણાં અનુભવનાં બહારનાં પરીમાણમાંના કોઈ પરીમાણમાં એક-બીજા સાથે અથડાય તો શું થાય? એ જ કે, આપણાં 81% દ્રવ્યનો જથ્થો બીજા બ્રહ્માંડનો હોય અને આપણે એ અનુભવી શકતાં ના હોઈએ!

આગળ ફરી ક્યારેક આ બાબતે ચર્ચા...

Saturday, October 27, 2007

અનંતની સફરે

અનંતની સફરે - બંસીધર પટેલ

પાંખો નથી તો શું થયું, મન કેરી પાંખે હું ઉડું ગગન વીહારે;
દુર-સુદુર અવકાશે ઘુમતો, ભાસે અનંત બ્રહ્માંડ ખુબ પાસે.
શાંત, અતી શાંત, શુન્યને પણ ભેદતો, નીજની ખોજમાં અતીદુર;
ઉડું હજી ઉડું આભથી પણ ઉંચે ઘણે, અથાગ, વીહરતો સુદુર.
નથી સાથી મમ સંગાથે કોઈ, છતાં લાગે ના લગીરે ડર.

જુઓ ભલે તમે આસમાની રંગ, મારી આંખે જોવો અદભુત રંગ;
ચુંદરડી ઓઢેલી નવોઢાની જેમ, આસમાની ચુંદડી સોહાય નવરંગ.
નીરાકારમાં આકાર ભાસે, નીતાંતમાં અંત, અંધકારમાં ઉજાસ ઘણો;
નક્ષત્ર, અરુ તારલાઓના સંગે, સુરાવલી મનભાવન સુણાય જાણે.
મોતીઓના આભલે મઢેલું અવકાશ, શી સુંદરતા મનમોહક.

નથી વીસામાનું નામ-નીશાન, બસ ઉડતો જાઉં મન અશ્વારુઢ;
કેમે કરીને ના ફરું હું પાછો, લાલચ રોકી ના રોકાય ભલી.
ભલે હું નાચું મન-તોખારના સંગે, લગામ ઢીલી ખેંચી કોણે?
આવ્યો હું ભાનમાં, છતાં અભાનમાં, હોંશકોંશ ઉડી ગયા, બની આભો;
સ્થુળતામાં ના આવું કદી, પણ કરું શું લાચાર બની નીરખી રહ્યો.

આ એ જ ધરણી, એ જ સૃષ્ટી, એ જ સંસાર, સરગમ બધી;
નથી ગમતું સહેજે અહીં, ભુલી ભુલાય ના એ દીવ્યસૃષ્ટી.
બની રહ્યું એ સંભારણું, સાચવી રાખું હું પ્રેમ પટારે;
વીસર્યું ના વીસરાયે કદી, દીવ્ય અનંત, રાહના સથવારે.