Friday, May 16, 2008

જાતને ભાળતો

જાતને ભાળતો - ચીરાગ પટેલ May 16, 2008

રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.

સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.

ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.

ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.

અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.

Saturday, May 10, 2008

સપ્તરંગી આશ

સપ્તરંગી આશ - બંસીધર પટેલ Jun 12

મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.

પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.

ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.

નીર્જન, ઉજ્જડ ભાસે સૃષ્ટી, આ પનોતી મન તણી,
ઝાલ્યો છે હાથ કેદારનો, ભાવ જગતના ઓડકાર થકી.

લસરી રહ્યું છે જીવન સારું, દીન, માસ, વરસ ભણી;
આથમતા સુરજને નીરખવા તલસી રહ્યું મન નભ મહીં.

ગગને વીચરતા વીહગને મળવા આતુર અંતર અહીં;
ધવલ, મૃદુ બરફના પહાડ શું- શાતા અમી તણી ભરી તહીં.

ભેંટવા, ભાગ્યની દેવીને, ઉચાટ ઘણેરો અંતર મહીં;
તનમન બની એકાકાર, અરૂપ, અશ્વ ઈન્દ્રીયનાં ઠરીઠામ મહીં.

હું તું, તું હું, અમે તમે - ના ઝુઝવા રૂપ પ્રતીબીમ્બ થકી;
બન્યું છે આજ સૃષ્ટીના સથવારે, મન મયુર અરંગ મહીં.

અલૌકીક

અલૌકીક - ચીરાગ પટેલ Jul 21, 1998

અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;
વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે.

અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;
'ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની.

દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;
'ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને.

પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે રહેલી આ દીલમાં;
ઋણી બન્યો તારા આ પ્રેમે, જગ્યા બનાવી દીલમાં.

વસવસો રહી ગયો એક જ, કેવી હતી પ્રથમ પ્રીત;
કેમ પ્રભુએ ના બનાવી, આપણી આ પ્રીત પ્રથમ.

જેને પામવા મથતો હતો, હતી એ તો છેક જ લૌકીક;
જેને પામ્યો છું, જેની પ્રીત મળી, એ તો છે અલૌકીક.

પ્રભુને એક જ અભ્યર્થના, ચાહ મારી છે નીરંતર;
વધારજે એને અંત સુધી, તરસે છે એને મારું અંતર.

છે એક અભીલાષા મારા દીલમાં, આપજે મને;
જે ચાહ મને પ્રભુ આપે, માંગું છું તારી પાસે. આપીશને?

LOVE DOLLY

LOVE DOLLY - Chirag Patel Jul 21, 1998

Life, really, encircling and enchanting;
Other than God, merely disarming.
Vigour and joy - all grabbed back;
Eternal feeling of lust and passion.

Doing all that are unwanted;
Ostentatious looking I am, but
Long lasting desire that makes us
Love each other. Really, wanting
You and your love honey. Here I am! In Heart!
---------------
Dedicated to my lovely wife

Wednesday, May 07, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ

21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી વીશેશ પુજાનો વીશય છે.

22. જ્યારે આપણામાં સ્વાર્થવૃત્તીનો અભાવ હોય ત્યારે આપણું સર્વોત્તમ કાર્ય પરીપુર્ણ થાય છે અને આપણો શ્રેશ્ઠ પ્રભાવ સીધ્ધ થાય છે.

23. જગતના ધર્મો એ નીઃશ્પ્રાણ મશ્કરીઓ જેવા થઈ પડ્યા છે. જગતને જરુર છે ચારીત્ર્યની; જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નીઃસ્વાર્થતાથી પરીપુર્ણ હોય એવા મનુશ્યોની. એવો પ્રેમ પ્રત્યેક શબ્દને વજ્રની જેમ પ્રભાવ પાથરતો કરી મુકશે.

24. સર્વશ્રેશ્ઠ જીવનનો નીયમ છે આત્મત્યાગ, આત્માભીમાન નહી.

25. ઉત્કટ આત્મત્યાગમાંથી જ ધર્મનો ઉદય થાય છે. પોતાના કાજે કશી જ ઈચ્છા ન રાખો. અન્ય કાજે બધું જ કાર્ય કરો. આનું જ નામ ઈશ્વરમાં સ્થીતી, ગતી અને હસ્તી હોવી એ.

26. કોઈ પણ મનુશ્ય મુક્તી વીહોણો રહી જશે નહી. આખરે સૌને પુર્ણતાની પ્રાપ્તી થશે. અહર્નીશ ઘોશણા કરો: "આવો, મારા બન્ધુઓ! તમે નીર્મળતાના અનંત મહાસાગર છો! શીવરુપ બનો! તમારા ઈશ્વરરુપને પ્રગટ કરો!"

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, April 29, 2008

ફાઈલ

ફાઈલ - ચીરાગ પટેલ Apr 29, 2008

ફાઈલ (File) નામ કાને પડે એટલે તરત જ નજર સામે જાડા પુંઠાના કવરવાળી લામ્બી-પહોળી આકૃતી ઝબુકે. જનરેશન - ઝ (generation Z)ને તો કમ્પ્યુટરની ફાઈલ જ નજરે પડતી હશે! (સરકારી બાબુઓને તો ફાઈલ નામ સામ્ભળતાં જ ઉંઘ આવતી હશે!)

આજે આપણે વાત કરીશું ડીજીટલ ફાઈલ વીશે. આપણે બધાં માઈક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ સ્પ્રેડશીટ, નોટપૅડ કે વર્ડપૅડ, વગેરે ઍપ્લીકેશન વાપરતાં હોઈએ છીએ. જ્યારે, આ ઍપ્લીકેશન આપણું લખાણ સંગ્રહે (save) છે, ત્યારે એ ફાઈલ સ્વરુપે સંગ્રહે છે. ફાઈલ એ બાઈટના જથ્થાનું એક એકમ છે. હાર્ડ-ડ્રાઈવ કે ડીવીડી કે પેન-ડ્રાઈવમાં આ બધી ફાઈલો બાઈટનાં સંગ્રહ તરીકે હોય છે.

પણ, આ બાઈટરુપી માહીતીને સંગ્રહવામાં જે-તે ઍપ્લીકેશન બહુ મહત્વનો ભાગ ભજવે છે. MP3 ફાઈલને તમે વર્ડપૅડના લખાણની ફાઈલ તરીકે ખોલવા જાઓ તો કાંઈક ચીત્ર-વીચીત્ર લખાણ નજરે પડે. (ભઈ, આપણને તો કમ્પ્યુટર જ ચીત્ર-વીચીત્ર લાગે છે.) અને, એ જ પ્રમાણે, વર્ડપૅડની ફાઈલને મીડીયાપ્લેયરમાં પ્લૅ કરો તો એ એરર (error) બતાવશે. આનું એક કારણ છે ઍપ્લીકેશન! જ્યારે આપણે વર્ડપૅડમાં લખાણ લખીએ છીએ ત્યારે વર્ડપૅડ એ લખાણની સાથે સાથે એનું ફોર્મેટ (format) (ફોંટની માહીતી, લખાણનો વર્ગ, લખનારની માહીતી, વગેરે) પણ સ્ટોર કરે છે. વળી, અમુક ઍપ્લીકેશન માહીતીને કોમ્પ્રેસ (compress) કરીને કે એનક્રીપ્ટ (encrypt) કરીને સંગ્રહીત કરે છે. એટલે, જો કોઈ ઍપ્લીકેશન આ ફોર્મેટ ઉકેલી શકે તો એ ફાઈલમાં શું છે એ જાણી શકે. (આ બાબતને ડી.એન.એ. માટેના જીનોમ મૅપીંગ (genome mapping) પ્રોજેક્ટ સાથે સરખાવો.) (સ્ત્રીના મગજનું ફોર્મેટ કોઈ ઉકેલી શકશે ખરું???)

હવે, ફાઈલ કેવી રીતે સંગ્રહીત થાય છે, એ જે-તે ઑપરેટીંગ સીસ્ટમ (operating system) પર આધાર રાખે છે. આ બાબતને ફાઈલ સીસ્ટમ ફોર્મેટ (file system) કહે છે. વીંડોઝ (Windows) માટે ફૅટ (FAT12, FAT16, FAT32), એન.ટી.એફ.એસ. (NTFS - New Technology File System), એચ.પી.એફ.એસ. (HPFS - High Performance File System), લીનક્સ (Linux) માટે એક્સ્ટ* (ext2, ext3) જેવી ફાઈલ સીસ્ટમ છે. ડૅટાબૅઝ સર્વરને પણ પોતાની ફાઈલ સીસ્ટમ હોય છે. વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/List_of_file_systems

Sunday, April 27, 2008

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ

11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.

12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.

13. પ્રેમ કદાપી નીશ્ફળ જતો નથી બેટા; આજ નહીં તો કાલે કે યુગો પછી, સત્યનો જય થશે જ! પ્રેમની જીત થવાની જ છે. શું તમે તમારા માનવબન્ધુઓને ચાહો છો?

14. ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વરસ્વરુપ નથી? તો એમની પુજા પ્રથમ શા માટે ન કરવી? ગંગા કાંઠે કુવો ખોદવા શા માટે જવું?

15. પ્રેમની સર્વશક્તીમત્તામાં શ્રધ્ધા રાખો. શું તમારી પાસે પ્રેમ છે? તો તમે સર્વશક્તીમાન છો. શું તમે સમ્પુર્ણપણે નીઃસ્વાર્થી છો? જો એવું હોય તો કોઈપણ વ્યક્તી તમારો પ્રતીકાર કરી શકે નહીં. ચારીત્ર જ સર્વત્ર ફલદાયી નીવડે છે.

16. મારું હ્રદય લાગણીથી એટલું બધું ભરાઈ ગયું કે હું તેને વ્યક્ત કરી શકતો નથી; તમે એ જાણો છો, તમે એની કલ્પના કરી શકો છો. જ્યાં સુધી લાખો લોકો ભુખ અને અજ્ઞાનમાં જીવે છે ત્યાં સુધી એમના ભોગે કેળવણી પામીને એમના તરફ જે લેશમાત્ર પણ ધ્યાન આપતો નથી, ગરીબોને ચુસીને કમાણી કરતા, ભપકાથી દમામભેર ફરતા, તમામ લોકોને હું પામર ગણું છું. મારા બન્ધુઓ આપણે ગરીબ છીએ. આપણી કશી જ ગણના નથી, પરંતુ આવા જ મનુશ્યો હમ્મેશાં પરમાત્માના નીમીત્તરુપ બની રહે છે.

17. મને મુક્તી કે ભક્તીની કશી પરવા નથી; 'વસંતરુતુની જેમ (મુક રહીને) લોકહીત કરતાં કરતાં' હું લાખો નર્કોમાં જવા તૈયાર છું - આ છે મારો ધર્મ.

18. હું મૃત્યુ સુધી સતત કાર્ય કરતો રહીશ; અને મૃત્યુ પછી પણ જગતના કલ્યાણ માટે હું કાર્ય કરીશ. અસત્ય કરતાં સત્ય અનંતગણું વીશેશ પ્રભાવશાળી છે; અને ભલાઈનું પણ એવું જ છે. જો તમારી પાસે આ બે વસ્તુઓ હોય તો તેઓ કેવળ પોતાના પ્રભાવથી જ પોતાનો માર્ગ કાઢી શકશે.

19. વીકાસ એ જ જીવન અને સંકોચ એ જ મૃત્યુ. પ્રેમ એટલે વીકાસ અને સ્વાર્થ એટલે સંકોચ. એટલે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. જે પ્રેમપુર્ણ છે તે જીવે છે; જે સ્વાર્થી છે તે મૃત્યુને આધીન થતો જાય છે. માટે પ્રેમ ખાતર પ્રેમ દાખવો, કારણ કે જે રીતે તમે જીવવા માટે શ્વાસ લ્યો છો એ જ રીતે પ્રેમ એ જીવનનો એકમાત્ર નીયમ છે. સ્વાર્થરહીત પ્રેમનું, સ્વાર્થરહીત કાર્યનું અને અન્ય તમામ વસ્તુઓનું એ જ રહસ્ય છે.

20. જગતને પ્રકાશ કોણ આપશે? આત્મસમર્પણ એ વીતી ગયેલા યુગોથી ચાલ્યો આવતો 'મહાનીયમ' છે; ખેર! ભાવી યુગોનો પણ એ મહાનીયમ થશે. 'બહુજન હીતાય, બહુજન સુખાય' પૃથ્વીના વીરતમ અને શ્રેશ્ઠ લોકોએ આત્મસમર્પણ કરવું પડશે. સનાતન પ્રેમ અને કરુણાથી પુર્ણ એવા સેંકડો બુધ્ધોની જરુર છે.

--------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Wednesday, April 16, 2008

શબ્દોં કે જંગલમેં

શબ્દોં કે જંગલમેં

આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg

રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.

ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

પલક

પલક - ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, 'ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, 'ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, 'ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, 'ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, 'ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, 'ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, 'ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, 'ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, 'ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, 'ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

Friday, April 11, 2008

ચાતક

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

Saturday, April 05, 2008

મોભ

મોભ - બંસીધર પટેલ Oct 01, 2002

ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો;
બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, કરવા વૃધ્ધી ભભકાની.
બની કૃતનીશ્ચયી ચઢ્યો એ પાલખ થકી, છેક ઉપરના મજલે;
મુક્યું ડબલું રંગ ભરેલું, હાથમાં લીધું આકર્શક બ્રશ એણે.
ઠોલી પાલખી! ખસ્યો પગ, આવ્યો નીચે લપસી એકદમ જ;
થયો ધબાકો, પડી નજર, દોરાયો સ્વરદીશાને પારખી હું.
થયું જોઈને ત્યાં તો, ના પડી ખબર કોઈ રંગની તેમાં;
ભળ્યા રંગ, લહુ પણ રેલાયું ખુબ ત્યાં, ટળવળતાં રંગાટીનું.
પારખવા રંગને મથ્યો હું ખુબ જ, ના મળ્યો લહુનો રંગ લાલ.
થયું મીશ્રણ, રેલાઈ ગયું, જીન્દગીના બદલાતા રંગોની જેમ;
ઉઠાવ્યો કાન્ધે, અમે બે મળી પકડી વાટ ત્રણગણા લય તણી.
ભાંગ્યો પગ, થયું નીદાન, સારવાર ચાલી ખુબ ત્વરાથી;
આવ્યાં બાળ, નાર અને ભગીની, જાણ્યું સત્ય કડવું ઘણું.
હતો એ એક જ આધાર, મોભી ઘરનો તુટ્યો એ પીછાણ્યું;
દ્રવી ઉઠ્યું ઉર, રડી રહ્યો આતમ માંહ્યે, ઘટી શું ઘટના અહીં.
ભુલથી પણ ઈશ્વર કદી, કરીશ ના શીક્ષા કોઈને આવી.
બની નરવો, થઈ સાજો, સીધાવ્યો ગૃહે સપરીવાર એ;
કરવા જેવી કરી સરભરા એની, યાદ સંઘરી અંતર મહીં.

નવરાત

નવરાત - બંસીધર પટેલ

આવ્યું રુપાળું નવલું પર્વ નવરાતનું,
ગોરી ગરબે ઘુમવા હાલ્યાં રે લોલ.

રુમઝુમ રુમઝુમ વાગે પગની પાયલ,
ઝાંઝરનો ઝંકાર સોહામણો રે લોલ.

ભાવ તણો ભરી ઘડુલો માથે મુકી,
નારીનું સોહામણું રુપ સોહાય રે લોલ.

સરખી સાહેલીઓ સહુ ટોળે વળી,
ગાય માનાં ગુણગાન ગુલતાન રે લોલ.

ધન્ય બન્યું જીવન, મળ્યો જનમ નારનો,
કે માતાજીની ભક્તીનો આધાર રે લોલ.

લાલ, લીલો, પીળો ને કેસરી રંગ દેખાય,
કે માની ચુન્દલડી અદભુત ઓઢાય રે લોલ.

તન મન બન્યું છે એકાકાર માના નામમાં,
ભુલી માયા સઘળી સંસારની રે લોલ.

અમ્બા, કાળી, દુર્ગા, મા તારા રુપ દેખાય,
નવલી નવરાતની રાત્રે રે લોલ.

નોન્ધ: સંયોગે, આવતી કાલે (એપ્રીલ 5, 2008) ચૈત્ર નવરાત્રી શરુ થાય છે.

Friday, April 04, 2008

EPR પૅરેડૉક્સ

EPR પૅરેડૉક્સ - ચીરાગ પટેલ Apr 04, 2008

EPR paradox એક સંશોધન પત્ર તરીકે બહોળી પ્રસીધ્ધી પામ્યો છે. એને લખનાર પ્રસીધ્ધ વૈજ્ઞાનીકો આલ્બર્ટ આઈંસ્ટાઈન (Einstein), બૉરીસ પોડોલ્સ્કી (Podolsky) અને નૅથન રોઝેન (Rosen)નાં પ્રથમ અક્ષરોને સાંકળીને બનતાં ત્રણ અક્ષરો EPR નામે પ્રચલીત છે. પૅરેડૉક્સ એટલે વીરાધાભાસ અથવા અસંગતતા અથવા તાર્કીક વીસંગતતા. એક રાજાએ પોતાના ગામમાં એક વાર ઢંઢેરો પીટ્યો કે, "આજ પછી ગામમાં કોઇ પણ વ્યક્તીએ જાતે હજામત ના કરવી, અને માત્ર ગામનાં વાળન્દ પાસે જ કરાવવી." આ ઢન્ઢેરા મુજબ પેલો વાળન્દ પોતાના વાળ કાપી શકે? આવી તાર્કીક વીસંગતતા માટે પૅરેડૉક્સ શબ્દ-પ્રયોગ થાય છે.

EPR પૅરેડૉક્સ ક્વોંટમ વીજ્ઞાન(Quantum physics)માં 1935ની સાલ સુધીમાં રહેલી વીસંગતા તરફ અંગુલીનીર્દેશ કરે છે. પછી તો, આ સંશોધનપત્ર એક નવા જ ખ્યાલને માટે નીમીત્ત બન્યો. આજે આપણે માત્ર આ પત્રમાં રહેલી માહીતીને સરળ ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીશું.

એક સીધી રેખામાં અમુક અંતરની કલ્પના કરો. ધારો કે, 10 મીટર. એના એક છેડે કનીશ્કાને બેઠેલી કલ્પો અને બીજે છેડે ખ્યાતીને બેઠેલી કલ્પો. ધારો કે, કનીશ્કા પાસે એક લોહચુમ્બક (magnet) હાથમાં પકડેલું છે. આ ચુમ્બક ધારો કે અંગ્રેજી C આકારનું છે, અને કનીશ્કાએ એની ખુલ્લી બાજુને નીચે તરફ રહે એ રીતે પકડેલું છે. એટલે કે, Cની પીઠ આકાશ તરફ રહે એમ પકડ્યું છે. હવે ધારો કે, ખ્યાતી પાસે ઈલેક્ટ્રોનનો ગતીપથ નોંધી શકાય એવો કૅમેરા છે. વળી, ધારો કે, 10 મીટરની કાલ્પનીક રેખાનાં મધ્યબીન્દુએ ઈલેક્ટ્રોનનું ઉદ્ગમસ્થાન છે. અને ઉદ્ગમ પણ પાછું એવું છે કે, એમાંથી માત્ર ઈલેક્ટ્રોન જોડકાં જ ઉદ્ભવે છે. ક્વૉંટમ સીધ્ધાંત મુજબ, એક જ ઉદ્ગમમાંથી ઉદ્ભવતાં કણો વીરુધ્ધ દીશામાં અને સરખી ઉર્જાથી ગતી કરે. એટલે, આપણે એવું ધારીએ કે, એક સાથે નીકળતાં જોડકાંમાંથી એક ઈલેક્ટ્રોન કનીશ્કાએ હાથમાં પકડેલાં ચુમ્બકની દીશામાં જાય છે, તો એ જ સમયે બીજો ઈલેક્ટ્રોન ખ્યાતીની દીશામાં જશે. બન્ને એક જ સમયે કનીશ્કા કે ખ્યાતી સુધી પહોંચશે.

હવે, કમાલ જોઈએ. ઈલેક્ટ્રોનનો એક ગુણધર્મ છે, વીજચુમ્બકીયબળોની અસર તળે ગતીપથ બદલવાનો. કનીશ્કાએ પકડેલાં ચુમ્બકમાંથી પસાર થવાની સાથે જ સીધી રેખામાં આવી રહેલો ઈલેક્ટ્રોન જમણી બાજુ પલટાઈ જશે. અને લો, બીજી બાજુ જ્યારે ખ્યાતી ફોટો પાડે છે ત્યારે, એ બાજુનો ઈલેક્ટ્રોન એ જ સમયે ડાબી બાજુ વળી જાય છે! હજી ક્લાઈમૅક્સ હવે આવે છે. એવું માની લઈએ કે, પ્રયોગની શરુઆતમાં દરેક સ્થીતી વીશેની માહીતી અસ્તીત્વમાં હતી - જેમ કે, કનીશ્કા અને ખ્યાતીનું અંતર અને દીશા, ચુમ્બકની સ્થીતી, વગેરે. પણ, ધારો કે, ઈલેક્ટ્રોનનું એક નવું જોડકું ઉદ્ગમમાંથી નીકળી ચુક્યું છે, અને કનીશ્કા એકાએક ચુમ્બક્ની પીઠને ફેરવીને ઉભી ગોઠવે છે (90 અંશની ફેરબદલ). તો આ સંજોગોમાં કનીશ્કાના ચુમ્બક પાસે આવેલો ઈલેક્ટ્રોન જમીન તરફની દીશામાં ફંટાઈ જશે! અને ખ્યાતીનો કૅમેરો જોશે કે એની તરફનો ઈલેક્ટ્રોન આકાશની દીશામાં ફંટાઈ જાય છે!!!

માની શકાય છે? પ્રાયોગીક રીતે આ બાબત ઘણાં વૈજ્ઞાનીકોએ સાબીત કરી છે. પણ આવું કેવી રીતે બની શકે? શું ઈલેક્ટ્રોન એકબીજા સાથે માહીતીની આપ-લે કરે છે? આ આપ-લે માટે એમણે પ્રકાશની ગતી કરતાં વધુ ઝડપે માહીતી મોકલવી પડે, જે પદાર્થનાં કણ માટે શક્ય નથી. તો શું ઈલેક્ટ્રોન ભુત છે? ના. વીચારજો. ફરી ક્યારેક આ બાબતે ચર્ચા કરીશું. EPR સંશોધનપત્રે એક નવી જ દીશાનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.

વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/EPR_paradox

Tuesday, March 25, 2008

નવી ઘટના

નવી ઘટના - ચીરાગ પટેલ Mar 25, 2008

નવા ગાન ફુટે જો અધર આંગણે;
રચાયે નવલ છોડ હૈયે ફરી.

મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;
રચાયે નવલ આભ જીવને ફરી.

સમાવી બધી લાગણી જો ખુણે;
રચાયે નવલ બંધન તરલ ફરી.

સરકતી લતા થડ ઉપર જો વળે;
રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી.

વધાવે જગત જો વહેંચ્યું સકળ;
રચાયે નવલ સાદ આતમે ફરી.

નર્મદા તટે જો મળે કાનુડો;
રચાયે નવલ રાસ મનસે ફરી.

કલમ છોડું જો તીર સંધાનથી;
રચાયે નવલ જોમ ભોમે ફરી.

----------------------------------------------
છન્દ: લગાગા લગાગા લગાગા લગા

Saturday, March 22, 2008

ડીજીટલ રુપાંતરણ

ડીજીટલ રુપાંતરણ - ચીરાગ પટેલ Mar 22, 2008

આજે એક સીધી સાદી, પરંતુ એકદમ પાયાની બાબત પ્રત્યે મારું ધ્યાન ખેંચાયું. આપણે કમ્પ્યુટરનો આટલો બહોળો ઉપયોગ કરીએ છીએ, એમાં માહીતીનું ડીજીટાઈઝેશન (digitization) ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે.

કોઈ પણ પ્રકારની માહીતી - ધ્વની, દ્રશ્ય કે કોઈ પણ પ્રકારનાં સીગ્નલ (signal) -ને ચોક્કસ સંખ્યા વડે દર્શાવવી એટલે ડીજીટાઈઝેશન. આ પધ્ધતીને સેમ્પલીંગ (sampaling) પણ કહે છે. જેમ કે, કમ્પ્યુટરના માઈક્રોફોન પર આપણે બોલીએ તો એનું ડીજીટલ સ્વરુપ કમ્પ્યુટરમાં રેકોર્ડ થાય છે. ડીવીડીમાં ચલચીત્રનું અંકન, કોઈ પત્રનું સ્કેનીંગ, કે તાપમાન, દબાણ, પ્રકાશ વગેરેની માહીતીને પણ ડીજીટલમાં ફેરવી શકાય છે. એ જ પ્રમાણે, ડીજીટલ માહીતીને પાછી જે તે પ્રકારનાં સીગ્નલમાં ફેરવી શકાય છે. આ પ્રક્રીયા માટે એનેલોગ-ટુ-ડીજીટલ (analog-to-digital) કે ડીજીટલ-ટુ-એનેલોગ (digital-to-analog) એવો શબ્દપ્રયોગ થાય છે. AtoDને એંકોડીંગ (encoding) અને DtoAને ડીકોડીંગ (decoding) પણ કહે છે.

આ પ્રક્રીયા સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. અવાજનાં મોજાંને એક સ્થીતીસ્થાપક દોરી સ્વરુપે લો. એક ઉદ્ગમ સ્થાન કલ્પી લો, ત્યાંથી અમુક અંતરે એક રેકોર્ડર મુકેલું છે ત્યાં સુધી આ દોરી બાન્ધેલી છે. રેકોર્ડર દર એક સેકંડે એના તરફની દોરીનો છેડો કેટલો ઉંચે કે નીચે જાય છે, એની માપણી કરે છે. હવે, ઉદ્ગમ સ્થાનેથી કોઈ વ્યક્તી એ તરફનાં દોરીના છેડાને ઉપર-નીચે ઝુલાવે છે. આ ઝોલ ધીરે રહીને અમુક સમયે રેકોર્ડર સુધી પહોંચે છે. રેકોર્ડર દર સેકન્ડે જે માપ લે છે, એ ધારો કે આ મુજબ છે :

સેકંડ --- 1 ----- 2 ------ 3
ઝોલ --- 5cm - 2cm - 3cm

હવે, રેકોર્ડર આ માપને બાયનરી સ્વરુપે સંગ્રહે છે એમ વીચારો. આ પ્રક્રીયાને એનેલોગ-ટુ-ડીજીટલ કહેવાય છે. એનાથી વીરુધ્ધ પ્રક્રીયા (ડીજીટલ-ટુ-બાયનરી)માં રેકોર્ડર એના તરફની દોરીને જે તે સેકન્ડે અમુક સેંટીમીટરનો ઝોલ આપે છે.

હવે, રેકોર્ડર જેટલી વધુ ઝડપથી આ માહીતીને માપે એટલી વધુ ચોકસાઈ મળે. એક સેકંડમાં થતું આવું સેમ્પલીંગ એ સેમ્પલીંગ ફ્રીક્વંસી (sampling frequency) તરીકે ઓળખાય છે. રેકોર્ડરની સેમ્પલીંગ ફ્રીક્વંસી જેમ વધારે એમ મુળ માહીતીને વધુ ચોકસાઈથી ફરી રજુ કરી શકાય. વળી, રેકોર્ડર કેટલું ઝીણું માપી શકે છે, એ પણ માહીતીને સંગ્રહવામાં ભાગ ભજવે છે. એનેલોગ માહીતીના સીગ્નલનું કદ મહત્તમ કેટલુ હશે એ મુજબ કેટલા બીટનું સેમ્પલીંગ થાય છે, એ જુઓ. જેમ કે, એક થર્મોમીટર મહત્તમ 100 સેલ્સીયસ માપતું હોય અને જો આ માહીતી 8-બીટ તરીકે સંગ્રહીત થતી હોય, તો સામે આ જ થર્મોમીટરને 16-બીટની માહીતી તરીકે સંગ્રહવામાં આવે તો 1 ડીગ્રીના વધારે ચોક્કસ સ્થાન સુધીનું માપ મળી શકે.

આપણે એમપી3 ફાઈલથી પરીચીત છીએ. એમાં જુદાં-જુદાં બીટરેઈટ(bit rate)ને સરખાવી જુઓ. 196 kbits/s અને 256 kbits/s બીટરેઈટ વચ્ચેનો તફાવત સમજો. પ્રથમમાં 196000 બીટ્સ એક સેકંડમાં સંગહીત થાય છે, જ્યારે બીજામાં 256000 બીટ્સ એક સેકંડમાં સંગ્રહીત થાય છે. વળી, સેમ્પલીંગ ફ્રીક્વંસી 44.1 KHz અને 48 KHz સરખાવો. પ્રથમમાં એક સેકંડમાં 44100 વખત સેમ્પલીંગ થાય છે, જ્યારે બીજામાં 48000 વખત થાય છે. હવે, આ સેમ્પલીંગ 8-બીટનું એક એવું થાય અને 16-બીટનું એક એવું થાય, તો એ બે વચ્ચેનો તફાવત સમજો.

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1 સ્વામી વિવેકાનન્દ

1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.

2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, "આવ, આ લે ભાઈ," પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને જ સહાય કરી શકો છો. લેનાર નહીં પણ દેનાર જ ધન્ય છે. ઉપકાર માનો કે આ જગતમાં તમારી ઉદારતા તથા દયાની શક્તીને પ્રગટ કરવાનો અને એ રીતે શુધ્ધ અને પુર્ણ બનવાનો તમને અવસર પ્રાપ્ત થયો છે.

3. બીજાનું ભલું કરવાના સતત પ્રયત્નો કરીને આપણે પોતાની જાતને ભુલી જવા મથીએ છીએ; આ રીતે પોતાની જાતને ભુલી જવી એ જીવનમાં આપણે શીખવાનો એક મહાન બોધપાઠ છે. માણસ એવું માનવાની મુર્ખાઈ કરે છે કે પોતે પોતાને સુખી કરી શકશે, પણ વર્શોના સંઘર્શ પછી આખરે તેને સમજાય છે કે સાચું સુખ તો સ્વાર્થત્યાગમાં રહેલું છે. અને પોતાના સીવાય અન્ય કોઈ માણસ તેને સુખી કરી શકશે નહીં.

4. સ્વાર્થ એટલે અનીતી, અને સ્વાર્થત્યાગ એટલે નીતી.

5. ખ્યાલ રાખો કે સમગ્ર જીવન એટલે આપતાં રહેવું તે. પ્રકૃતી જ તમને આપતાં રહેવાની ફરજ પાડશે. એટલે રાજીખુશીથી આપો.... તમે સંગ્રહ કરવા માટે જીવન ધારણ કર્યું છે. મુઠ્ઠી ભરીને તમે બધું લઈ લેવા ઈચ્છો છો. પરંતુ પ્રકૃતીનો પંજો તમારા ગળા ઉપર પડે છે. અને તમારા હાથની મુઠ્ઠી ઉઘડાવે છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારે આપવું જ પડશે. જે ક્ષણે તમે કહો છો 'હું નહીં આપું' તે જ ક્ષણે ફટકો પડે છે; તમે ઝખ્મી બનો છો, આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેને આખરે તો બધું છોડી દેવાની ફરજ ન પડે.

6. તમામ પુજા-ઉપાસનાનો સાર છે - શુદ્ધ થવું અને બીજાનું ભલું કરવું. જે મનુશ્ય દીનદુર્બળ અને રોગી લોકોમાં શીવનું દર્શન કરે છે એ જ સાચા અર્થમાં શીવનો ઉપાસક છે; પરંતુ જો તે કેવળ મુર્તીમાં જ શીવનું દર્શન કરતો હોય તો તેની ઉપાસના કેવળ પ્રાથમીક દશાની છે.

7. નીઃસ્વાર્થવૃત્તી જ ધર્મની કસોટી છે. જે મનુશ્યમાં આવી નીઃસ્વાર્થવૃત્તી વધારે પ્રમાણમાં હોત તે વધુ આધ્યાત્મીક અને શીવ ભગવાનની વધુ સમીપ છે... જો કોઈ મનુશ્ય સ્વાર્થી હોય, પછી ભલે તે બધાય મન્દીરોમાં જતો હોય, ભલે બધાં તીર્થધામોની યાત્રા તેણે કરી હોય અને ભલે એ દીપડાની માફક પોતાની જાતને અનેક ટીલાંટપકાંથી શણગારી હોય, તો પણ ભગવાન શીવથી તે ઘણો ઘણો દુર છે.

8. હું કેવળ પ્રેમ અને પ્રેમનો જ ઉપદેશ આપું છું - અને પરબ્રહ્મની એકતા અને સર્વવ્યાપકતાનું વેદાંતનું મહાન સત્ય એ મારા ઉપદેશનો પાયો છે.

9. પહેલાં અન્ન પછી ધર્મ. જ્યારે ગરીબ લોકો ભુખે મરતા હોય છે ત્યારે આપણે તેના ઉપર વધુ પડતો ધર્મ લાદીએ છીએ. મતવાદોથી કંઈ ભુખની જ્વાળા શાંત પડે નહીં... તમે ભલે લાખો સીધ્ધાંતોની વાત કરો, તમે ભલે કરોડો સમ્પ્રદાયો ઉભા કરો, પણ જ્યાં સુધી તમારી પાસે સંવેદનશીલ હ્રદય ન હોય, વેદના ઉપદેશ પ્રમાણે જ્યાં સુધી એમના માટે લાગણી ન ધરાવો, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તેઓ તમારા શરીરના અંગરુપ છે, જ્યાં સુધી તમને એવું ભાન ન થાય કે તમે સૌ, રંક અને ધનીક, સંત અને પાપી એ તમામ, જેને તમે બ્રહ્મ કહો છો એવા એક અનંત વીરાટના ભાગરુપ છો, ત્યાં સુધી એ બધું વ્યર્થ છે.

10. દુઃખી મનુશ્યો માટે લાગણી ધરાવો અને એમને સહાય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો - એવી સહાય અવશ્ય મળશે. મારા હ્રદય ઉપર આ ભાર રાખીને અને મારા મસ્તીશ્કમાં આ ખ્યાલનું સેવન કરીને મેં બાર બાર વર્શ સુધી ભ્રમણ કર્યું. કહેવાતા ધનીકો અને મોટા માણસોના બારણે હું ગયો. સહાયની શોધમાં લોહી નીંગળતે હ્રદયે અડધી દુનીયા ઓળંગીને હું આ અજાણી ભુમીમાં આવ્યો. પ્રભુ મહાન છે. હું જાણું છું કે એ મને સહાય કરશે. હું આ ભુમીમાં ઠંડી કે ભુખથી ભલે મૃત્યુ પામું. પરંતુ, હે નવયુવાનો, હું તમને વારસામાં ગરીબ, અજ્ઞાન અને પીડીત લોકો માટે આવી સહાનુભુતી, આવો સંઘર્શ મુકતો જાઉં છું.

-------------------------------------------------
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશીત પુસ્તીકામાંથી સાભાર...

Tuesday, March 04, 2008

જાગો

જાગો - ચીરાગ પટેલ Mar 04, 2008

થોડી ઘટનાઓ, જે આપણી ચોતરફ અને આપણી જાણબહાર ઘટી રહી છે (અથવા આપણે જાણતાં જ અજાણી કરી દીધી છે):

1. છેલ્લાં 2 વર્શથી ઉત્તર-પુર્વ અમેરીકામાં ફૉલ (Fall) રુતુનાં દીવસો ઘટી રહ્યાં છે. મુખ્યત્વે ગરમીના દીવસો વધવાથી આમ થયું છે.

2. ગ્રીનલૅંડમાં ગયા વર્શે 6 ઘન-માઈલ કદ ધરાવતો વીશાળકાય બરફનો ટુકડો તુટી પડ્યો અને એ 1 મીનીટનાં 42 ફુટને હીસાબે ધસી પડ્યો.

3. દુનીયાભરનાં વાતાવરણમાં છેલ્લા 3 વર્શથી અજબ-ગજબનાં રેકોર્ડ બની રહ્યાં છે.

4. કુદરતી જીવન ગાળતાં ઘણાં પશુ-પક્ષીની જાતીઓનું સામુહીક નીકન્દન નીકળી રહ્યું છે.

5. ગંગા નદી અને એવી ઘણી નદીઓ કે જેનું મુળ હીમનદી (Glacier) હોય; એવી હીમનદીઓનું કદ સતત ઘટતું જાય છે.


ગઈકાલે મને એક નાનકડો કીસ્સો જાણવા મળ્યો. એક ઍપાર્ટમેંટમાં રાત્રે અચાનક આગ લાગી. આપણાં કીસ્સાનો નાયક સફાળો જાગ્યો, અને તેણે બહાર કોલાહલ સામ્ભળ્યો. એક ફાયર ફાઈટર તેને ઉદ્દેશીને બહાર નીકળવા ઈશારો કરી રહ્યો હતો. નાયકે આજુબાજુ જોયું અને એક ક્ષણનો પણ વીચાર કર્યા વગર બહાર ભાગ્યો અને સલામત સ્થળે પહોંચી ગયો. 2-3 કલાકની જહેમત પછી આગ ઓલવાઈ અને નાયક ધીરેથી પોતાના ઍપાર્ટમેંટમાં પાછો ફર્યો.

આ કીસ્સાને થોડો ફેરબદલ કરીએ. માનો કે, નાયક તમે પોતે છો. વીશ્વભરનાં પર્યાવરણવીદો અથવા જે પરીસ્થીતીને સમજે છે એવા નીશ્ણાતો એ ફાયર ફાઈટર છે. જ્યાં આગ લાગી છે, એ ઍપાર્ટમેંટ આપણી મા-પૃથ્વી છે!!! હવે તમે શું કરશો? પેલા ફાયર ફાઈટરની વાત માનનારા તમે. આ પર્યાવરણને સમજતાં લોકોની વાત કાને ધરશો? કેટલાંય વર્શોથી આપણે આ વાત એક કાનેથી સામ્ભળીને નજર-અન્દાજ કરતાં રહ્યાં છીએ.

અને હવે એમ કહું કે, આ 'આગ' ઠંડી પડવાને બદલે વધારે ભયાનક સ્વરુપ પકડી રહી છે, તો???

ભારતીયો કે દરેક સનાતનધર્મીની આસ્થાનું એક સ્થળ એટલે - ગંગા. શુધ્ધ, પવીત્ર, નીર્મળ જળરાશી. આપણો શાસ્ત્રોમાં વર્ણવેલી આગાહી મુજબ, ગંગા કળીયુગમાં એક નદી તરીકે વહેતી નહીં હોય! પર્યાવરણવાદીઓ આ આગાહીને વૈજ્ઞાનીક પધ્ધતીથી સાચી ઠેરવે છે. આશરે ઈ.સ. 2025 સુધીમાં ગંગા એક નદી તરીકેનું અસ્તીત્વ ગુમાવી ચુકી હશે. એ માત્ર નાનાં ખાબોચીયાં સ્વરુપે ઠેકઠેકાણે રહી જશે. આનું કારણ છે, ગંગાનું મુળ, ગંગોત્રી કે અલખનન્દા, જે હીમનદી છે, એનું અસ્તીત્વ જોખમાવું! આવાં હાલ તો દુનીયાભરની કેટલીય નદીના થશે.

વૈજ્ઞાનીકો વીશ્વવ્યાપી પુરની ઘટના ઈ.સ. 2070માં બને એવું માનતા હતાં. ધ્રુવપ્રદેશનો બરફ ઓગળવાને કારણે સમગ્ર પાણીની સપાટી 14 ફુટ જેટલી વધી જશે. ગયા વર્શનું પૃથક્કરણ એવો અંગુલીનીર્દેશ કરે છે કે, આ ઘટના 2070ને બદલે 2020નાં વર્શ સુધીમાં દેખા દેશે!!! 'આગ' જોર પકડી રહી છે...

બરફ લગભગ 90% સુર્યપ્રકાશનું પરાવર્તન કરતો હોય છે. આ બરફનું પાણી બને ત્યારે, માત્ર 25% પ્રકાશનું પરાવર્તન થાય છે. બાકીનાં 50% એ પાણી શોશી લે છે, અને આપણાં વાતાવરણમાં ગરમીનો વધારો કરે છે.

મોટા બન્ધ બાન્ધવાથી બનતાં તળાવોનાં તળીયે સુક્ષ્મ લીલ અને બેક્ટેરીયાનું સંશ્લેશણ વધતું જાય છે. આ પ્રક્રીયા પુશ્કળ માત્રામાં અંગાર વાયુ (કાર્બન ડાયોક્સાઈડ) વાતાવરણમાં ઠાલવે છે.

ઠંડીનાં દીવસો ઘટતાં વનસ્પતીમાં ફલીનીકરણ વહેલું થતું જોવા મળ્યું છે. ઈયળો જે રુતુમાં જન્મે છે, એ રુતુમાં હવે એમને આ નવો ખોરાકી પુરવઠો મળવો શરું થયો છે. ઈયળો રહી આંકરાતીયો જીવ! એટલે, આવી ફુલ અને પાન્દડાં પર નભતી પક્ષીઓની ઘણી જાતો નાશ થવાને આરે છે.

આપણે હજી ગ્રીન-હાઉસ વાયુઓને વપરાશ અટકાવી દીધો નથી. ઉલટું, વસ્તીનો વધારો આ વપરાશ વધારતો જ રહ્યો છે. બહુ લામ્બાગાળાનું નુકશાન પહેલેથી જ થઈ ચુક્યું હતું, અને હજી પણ અટકવાનું નામ નથી લેતું.

આપણે શું કરી શકીએ? બને ત્યાં સુધી ઉર્જાના બીનપરમ્પરાગત સ્ત્રોતનો ઉપયોગ, પરમ્પરાગત ઉર્જાના સ્ત્રોતનો લઘુત્તમ અને વીવેકપુર્ણ ઉપયોગ, માનવસર્જીત પદાર્થોનો ખુબ જ વીવેકપુર્ણ ઉપયોગ, વનસ્પતીનું વાવેતર અને જાળવણી, કાગળ વગેરેનો લઘુત્તમ ઉપયોગ. આવાં ઘણાં પગલાં આપણે રોજીન્દા જીવનમાં લઈ શકીએ.

થોડી વીવેકબુધ્ધી આપણને માર્ગદર્શન આપશે. હવે તો જાગીશુંને???

Saturday, March 01, 2008

લગની

લગની - ચીરાગ પટેલ Feb 14, 2008

વાલમનો વલોપાત જાગ્યો ભીતરમાં;
પ્રેમનો વડવાનલ ભડભડ્યો અંતરમાં.

પગલે પગલે ઉશ્મા જગવી અડાબીડમાં;
રુંવે રુંવે અનોખો રોમાંચ રોપ્યો આ બોડમાં.

પ્રીયા, તારો સંગ હવે મારો છે હેવાયો;
પલ પલ જગવે છે સ્પન્દ, નથી ઓરમાયો.

સખી, જન્માંતરની લગની લાગી મને તારી;
ઉજવી છે હર હકીકત, પ્રમાંતરને વીસારી.

જગને જીતવાનો વીશ્વાસ છે, શ્વાસે શ્વાસે;
સહીયર તારો પ્રેમ સજાવે છે, હોંશે હોંશે.

નીતરી જાઉં પુરો તારા આ સૌન્દર્યમાં;
ખીલવી દઉં ગુલાબ અને પારીજાત દરીયામાં.

સુગન્ધી પ્રસરી રહી અનુપમ-શી, તપ્ત આતમે;
દોરી સંચાર કરતી, નજીક સરતી એ પરમ આતમે.

Monday, February 25, 2008

કમ્પ્યુટર મોનીટર

કમ્પ્યુટર મોનીટર - ચીરાગ પટેલ Feb 25, 2008

કમ્પ્યુટર શબ્દ બોલાય એટલે તરત જ આપણા મગજમાં એના મોનીટર (monitor) કે ડીસ્પ્લે ટેર્મીનલ (display terminal) નજર સમક્ષ આવે. (આવે જ ને ભાઈ, સુન્દર મુખડું કોને ના ગમે?) મોનીટરમાં પણ પ્રોસેસરની માફક કેટલાંય પરીવર્તન આવી ગયા છે. પહેલાં તો ભારેખમ પીક્ચર ટ્યુબ (picture tube) કે સી.આર.ટી.(CRT - cathode ray tube) મોનીટર ને સમ્ભાળવા પડતાં હતાં. હવે, સ્લીક અને સેક્સી એલ.સી.ડી. (LCD - liquid crystal display) કે પ્લાઝ્મા (plasma) મોનીટર આવી ગયા છે. (હીન્દી ફીલમની માફક જ સ્તો વળી... હવેની બધી હીરોઈન સ્લીમ-ટ્રીમ જ હોય છે ને...) બે વર્શ રાહ જુઓ, પછી તો પાતળી પદમણી જેવાં ઓલેડ (OLED - organic light emitting diode) ડીસ્પ્લે આવી જશે.

સી.આર.ટી. વધારે પાવર ખાતાં હતાં (તો જ તોસ્તાન બને...), એલ.સી.ડી. એ બાબતે હમ્મેશાં ડાયેટીંગ કરતાં હોય છે. વળી, એટલે જ, CRTથી સલામત અંતર રાખીને કામ કરવું સલાહભર્યું હતું ક, જેથી આંખોને વધુ નુકશાન ના થાય (એ તો LCD હશે તો પણ થશે જ, કારણ, લોકો એની સાથે વધારે સમય પસાર કરવા ઈચ્છશે!!!). ઘણી બધી બાબતોમાં દરેક પ્રકારનાં ડીસ્પ્લેમાં ફેર હોય છે.

કોંટ્રાસ્ટ રેશીયો (contrast ratio) - સહુથી પ્રકાશીત ટપકું (સફેદ) અને સહુથી ઘેરું ટપકું (કાળું) વચ્ચે પ્રતીદીપ્તી (લ્યુમીનંસ- luminance) ની સરખામણી. LCDમાં આ રેશીયો ઘણો ઓછો હોય છે. જો કે, સેમસંગના LCD મોનીટરનો રેશીયો ઘણો સારો હોય છે.

રીફ્રેશ રેઈટ (refresh rate) - એક વાર સ્ક્રીન રચવામાં લાગતો સમય. આ બાબતે પણ CRT ઘણાં સારા હોય છે. સેમસંગ (samsung) કે એલ.જી. (LG) LCD નો રીફ્રેશ રેઈટ પ્રમાણમાં ઘણો સારો હોય છે. (જો જો ભાઈ, હું સેમસંગ કે એલ.જી.ના માર્કેટીંગ માટે કામ નથી કરતો...)

અસ્પેક્ટ રેશીયો (aspect ratio) - હોરીઝોંટલ (horizontal) અને વર્ટીકલ (verticle) માપનું પ્રમાણ. અત્યાર સુધી 4:3 ના મોનીટર આવતાં હતાં, હવે 16:9 જેને વાઈડ સ્ક્રીન (wide screen) કહે છે, એવાં મોનીટર મળે છે. ધારો કે 1024 પીક્સેલ (pixel) અર્થાત ટપકાં જેટલી પહોળાઈ ધરાવતાં મોનીટરનો અસ્પેક્ટ રેશીયો જો 4:3 હોય તો,
એની ઉંચાઈ 768 પીક્સેલ હશે, જ્યારે 16:9 વાળા મોનીટરની ઉંચાઈ 576 પીક્સેલ હશે.

રીઝોલ્યુશન (resolution) - મોનીટરમાં કેટલાં પીક્સેલ છે એનું માપ. જેમ કે, 1024 x 768 વગેરે. વધુ માહીતી માટે આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/Display_resolution

હવે તો, LCD કે પ્લાઝ્મા ટીવીનો પણ કમ્પ્યુટર સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકાય છે. આ માટે, જે તે ટીવીમાં વી.જી.એ. કનેક્ટર (VGA - video graphics adapter) હોય છે. તો સામે, કમ્પ્યુટરમાં પણ ટીવી ટ્યુનર (TV tuner) કાર્ડ નાંખીને, કેબલ લગાડી શકાય છે અને ટીવીની માફક જ ચેનલ નીહાળી શકાય છે.

પીક્સેલ રચવા માટે CRT લાલ-લીલો-ભુરો (RGB) રંગનાં કીરણો મીશ્રીત કરીને જે તે રંગ નીપજાવે છે. જ્યારે, LCDમાં પીક્સેલને ઈલેક્ટ્રીકલ સીગ્નલ આપવામાં આવે છે અને એ પીક્સેલ જે તે રંગ ધારણ કરે છે. (માણસને રંગ બદલવા માટે બહારનાં કોઈ સીગ્નલની આવશ્યક્તા હોતી નથી.)

એકથી વધુ મોનીટરને એક કમ્પ્યુટર સાથે પણ જોડી શકાય છે, અને જો સોફ્ટવેર કે ડ્રાયવર એ પ્રમાણે હોય તો દરેક મોનીટરમાં દેખાતાં દ્રશ્યને વહેંચી શકાય છે.

કમ્પ્યુટર કે લેપટોપમાં ઘણી વાર S-Video કનેક્ટર હોય છે, જેનાથી ટીવી પર કમ્પ્યુટરનો આઉટપુટ આપી શકાય, પરંતુ ટીવીમાં જો VGA કનેક્ટર હોય તો એ વાપરવું હીતાવહ છે. એનાથી દ્રશ્ય વધારે સારું દેખાશે.

Sunday, February 17, 2008

મુદ્રા

મુદ્રા - ચીરાગ પટેલ Feb 17, 2008

1. જ્ઞાન મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. પીચ્યુટરી અને એંડોક્રીન ગ્રંથીઓને વ્યવસ્થીત રાખે છે. એકાગ્રતા વધારે છે અને અનીદ્રાપણું દુર કરે છે. માનસીક રોગ, ઉન્માદ, ક્રોધ અને હતાશાને દુર કરે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

2. પૃથ્વી મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શારીરીક નબળાઈ દુર કરે છે. વજનમાં વધારો કરે છે. ત્વચાના સૌન્દર્યમાં વધારો કરે છે. શરીરને કાર્યક્ષમ રાખે છે.

સમય: ગમે તે સમયે કરી શકાય છે.

3. વરુણ મુદ્રા

પધ્ધતી: ચોથી આંગળીનું ટેરવું અંગુઠાના ટેરવા સાથે અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાણીના અભાવે થતી બીમારીથી બચાવે છે. પેટના દર્દોમાં રાહત આપે છે. સ્નાયુના સંકોચનમાં રાહત આપે છે.

4. વાયુ મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળીનાં ટેરવાને અંગુઠાના મુળ સાથે અડાવીને, અંગુઠાને એ આંગળી પર મુકીને દબાવો. બાકીની આંગળીઓને સીધી રાખો.

વીશેશતા: વાયુના અસંતુલનથી ઉભા થતાં રોગો સામે રક્ષણ આપે છે. ર્હ્યુમેટીઝમ, આર્થ્રાઈટીસ, ગાઉટ, લકવો જેવા રોગો દુર કરે છે. સર્વાઈકલ સ્પોંડીલાઈસીસ, ચહેરાનો લકવો, ગરદનની અકડનમાં રાહત આપે છે. પેટમાં ગેસની તકલીફ દુર કરે છે.

સમય: 45 મીનીટ સુધી કરવાથી 12-24 કલાકમાં ઉપર વર્ણવેલ પરીસ્થીતીમાં આરામ આપે છે. 2 મહીના સુધી નીયમીત કરવાથી, ખુબ જ ફાયદો થાય છે.

5. શુન્ય મુદ્રા

પધ્ધતી: બીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: શરીરની નબળાઈ દુર કરે છે. કાનનો દુઃખાવો 4-5 મીનીટમાં દુર કરે છે. જન્મજાત ના હોય એવા બહેરાપણામાં અને મન્દબુધ્ધીને રાહત આપે છે.

સમય: રોજ 40 થી 60 મીનીટ કરો.

6. સુર્ય મુદ્રા

પધ્ધતી: ત્રીજી આંગળીને વાળીને સીધી રાખો, અને એના ઉપર અંગુઠો રાખી દબાવો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: થાયરોઈડ ગ્રંથીને વ્યવસ્થીત રાખે છે. વજન ઘટાડવામાં અને કોલેસ્ટેરોલને ઘટાડવામાં ઉપયોગી છે. અધીરાઈપણું દુર કરે છે. અપચાની તકલીફને દુર કરે છે.

સમય: રોજ બે વખત 5 થી 15 મીનીટ કરો.

7. પ્રાણ મુદ્રા

પધ્ધતી: ત્રીજી અને ચોથી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: કાર્યક્ષમતા વધારે છે. થાક અને વીટામીનના અભાવને સુધારે છે. આંખોની કાર્યક્ષમતા વધારે છે. આંખના રોગો દુર કરે છે. રોગપ્રતીકારક શક્તી વધારે છે.

સમય: ગમે તે સમયે, ગમે તે સ્થીતીમાં કરી શકાય છે.

8. અપાન મુદ્રા

પધ્ધતી: બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવા સાથે અંગુઠાનું ટેરવું અડાવેલું રાખો. બાકીની આંગળીઓ સીધી રાખો.

વીશેશતા: પાચકગ્રંથીઓને સતેજ રાખે છે. ડાયાબીટીસ, હરસ, બન્ધકોશમાં રાહત કરે છે. મળશુધ્ધી લાવે છે.

સમય: રોજ 45 મીનીટ કરો.

9. હ્રદય મુદ્રા

પધ્ધતી: પહેલી આંગળી વાળીને સીધી રાખો, એના પરથી બીજી અને ત્રીજી આંગળીનાં ટેરવાં અંગુઠાનાં ટેરવાને અડે એ રીતે ગોઠવો. ચોથી આંગળી સીધી રાખો.

વીશેશતા: હ્ર્દયરોગમાં 'સોર્બીટેલ' જેવું કામ કરે છે. શરીરમાંથી વાયુ દોશ દુર કરે છે. હ્રદયને મજબુત બનાવે છે.

સમય: રોજ 15 મીનીટ બે વખત કરો.

10. લીંગ મુદ્રા

પધ્ધતી: બન્ને હાથની આંગળીઓ એકબીજામાં ભીડાવી દો. ડાબો અંગુઠો સીધો રાખો. જમણા હાથની પહેલી આંગળી અને અંગુઠો ડાબા અંગુઠાની આજુબાજુ રહે તેમ ગોઠવો.

વીશેશતા: શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. ફેફસાને મજબુત બનાવે છે. અતીશય ઠંડી અને બ્રોંકાઈટીસ દુર કરે છે. શરીરને બળવાન બનાવે છે.

સમય: ગમે ત્યારે કરી શકાય. પુરતી ગરમી ઉત્પન્ન થાય એટલે આ મુદ્રા બન્ધ કરવી.

Saturday, February 02, 2008

શક્તીદાયી વીચાર 3

શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ

21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.

22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. મારા નવયુવાન મીત્રો! બળવાન બનો; તમને મારી આ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફુટબોલની રમત દ્વારા તમે સ્વર્ગની વધુ નજીક પહોંચી શકશો. આ શબ્દો તમને આકરા લાગશે પરંતુ મારે તમને કહેવા જોઈએ, કારણ કે તમે મને પ્રીય છો. મુશ્કેલી ક્યાં છે એ હું જાણું છું, મને થોડો અનુભવ મળ્યો છે ખરો. તમારાં બેવડાં, તમારા સ્નાયુઓ સહેજ મજબુત હશે, તો ગીતાને વધુ સારી રીતે સમજી શકશો. તમારી નસોમાં સહેજ વધુ શક્તીશાળી રક્ત વહેતું હશે તો તમે શ્રીકૃષ્ણની વીરાટ પ્રતીભાને અને પ્રચંડ શક્તીને વધુ સારી રીતે પીછાની શકશો. જ્યારે તમારો દેહ તમારા પગ ઉપર દ્રઢ રીતે ખડો રહી શકશે અને તમે મર્દાનગીનો ભાવ અનુભવશો ત્યારે તમે ઉપનીષદો અને આત્માના મહીમાને વધુ સારી રીતે જાણી શકશો.

23. જરુર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દ્રઢ, શ્રધ્ધાવાન અને નીશ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો આ જગતની સુરત પલટી જાય.

24. બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

25. હા, જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને વધુ ને વધુ લાગે છે કે મર્દાનગીમાં જ બધું આવી જાય છે. આ મારો નવો સંદેશ છે. ભલે ખોટું કરો પણ તે મર્દની જેમ! છુટકો ન હોય ત્યારે ભલે મોટા પાયા પર દુષ્ટ બનો, પણ તે મર્દની જેમ!

26. જગતનો ઈતીહાસ એટલે જે થોડા મનુષ્યોને પોતાની જાતમાં શ્રધ્ધા હતી એવા મનુષ્યોનો ઈતીહાસ. એવી શ્રધ્ધા મનુશ્યની અંદર રહેલી દીવ્યતાને પ્રગટ કરે છે. એવી શ્રધ્ધા વડે તમે ઈચ્છો તે કરી શકો.